You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રામજન્મભૂમિ અયોધ્યા : નરેન્દ્ર મોદી સત્તા, મોદી વિપક્ષ અને મધ્યસ્થી પણ મોદી - દૃષ્ટિકોણ
- લેેખક, મધુકર ઉપાધ્યાય
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
અયોધ્યામાં ભૂમિપૂજન દરમિયાન 'જયશ્રી રામ'ને 'જય સિયારામ'માં બદલીને મોદીએ વિપક્ષ માટે કોઈ ભૂમિકા છોડી નથી.
સત્યતા અને વાસ્તવિક માહોલમાં કેટલો ફરક છે એ સમજવા માટે બહોળા અનુભવની જરૂર નથી. ઘણી વાર ચીજો એકદમ સામે હોય છે, પણ આપણ તેને જાણી-સમજી કે સ્વીકારી શકતા નથી.
જેણે અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનો ભૂમિપૂજન સમારોહ જોયો હશે, એણે એ પણ જોયું હશે કે ભારત બહુ ઝડપથી એક ખાસ દિશામાં ચાલી રહ્યો છે, જેને પાછો વાળવો શક્ય નથી લાગી રહ્યું.
અયોધ્યા વ્યાપક જનમાનસ માટે આસ્થાનું કેન્દ્ર છે, રામલલાનું જન્મસ્થળ છે, સામૂહિક સ્મૃતિનો હિસ્સો છે. તેના પર સવાલ કરવો એ જાતને કઠેડામાં ઊભી કરવા બરાબર છે. એ પહાડથી પડતી મોટી પર્વતશિલા સામે ઊભા રહેવાનું દુઃસાહસ કરવા સમાન છે. જે કંઈ વધ્યુંઘટ્યું હતું, એ એટલે તળિયે ધરબી દેવામાં આવ્યું છે કે ત્યાંથી તેને કાઢવું લગભગ અશક્ય થઈ ગયું છે.
'રામથી ચાર ગણા મોટા મોદી'
જ્યાં લોકો કહે છે કે તેઓએ નરેન્દ્ર મોદીને 'વસ્તુઓના ભાવ ઘટાડવા કે બીમારી રોકવા' માટે વડા પ્રધાન બનાવ્યા નથી, તેમને મોટાં કામ કરવાનાં છે અને તેઓ કરી રહ્યા છે, ભૂખ, બેરોજગારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી કથાકથિત નાના સવાલોનો કોઈ અર્થ રહેતો નથી.
લૉકડાઉનના સમયે સેંકડો કિલોમિટર પગપાળાને ચાલીને ગામ જનારા કહે છે, 'એકલા મોદીજી શું-શું કરશે? કંઈ તો આપણે પણ કરવું પડશે', તો તેઓ ખોટું નથી કહેતા. વડા પ્રધાન તેમના માટે આસ્થાનું નવું પ્રતીક છે, સવાલોથી પર છે.
સાર્વજનિક ચર્ચાઓમાં નરેન્દ્ર મોદીને 'રાષ્ટ્રપિતા' કહેવા પર કોઈ પ્રતિક્રિયા આવતી નથી, 'હર હર મોદી' પર વિરોધ લાપતા થઈ ગયો છે, તેમને ઈશ્વરના અવતાર કહેવામાં આવે છે, તો એક વર્ગ તો સીધો ઈશ્વર જ માને છે. આ વાસ્તવિક પરિસ્થિતિ આંખ બંધ કરવાથી ગાયબ નથી થઈ જતી.
જે સમયે વડા પ્રધાન ભૂમિપૂજન માટે અયોધ્યામાં હતા ત્યારે ઇન્ટરનેટ પર એક તસવીર ફરી રહી હતી. તસવીરમાં તેઓ ધનુષવાળા રામલલાનો હાથ પકડીને બનનારા ભવ્ય મંદિર તરફ જઈ રહ્યા છે. તેમાં મોદીને રામથી ચાર ગણા મોટા દર્શાવવામાં આવ્યા છે. જોકે તેનો વિરોધ ન થવો એ વડા પ્રધાન મોદીની વિરાટ છબિની વ્યાપક સ્વીકાર્યતા દર્શાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિપક્ષની ભૂમિકામાં મોદી
નરેન્દ્ર મોદી આ સમયે સત્તામાં છે, વિપક્ષ એ જ છે અને મધ્યસ્થા પણ તેમને કરવાની છે. છબિ મામલે તેઓ તેમના સમકાલીનોથી માઈલો નહીં, દશકો આગળ છે. અને આ અંતર દિવસો જતાં વધુ જાય છે.
એ શોધવાનો કોઈ ગાણિતિક આધાર ઉપલબ્ધ નથી કે આ અંતર કેટલા સમયમાં ભરાશે? આગળ વધવાનું તો દૂર, કેટલા સમયમાં બરાબરી મેળવી શકાય છે?
માત્ર એટલું પૂછી શકાય કે જો એક વ્યક્તિ એક દિવસમાં એક ટોપલી માટી નાખે છે, તો એક હજાર ઘનમીટરનો ખાડો ભરવામાં કેટલો સમય લાગશે?
વડા પ્રધાને અયોધ્યામાં વારંવાર 'જય સીયારામ'નો ઉદઘોષ કર્યો, એક વાર પણ 'જયશ્રી રામ' બોલ્યા નથી. તો લોકોએ અતીતને યાદ કરીને તેને સહજ સ્વીકારી લીધું.
તેમને આના પર વાંધો શું હોય? સીતામૈયા એ રીતે તેમની સ્મૃતિનો હિસ્સો છે, જેવી રીતે રામ છે.
તો પછી ભગવાન રામના જયકારનું આ સંબોધન કોના માટે હતું? ચોક્કસ રીતે વડા પ્રધાન વડા મંદિરના મુહૂર્ત કે સમય પર કરેલી આલોચનાનો કોઈ જવાબ આપતા નથી.
તેઓ વિપક્ષને સંબોધિત કરતા નહોતા, પણ સ્વયં વિપક્ષની ભૂમિકામાં હતા. વિપક્ષે બહુ દબાયેલા સ્વરે જયશ્રી રામના ઉગ્ર ઉદઘોષ પર એકાદ વાર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ તેને જય સીયારામમાં મોદીએ જ બદલ્યો.
'હવે સૌમ્ય રામની વાપસીનો ઇશારો'
ભાજપના પાલનપુર અધિવેશન બાદ તેનો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં બધાં આનુષંગિક સંગઠનોનો નારો 'જયશ્રી રામ' જ હતો.
તેઓ 'વિનય ન માનત જલધિ જડ'વાલા ક્રોધિત રામનું આહ્વાન કરી રહ્યા હતા. ક્રોધી હનુમાનની છબિ પણ એ વિચારનો હિસ્સો હતો.
અયોધ્યાના લોકોને અભિવાદન 'જય સીયારામ'થી ક્યારે જયશ્રી રામ' થઈ ગયું એની ખબર ન પડી. એટલું જ નહીં માથે રાખવાના અને ગળામાં લટકાવવાના 'સિયારામી' દુપટ્ટા ગાયબ થઈ ગયા.
દુકાનદાર કહેવા લાગ્યા કે કંપનીઓ હવે 'સિયારામી' નથી બનાવતી, બધા દુપટ્ટા 'જયશ્રી રામ'વાળા જ આવે છે.
વડા પ્રધાને 'જય સીયારામ'નો ઉદઘોષ કરીને પોતાના સમર્થકો અને વ્યાપક જનમાનસને કહ્યું કે હવે દેશ એક નવા સમાજની તરફ આગળ વધી રહ્યો છે.
'ભૂમિપૂજન ભારત માટે સામાન્ય ઘટના નથી'
કદાચ તેઓ એ સંદેશ આપવા માગતા હતા કે નવો સમાજ પુરુષપ્રધાન નહીં હોય. તેમનો સંદેશ કદાચ એ હતો કે નવા સમાજમાં મહિલાનું સ્થાન સમાન હશે, પુરુષથી પહેલાં હશે. જે અતુલિત બલના પ્રતીકપુરુષ તરીકે રામનું નામ લેવામાં આવે છે, તેમના સ્થાને હવે સૌમ્ય રામની વાપસી તરફ તેમનો ઇશારો હશે.
તેમણે કૈવર્ત, શબરી અને એટલે સુધી કે ખિસકોલીની વાત કરીને સમાજના દરેક વર્ગની સ્વીકાર્યતા પ્રતીક છબિ સામે રાખી.
એ વિપક્ષની સમજ પર કેમ માથું ન કૂટવું જોઈએ, જેને આટલું મોટું સામાજિક પરિવર્તન દેખાયું નહીં.
એ આશંકામાં કે આ પરિવર્તનને લક્ષિત કરવા સંઘ અને ભાજપના પક્ષમાં જઈ ખેલવું પડશે, ધર્મની રાજનીતિ કરવી પડશે, વિપક્ષે તેમની ભૂમિકા પણ નરેન્દ્ર મોદીને સોંપી દીધી છે.
રાજકીય રીતે કેટલા પક્ષોએ કેટલી વાર તેમની આંતરિક ખેંચતાણમાં મોદીને મધ્યસ્થી કરવાની તક આપી છે, એની કોઈ ગણતરી નથી.
અયોધ્યામાં વડા પ્રધાનની ઉપસ્થિતિ અને રામલલાની સમક્ષ સાષ્ટાંગ પ્રણામની છબિ સ્પષ્ટ કરે છે કે તેઓએ સ્વયંને સત્તાની નાની રમતથી ઉપર કરી લીધા છે, ટીકાઓથી પર કરી લીધા છે, જ્યારે બાકીના બધા ખેલાડીઓ ગામ ગુમાવીને ડાળી-ડાળખી બચાવામાં વ્યસ્ત છે.
બધા જાણે છે કે અયોધ્યાનું ભૂમિપૂજન ભારત માટે સામાન્ય ઘટના નથી. તેની અસર દૂરગામી હશે. આ વહેણથી બચવા માટે સામા પ્રવાહે તરવું સૌથી સારો ઉપાય નથી. જોકે બીજું કશું કરવાનો વિકલ્પ પણ નથી, જે સત્તારૂઢ દળ માટે નવાં ખાતર-પાણી હોય.
ઘર બચાવવા માટે પડી રહેલી જર્જરિત દીવાલને થીગડાં મારતાં વિપક્ષ પાસે કોઈ આશા પણ ન રાખી શકાય.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો