કોરોના અપડેટ : આ વર્ષનો ટી-20 ક્રિકેટ વર્લ્ડકપ મોકૂફ રાખવાનો નિર્ણય

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડકપને મોકૂફ રાખવાનો નિર્ણય આઈસીસી દ્વારા લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના સંક્રમણની વર્તમાન સ્થિતિ જોતાં ટી-20 વર્લ્ડકપ યોજી શકવાની શક્યતા દેખાઈ રહી નથી.

આ વર્ષે ટી-20 વર્લ્ડકપ ઑસ્ટ્રેલિયામાં યોજાનાર હતો.

આ અગાઉના ટી-20 મૅન્સ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ વિજેતા બની હતી.

ભારતમાં એક દિવસમાં 40,425 નવા કેસ

ભારતમાં પાછલા 24 કલાકમાં દેશમાં વિક્રમી સંખ્યામાં નવા 40,425 કેસ નોંધાયા. આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 11 લાખ 18 હજાર 043 થઈ ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈએ સ્વાસ્થ્ય મંત્રાલયના આપેલા આંકડા પ્રમાણે દેશમાં પાછલા 24 કલાકમાં 681 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જે સાથે દેશમાં મહામારીનો કુલ મૃત્યુ આંક 27,497 થઈ ગયો છે.

દેશમાં હાલ 3 લાખ 90 હજાર 459 ઍક્ટિવ કેસ છે , જ્યારે સ્વસ્થ થયેલા સંક્રમિતોની સંખ્યા 7 લાખ 087 છે.

મુંબઈમાં પાછલા 24 કલાકમાં નવા 1,046 કેસ સાથે સંક્રમિતોનો કુલ આંક 1 લાખ 01 હજાર 224 પર પહોંચ્યો છે. પીટીઆઈએ આપેલી મુંબઈ મહાનગરપાલિકાની માહિતી અનુસાર મુંબઈમાં ઍક્ટિવ કેસની સંખ્યા હાલ 23,828 છે. વધુ 64 સંક્રમિતોનાં મૃત્યુ સાથે મુંબઈમાં મહામારીનો કુલ મરણાંક 5711 થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં નવા 9518 કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 3 લાખ 10 હજાર 455 થઈ છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 258 સંક્રમિતોનાં મૃત્યુ થયાં. આ સાથે રાજ્યમાં કોરોના મહામારીનો કુલ મરણાંક 11,854 થયો છે.

દિલ્હી સરકારે આપેલા આંકડા પ્રમાણે દિલ્હીમાં અત્યાર સુધી કુલ 8 લાખ 18 હજાર 989 પરીક્ષણ થયા છે. પાછલા 24 કલાકમાં દિલ્હીમાં 14,444 રૅપિડ ઍન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા જ્યારે RTPCR સહિતના પરીક્ષણની સંખ્યા 5762 હતી.

પશ્ચિમ બંગાળમાં કોરોના મહામારીનો મૃત્યુ આંક 1100ને પાર થઈ ગયો છે. પાછલા 24 કલાકમાં 36 સંક્રમિતોએ જીવ ગુમાવતા રાજ્યમાં મહામારીનો કુલ મરણાંક 1112 થઈ ગયો છે. સમાચાર સંસ્થા પીટીઆઈએ આપેલા રાજ્ય આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે નવા 2278 કેસ સાથે પશ્ચિમ બંગાળમાં સંક્રમિતોની કુલ સંખ્યા 42487 થઈ ગઈ છે.

મધ્ય પ્રદેશમાં સંક્રમિતોનો કુલ આંક 22,000ને પાર થઈ ગયો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં નવા 837 કેસ નોંધાયા, જે સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 22,600 થઈ. વધુ 15 મૃત્યુ સાથે રાજ્યમાં મરણાંક 721 થયો છે એમ રાજ્ય આરોગ્ય વિભાગના આંકડા જણાવે છે.

સોમવાર, 20 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ગુજરાતમાં 48 હજાર કરતાં વધુ ચેપગ્રસ્ત દરદી

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોના વાઇરસના રેકર્ડ 965 કેસો નોંધાયા છે અને આ સાથે જ રાજ્યમાં ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 48,441 થઈ ગઈ છે.

આ દરમિયાન વધુ 20 દરદીનાં મૃત્યુ થયાં છે અને એ સાથે જ કુલ મૃતાંક 2,147 થઈ ગયો છે.

સમાચાર સંસ્થયા પીટીઆઈએ રાજ્યના સ્વાસ્થ્યવિભાગને ટાંકીને આ માહિતી આપી છે.

કોરોનાના નવા કેસો નોંધાતાં ચીનના શિનઝિયાંગનું પાટનગર 'વૉરટાઇમ સ્ટેટ'

ચીનના શિનજિયાંગ પ્રાંતના પાટનગર ઉરૂમચીમાં કોરોના વાઇરસના કેસોમાં ઉછાળો આવતાં શહેરને 'વૉરટાઇમ સ્ટેટ' જાહેર કરી દેવાયું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરમાં કોરોના વાઇરસના 17 નવા કેસો નોંધાયા છે અને તેને પગલે કોઈ પણ પ્રકારની હિલચાલ પર આકરા પ્રતિબંધો લાદી દેવાયા છે.

આ આંક ભલે નાનો જણાઈ રહ્યો હોય પણ ચીન તેને ગંભીરતાથી લઈ રહ્યું છે. નોંધનીય છે કે ગત વર્ષ વુહાનમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ ચીને મોટા ભાગે પરિસ્થિતિ સુધારી લીધી છે.

ચેપગ્રસ્ત દરદીઓ કે મૃત્યુ પામનારા દરદીઓ એમ બન્નેની યાદીમાં ટોચનાં 20 રાષ્ટ્રોમાં ચીન ક્યાંય નથી.

ભારતનાં રાજ્યોમાં કોરોના વાઇરસની શું સ્થિતિ છે?

ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક 47,476 થઈ ગયો છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા 2127 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીની સંખ્યા સંખ્યા ત્રણ લાખને પાર થઈ ગઈ છે. સમાચાર સંસ્થા પીટીઆઈ પ્રમાણે રાજ્યના આરોગ્યવિભાગે આ માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં પાછલા 24 કલાકમાં 8,348 નવા કેસ નોંધાયા અને 144 સંક્રમિતોનાં મૃત્યુ થયાં છે

દિલ્હીમાં પાછલા 24 કલાકમાં સંક્રમણના નવા 1475 કેસ નોંધાયા. આ સાથે દિલ્હીમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 21 હજાર 582 પર પહોંચી, તો દિલ્હીમાં મહામારીનો કુલ મરણાંક 3597 થયો છે.

પશ્ચિમ બંગાળમાં સંક્રમિતોની કુલ સંખ્યા 40,000ને પાર થઈ ગઈ છે. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર રાજ્યના આરોગ્યવિભાગે આ માહિતી આપતાં કહ્યું કે પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 2,198 સંક્રમિતો નોંધાયા.

તામિલનાડુમાં પાછલા 24 કલાકમાં નવા 4,807 કેસ નોંધાયા જે રાજ્યમાં સંક્રમિતોનો અત્યાર સુધીનો સૌથી ઊંચો દૈનિક આંક છે. આ સાથે તમિલનાડુમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 65 હજાર 714 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં વધુ 88 દરદીઓનાં મૃત્યુ સાથે રાજ્યનો કુલ મરણાંક 2,403 થઈ ગયો છે.

ઉત્તર પ્રદેશમાં નવા 1673 કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 47,036 થઈ છે, જેમા ઍક્ટિવ કેસની સંખ્યા 17,264 છે.રાજ્યના આરોગ્યઅધિકારી પ્રમાણે વધુ 24 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મરણાંક 1108 થયો છે.

બેંગલુરુમાં કોરોના સંક્રમણ વધી જતાં રાજ્ય સરકારે શહેરની મહાનગરપાલિકાના કમિશનર બી.એચ. અનિલકુમારની બદલી કરી નાખી છે. તેમની જગ્યાએ રાજ્યના મહેસૂલખાતાના અગ્ર સચિવ એન. મંજુનાથપ્રસાદને ચાર્જ સોંપાયો છે.

ભારતમાં 24 કલાકમાં કોરોનાના 38,902 કેસ, નવો વિક્રમ

દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 38,902 કેસ નોંધાયા, જે અત્યાર સુધીમાં 24 કલાકમાં નોંધાયેલા કેસોનો સૌથી ઊંચો આંક છે.

સમાચાર એજન્સી એઅનઆઈએ આપેલા સ્વાસ્થ્યમંત્રાલયના આંકડા અનુસાર 24 કલાકમાં દેશમાં 543 સંક્રમિતોનાં મૃત્યુ થયાં, જે સાથે કુલ મરણાંક 26,816 પર પહોંચ્યો છે.

દેશમાં ઍક્ટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 73 હજાર 379 છે અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા છ લાખ 77 હજાર 423 થઈ છે.

દેશમાં હવે સંક્રમિતોની કુલ સંખ્યાનો આંક 10 લાખ 77 હજાર 618 થઈ ગયો છે.

ANIએ આપેલા ICMRના આંકડા અનુસાર ગઈકાલે દેશમાં ત્રણ લાખ 58 હજાર 123 પરીક્ષણ કરાયાં, જે સાથે અત્યાર સુધીમાં દેશમાં કોરોના સંક્રમણની તપાસ માટે થયેલાં પરીક્ષણની કુલ સંખ્યા એક કરોડ 37 લાખ 91 હજાર 869 થઈ છે.

દુનિયાભરમાં 24 કલાકમાં અઢી લાખ નવા કેસ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમણના બે લાખ 60 હજાર કેસ નોંધાયા છે, જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે.

સંક્રમણના સૌથી વધારે કેસ અમેરિકા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકામાં નોંધાયા છે.

સંગઠન પ્રમાણે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 71,484 નવા કેસ નોંધાયા છે. જ્યારે બ્રાઝિલમાં 45,403 અને ભારતમાં 34,884 કેસ નોંધાયા છે.

રવિવાર, 19 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

24 કલાકમાં રેકર્ડ 960 કેસ

ગુજરાતમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસના રેકર્ડ 960 કેસો નોંધાયા છે. જ્યારે વધુ 19 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક 47,476 થઈ ગયો છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા 2127 થઈ ગઈ છે.

જે નવા કેસો નોંધાયા એમાંથી અમદાવાદમાં 199 કેસો સામે આવ્યા અને આ સાથે જ શહેરમાં ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક 24,163 થઈ ગયો.

જ્યારે વધુ ચારનાં મૃત્યુ થતાં કુલ મૃતાંક 1,541 થયો છે.

કોરોના વાઇરસ : મચ્છર કરડવાથી ચેપ લાગે? WHO આપ્યો જવાબ

મચ્છરોથી SARS-CoV-2નો ચેપ ફેલાતો નથી. આ વિષય પર હાથ ધરાયેલા પ્રથમ અભ્યાસમાં આ વાત સામે આવી છે. 'સાયન્ટિફિક રિપોર્ટ જનરલ'માં આ અભ્યાસ છપાયો છે.

અભ્યાસમાં જણાવાયું છે કે વાઇરસ મચ્છરોની ત્રણ મુખ્ય પ્રજાતિઓમાં પોતાની સંખ્યા વધારી શકતો નથી. એટલે જો કોઈ મચ્છર કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે તો પણ માણસોમાં તે ચેપ ફેલાવી શકે નહીં.

આ સ્ટડીના લેખકે કહ્યું, "સૌથી મુશ્કેલ સ્થિતિમાં પણ સાર્સ CoV-2 મચ્છરો થકી નથી ફેલાતો. આવું ત્યારે પણ શક્ય નથી કે જ્યારે કોઈ ચેપગ્રસ્ત દરદીને કરડ્યા બાદ એ જ મચ્છર કોઈ બીજાને કરડે. આ અભ્યાસની પુષ્ટિ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કરી છે. WHOએ પણ અભ્યાસને ટાંકીને જણાવ્યું છે કે મચ્છર કોવિડ-19ના સંક્રમણના વાહક ન બની શકે. આમ છતાં પણ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કોરોના વાઇરસ અને પ્રાણીઓ વચ્ચે શો સંબંધ છે."

કોરોના વાઇરસ : દેશમાં સંક્રમણના નવા 34,884 કેસ, 671 મૃત્યુ

પાછલા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 34,884 કેસ નોંધાયા. જે સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 10 લાખ 38 હજાર 716 થઈ ગઈ છે.

સમાચાર સંસ્થા પીટીઆઈએ આપેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર પાછલા વધુ 671 સંક્રમિતોનાં મૃત્યુ થયાં. આ સાથે દેશમાં કુલ મરણાંક 36,273 થઈ ગયો છે.

દેશમાં ઍક્ટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 58 હજાર 692 છે, જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા છ લાખ 53 હજાર 750 પર પહોંચી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(ICMR)એ તેના દૈનિક આંકડાની માહિતીમાં જણાવ્યું છે કે પાછલા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની તપાસ માટે ત્રણ લાખ 61 હજાર 024 પરીક્ષણ થયાં છે.

આ સાથે દેશમાં અત્યાર સુધીમાં પરીક્ષણની કુલ સંખ્યા એક કરોડ 34 લાખ 33 હજાર 742 થઈ છે.

વિશ્વમાં મૃત્યુઆંક છ લાખને પાર

જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબૉર્ડ અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા એક કરોડ 40 લાખથી ઉપર પહોંચી ગઈ છે.

સંક્રમિતોની સંખ્યા અમેરિકામાં સૌથી વધુ છે, જ્યાં 36 લાખ 40 હજારથી વધુ લોકો વાઇરસની ચપેટમાં છે. બ્રાઝિલમાં 20 લાખ અને ભારતમાં 10 લાખથી વધુ લોકો સંક્રમિત છે.

કોરોના વાઇરસને કારણે થઈ રહેલાં મૃત્યુની વાત કરવામાં આવે તો આ મામલામાં અમેરિકા સૌથી આગળ છે, જ્યાં અત્યાર સુધીમાં એક લાખ 39 હજાર 176 લોકોએ જીવ ગુમાવ્યા છે.

તો બ્રાઝિલમાં 77,851 લોકોનાં મૃત્યુ થયાં છે. આ બે દેશોમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા બે લાખ 17 હજાર થઈ ગઈ છે.

સંક્રમણથી મેક્સિકોમાં 38,301, બ્રિટનમાં 45,318 અને ઈટાલીમાં 35,028 મૃત્યુ થયાં છે.

એ રાજ્ય જેણે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયાનું સ્વીકાર્યું

ઇમરાન કુરૈશી

બીબીસી માટે

કેરળના મુખ્ય મંત્રી પિનરઈ વિજયન ભારતમાં કોરોના વાઇરસના કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની વાતને સ્વીકારનારા પ્રથમ મુખ્ય મંત્રી બની ગયા છે.

કોરોના વાઇરસ સંક્રમણમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન એ તબક્કો છે, જ્યારે ખબર ન પડી રહી હોય કે સંક્રમિત વ્યક્તિ સુધી સંક્રમણ કઈ રીતે પહોંચ્યું.

ભારતનાં અનેક રાજ્યોમાં આવા લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, જે ના તો કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે અને ના તો તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી છે.

જોકે હજી સુધી ભારતમાં અન્ય કોઈ રાજ્ય કે કેન્દ્ર સરકારે કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની વાતને સ્વીકારી નથી.

જોકે કેરળના મુખ્ય મંત્રી પિનરઈ વિજયને સંવાદદાતાઓને જણાવ્યું, "તિરુઅનંતપુરમ જિલ્લાના પુંથુરા અને અને અન્ય નજીકના વિસ્તારોમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે. કેરળે સાવધ રહેવાની જરૂર છે."

તિરુઅનંતપુરમાં કોરોના વાઇરસના 1,505 કરતાં વધારે કેસ સામે આવ્યા છે, જેમાંથી છ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે આ અઠવાડિયે જિલ્લામાં સતત નવા કેસ સામે આવી રહ્યા છે.

મંગળવારે 201 અને બુધવારે 157 નવા કેસ આવ્યા હતા.

શનિવાર, 18 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ઐશ્વર્યા રાય બચ્ચનને હૉસ્પિટલમાં દાખલ કરાયાં

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમનાં દીકરી આરાધ્યાને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે તેમનો બંનેનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, જોકે તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના પણ કોવિડ રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા હતા અને તેમને બંનેને પણ સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગુજરાતનો મૃત્યુઆંક 2100ને પાર, 949 નવા કેસ

ગુજરાતના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગની અખબારી યાદી મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઇરસના વધુ 949 કેસ નોંધાયા છે.

તેમજ 770 દર્દીઓને સાજા થતા રજા અપાઈ છે.

તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે વધુ 17 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

અમદાવાદ કૉર્પોરેશન અને સુરત કૉર્પોરેશનમાં 5-5 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ રાજ્યનો કુલ મૃત્યુઆંક 2108 પર પહોંચ્યો છે.

રાજ્ય સરકારના આંકડા પ્રમાણે હાલમાં કુલ 11, 464 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 71 દર્દી વૅન્ટિલેટર પર છે અને 11,393 દર્દીઓની હાલત સ્થિર જણાવાઈ રહી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કુલ 5,12,000 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

લૉકડાઉન વધુ એક રાજ્યમાં ફરીથી લાગુ કરાશે

ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતના પ્રમાણે રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણને કાબૂમાં લેવા માટે લૉકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે.

આ માટે દરેક શનિવાર તથા રવિવારે લૉકડાઉનનો અમલ કરવાનો રહેશે.

આ અંગેની ગાઇડલાઇન્સ ઉત્તરાખંડની રાજ્યસરકાર જલદી જ જાહેર કરશે.

એક જ દિવસમાં 75 હજાર કેસ સાથે અમેરિકામાં માસ્ક પર વિવાદ

ગુરૂવારે અમેરિકામાં એક દિવસમાં કોરોના સંક્રમણના ઓછામાં ઓછા 75 હજાર જેટલા નવા કેસ નોંધાયા.

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે આ સાતમી વખત છે જ્યારે એક દિવસમાં અમેરિકામાં સંક્રમણના રેકર્ડ કેસ સામે આવ્યા છે.

પરંતુ આ દરમિયાન અમેરિકાના અમુક રાજ્યોમાં માસ્કને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જ્યાં કોલોરાડો અને આર્કાનસાસે જાહેર સ્થળોએ લોકો માટે માસ્ક પહેરવો ફરજિયાત કર્યું છે ત્યાં જ્યોર્જિયાના ગવર્નરે સ્થાનિક સ્તર પર આ નિયમ લાગુ કરવાનો ઇન્કાર કર્યો છે.

કોલોરાડોના ગવર્નર જૅરેડ પૉલીસ અને આર્કાનસાસના ગવર્નર એવા હચિનસને આરોગ્ય અધિકારીઓની સલાહ માનીને પોતાના રાજ્યમાં લોકો માટે ફેસ માસ્ક ફરજિયાત કરી દીધા છે. પહેલા આ બંને નેતાઓ આના માટે તૈયાર નહોતા.

ત્યારે જૉર્જિયાના ગવર્નર બ્રાયન કૅમ્પે એક આદેશ આપ્યો જેમાં તેમણે જાહેર માસ્ક ફરજિયાતનો નિયમ રદ કરીને તેને ફક્ત સલાહમાં પરિવર્તિત કર્યો છે.

દુનિયામાં 1 કરોડ 37 લાખ સંક્રમિતો, મરણાંક 4 લાખ 88 હજારને પાર

દુનિયામાં કોરોના વાઇરસની મહામારીનો મરણાંક 4 લાખ 88 383 થઈ ગયો છે તો કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 37 લાખને પાર થઈ ગઈ છે.

કોરોનાથી ખૂબ જ ખરાબ રીતે અસરગ્રસ્ત અમેરિકામાં સંક્રમણનો આંક 35 લાખને પાર કરી ગયો છે. અમેરિકામાં અત્યાર સુધી 1 લાખ 38 લોકોનાં મૃત્યુ થયાં છે.

બ્રાઝિલમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખને પાર કરી ગઈ છે તો અત્યાર સુધી કુલ 76 હજાર 668 લોકોનાં મૃત્યુ થયાં છે.

ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યા 10 લાખને પાર કરી ગઈ.

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના નવા 32,696 કેસો નોંધાયા.

તો આ સાથે જ દેશમાં કોરોના વાઇરસને લીધે મરનારા દરદીઓનો કુલ આંક 25 હજારને પાર કરી ગયો.

શુક્રવાર, 17 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

16 જુલાઈ સુધીની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો