વિકાસ દુબેના ઍન્કાઉન્ટરની સરખામણી ગુજરાતનાં ઍન્કાઉન્ટરો સાથે કેમ?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના ઍન્કાઉન્ટર અને ગુજરાતમાં લગભગ દોઢ દાયકા પહેલાં થયેલાં ઍન્કાઉન્ટર વચ્ચે, પત્રકારો, રાજનેતાઓ અને માનવઅધિકાર કાર્યકર્તાઓ ઘણી સમાનતા જુએ છે.
પોલીસનું કહેવું હતું કે વાહને પલટી ખાધી તે પછી આરોપી દુબેએ પોલીસની પિસ્તોલ આંચકીને નાસી છૂટવા માટે ગોળીબાર કર્યો, સ્વરક્ષણમાં પોલીસે વળતી કાર્યવાહી કરી અને દુબેનું મૃત્યુ થયું.
2002થી 2006 દરમિયાન ગુજરાતમાં 23 જેટલાં ઍન્કાઉન્ટર થયાં હતાં, જેમાંથી સી.બી.આઈ.એ સોહરાબુદ્દીન શેખ, તુલસીરામ પ્રજાપતિ, ઇશરત જહાં તથા અન્ય, ઉપરાંત સાદિક જમાલનું ઍન્કાઉન્ટર નકલી હોવાનાં આરોપનામાં દાખલ કર્યાં હતાં. આ કેસો હાલ કોર્ટમાં અલગ-અલગ તબક્કે ચાલી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ સરકારે હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા ઍન્કાઉન્ટરની તપાસ કરાવવાની જાહેરાત કરી છે.

'શરૂઆત ક્યાંથી થઈ'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ફૅક્ટ ચેકિંગ કરતી વેબસાઇટ altnews.inના સહ-સંસ્થાપક પ્રતીક સિંહાએ ટ્વિટર ઉપર લખ્યું, "ભારતમાં પોલીસ તથા ગુનેગારો વચ્ચે કોઈ ભેદ જ નથી રહ્યો, કાયદાનું રાજ જ નથી રહ્યું. ઍન્કાઉન્ટર હવે સામાન્ય બાબત બની ગયાં છે. હવે તેનાથી આશ્ચર્ય પણ નથી થતું, પરંતુ આ બધું ક્યાંથી ચાલુ થયું તે ન ભૂલવું જોઈએ. "
આ સાથે તેમણે હૈશટૅગ સાથે સોહરાબુદ્દીન શેખ, ઇશરત જહાં, સાદિક જમાલ તથા તુલસીરામ પ્રજાપતિનાં નામ લખ્યાં. સી.બી.આઈ.ની તપાસ પ્રમાણે, આ ઍન્કાઉન્ટર નકલી હતાં.
પ્રતીક સિંહાના પિતા વકીલ-ઍક્ટિવિસ્ટ મુકુલ સિન્હા પહેલી એવી વ્યક્તિ હતી કે જેમણે ગુજરાતનાં ઍન્કાઉન્ટરો કોર્ટમાં પડકાર્યાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સ્વીડનની ઉપસાલા યુનિવર્સિટીમાં શાંતિ તથા સંઘર્ષ વિષયના પ્રાધ્યાપક અશોક સ્વેઇને ટ્વીટ કર્યું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ગુજરાતમાં ઍન્કાઉન્ટર દ્વારા હત્યા માટે 'વિખ્યાત' મોદી-શાહની જોડીએ તેને રાષ્ટ્રીય બીમારી બનાવી દીધી છે!"
ઉત્તર પ્રદેશના વિકાસ દુબે ઍન્કાઉન્ટર સંદર્ભે અભિપ્રાય વ્યક્ત કરતાં આ વાત લખી. દુબે સામે લગભગ 100 જેટલા કેસ પડતર હતા.
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે જાહેરાત કરી છે કે અલાહાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શશીકાંત અગ્રવાલ દ્વારા આઠ પોલીસકર્મીનાં મૃત્યુ તથા વિકાસ દુબે તથા તેમના સાથીઓનાં ઍન્કાઉન્ટર વિશે તપાસ કરવામાં આવશે.
ગુજરાત તથા ભાજપે ઍન્કાઉન્ટરો વિરુદ્ધના આરોપોને ફગાવી દીધા અને તેને તત્કાલીન મોદી સરકારની આતંકવાદ તથા ગુનાખોરી સામેની 'ઝીરો ટૉલરન્સ'ની નીતિ ગણાવ્યા હતા.
ગુજરાતના એ ઍન્કાઉન્ટર્સ...
તા. 26 નવેમ્બર 2006ના ગુજરાત પોલીસે અમદાવાદના બહારી વિસ્તારમાં મધ્ય પ્રદેશના એક શખ્સને ઍન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. બીજા દિવસે અખબારોમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. (ઇન્ટર-સર્વિસિઝ ઇન્ટેલિજન્સ) તથા પાકિસ્તાન સ્થિત ઉગ્રપંથી સંગઠન 'લશ્કર-એ-તોઇબા' સાથેના સંબંધો વિશે પન્નાં ભરીને વિવરણ છપાયું.
સોહરાબુદ્દીન શેખ તથા તેમનાં પત્ની (કૌસર બી)ને હૈદરાબાદથી સાંગલી (મહારાષ્ટ્ર) જતી વખતે ઉઠાવવામાં આવ્યાં, ત્યારે તુલસીરામ પ્રજાપતિ તેના સાક્ષી હતા. તેમની ઉદયપુરમાંથી ધરપકડ કરવામાં આવી.
તા. 28મી ડિસેમ્બર, 2006ના રોજ ગુજરાત તથા રાજસ્થાન પોલીસના સંયુક્ત ઑપરેશનમાં તા. 28મી ડિસેમ્બર 2006માં ગુજરાતના બનાસકાંઠા ખાતે તેમને ઠાર કરાયા. તેમણે કથિત રીતે પોલીસ ઉપર ફાયરિંગ કર્યું અને 'વળતી કાર્યવાહી'માં તેમને ઠાર મારવામાં આવ્યા.
સી.બી.આઈ.એ તેની તપાસમાં નોંધ્યું કે સોહરાબુદ્દીન તેમના સાથી તુલસીરામ પ્રજાપતિ કેટલાક પોલીસવાળા તથા રાજનેતાઓ સાથે મળીને ખંડણીનું રૅકેટ ચલાવતા હતા, પરંતુ કાબૂ બહાર જતા રહેતા, તેમનું ઍન્કાઉન્ટર કરી દેવાયું હતું.
ગુજરાતના તત્કાલીન રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન અમિત શાહ ઉપર સી.બી.આઈ. (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા હત્યા, અપહરણ અને ગુનાહિત ષડયંત્રનો આરોપ મૂક્યો હતો. પુરાવાના અભાવે તેમને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, જે સી.બી.આઈ. અમિત શાહને દોષિત હોવાનું જણાવતી હતી, તેણે મુંબઈની કોર્ટના ડિસ્ચાર્જ ઑર્ડરને પડકાર્યો પણ નહીં. આજે અમિત શાહ કેન્દ્ર સરકારના ગૃહમંત્રી છે.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
મકરસંક્રાતિના એક દિવસ પહેલાં તા. 13મી જાન્યુઆરીએ મૂળ ભાવનગરના સાદિક જમાલનું અમદાવાદની બહાર ઍન્કાઉન્ટર થયું. પોલીસે આરોપ મૂક્યો કે સાદિક જમાલ અંધારી આલમના દાઉદ ઇબ્રાહિમ તથા છોટા શકીલને માટે કામ કરતા હતા.
સાદિક જમાલ દુબઈમાં હતા ત્યારે તારિક પરવીન સાથે કામ કરતા હતા. તેઓ લશ્કર-એ-તોઇબા સાથે સંકળાયેલા હતા.
15 જૂન, 2004ના 19 વર્ષીય ઇશરત જહાં તથા તેમના ત્રણ સાથી જાવેદ શેખ (પ્રનેશ પિલ્લઈ), અમજદ અલી તથા જીશન જોહર ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યાં, ત્યારે પણ પોલીસે તેઓ 'લશ્કર-એ-તોઇબા' સાથે સંબંધ ધરાવતાં હોવાનું જણાવ્યું હતું.
આ તમામ ઍન્કાઉન્ટર બાદ પોલીસે જણાવેલી વિગતમાં એક વાત સર્વસામાન્ય હતી. માર્યા ગયેલા લોકો ત્રાસવાદી હતા, તેઓ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અથવા તો ભાજપના નેતાની હત્યા કરવા આવ્યા હતા અથવા તો રાજ્યના અલગ-અલગ ભાગોમાં બૉમ્બધડાકા કરવાનો ઇરાદો ધરાવતા હતા.
પોલીસે તેમને પડકાર્યા, જેના પગલે 'વળતી કાર્યવાહી' કરવામાં આવી, જેમાં તેમને ઠાર મારવામાં આવ્યા.
ફેબ્રુઆરી-2019માં સુપ્રીમ કોર્ટે નિમેલી જસ્ટિસ હરજિતસિંહ બેદી તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કાસમ જાફર, હાજી ઇસ્માઇલ તથા સમીર ખાનના ઍન્કાઉન્ટર પણ નકલી હતા.
છાપ, આભા અને ભ્રાંતિ

ઇમેજ સ્રોત, Getty Images
વિકાસ દુબે ઍન્કાઉન્ટરનું વિશ્લેષણ કરતાં પત્રકાર સ્વાતી ચતુર્વેદી લખે છે, 'આ પ્રકારના 'ઍન્કાઉન્ટર'ને કારણે ગુનાખોરી ઘટતી નથી, પરંતુ તેનાથી જનતામાં ભ્રાંતિ ઊભી થાય છે કે તેમણે જે નેતાને ચૂંટ્યો છે, તે કાયદો અને વ્યવસ્થાની બાબતમાં કડક છે. તે એવો મજબૂત માણસ છે કે જે ગુંડાઓની સામે હામ ભીડી શકે છે.'
પૂર્વ આઈ.પી.એસ. અધિકારી આર. બી. શ્રીકુમાર કહે છે, "સરકાર કરેલાં ઍન્કાઉન્ટર 'એક નીતિના ભાગરુપે' હતાં. 2002નાં રમખાણો બાદ સનદી અધિકારીઓ ગુજરાત પોલીસની સખત છાપ ઊભી કરવા માટે અમુક લોકોની હત્યા કરવા અંગે વિચારી રહ્યા હતા."
સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસને પ્રકાશમાં લાવવામાં પત્રકાર પ્રશાંત દયાળે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી, જેઓ એ સમયે ગુજરાતી અખબાર 'દિવ્યભાસ્કર'માં ક્રાઇમ રિપોર્ટર હતા.
દયાળે બીબીસીને જણાવ્યું હતું, "આ કથિત આતંકવાદીઓ હકીકતે તો નાના ગુનેગારો હતા, પણ રાજ્યની સામાજિક-રાજકીય સ્થિતિ જ એવી હતી કે લોકોને એ થિયરી ગળે ઉતરી ગઈ કે આ લોકો 2002નાં રમખાણોનો બદલો લેવાના ઇરાદે નરેન્દ્ર મોદીની હત્યા કરવા માગતા હતા."
તેઓ માને છે કે ઍન્કાઉન્ટરમાં રાજકીય હસ્તક્ષેપ હતો. તેના લીધે મોદીને 'હિંદુ નેતા' તરીકેની છાપ ઊભી કરવામાં મદદ મળી. ઘણા લોકો માને છે કે આ છાપે જ મોદીને ગુજરાતમાં 'અજેય' નેતા બનાવ્યા.
'ઇશરત જહાંના માતાએ પ્રયાસ કરેલો'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વરિષ્ઠ વકીલ વૃંદા ગ્રોવરના કહેવા પ્રમાણે, દેશમાં ઍન્કાઉન્ટર મુદ્દે કાયદા છે, પરંતુ પોલીસ તથા રાજનેતાઓની સાંઠગાંઠથી તેને તોડી-મરોડી દેવાય છે. નેતાઓ પાસે રાજકીય ઇચ્છાશક્તિ નથી. વૃંદા આને 'ઍક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ' કહે છે.
સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટની બેન્ચના ચુકાદાની ઉપર મંજૂરીની મહોર મારી હતી. એમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ઍન્કાઉન્ટરના કેસની એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાવી જોઈએ જેથી માલૂમ પડે કે વાસ્તવમાં શું થયું હતું.
ઍન્કાઉન્ટરમાં પોલીસ અથડામણની તપાસ ન કરી શકે અને આ કામગીરી અલગ લોકોને સોંપવી. તેની વીડિયોગ્રાફી કરવી. વ્યક્તિનું મૃત્યુ થયું હોવાથી ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ દાખલ થવો જોઈએ તથા પોલીસવાળાને આરોપી બનાવવા જોઈએ. પોલીસે સાબિત કરવું રહ્યું કે તેમણે સ્વરક્ષણમાં ગોળીબાર કર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
વૃંદા કહે છે કે સામાન્યપણે એવું નથી થતું. આ કેસમાં એફ.આઈ.આર. દાખલ થશે, જેમાં વિકાસ દુબેને આરોપી બનાવવામાં આવશે અને આઈ.પી.સી.ની કલમ 302ને બદલે 307 લગાવવામાં આવશે.
સરળ શબ્દોમાં કહીએ તો હત્યાના આરોપીની ઉપર કલમ-302 હેઠળ કેસ દાખલ કરવામાં આવે છે, જ્યારે 307ની કલમ હત્યાના પ્રયાસ જેવા કેસમાં લગાડવામાં આવે છે.
વૃંદા ઉમેરે છે કે આવા કિસ્સામાં અથડામણ ખરી હતી કે નહીં, તે સાબિત કરવાની જવાબદારીનો બોજો મૃતકના પરિવાર ઉપર આવી પડે છે, એટલે કેસ આગળ નથી વધતો.
ઇશરત જહાં ઍન્કાઉન્ટરમાં તેમનાં માતાએ આવો પ્રયાસ કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટમાં ગયાં, સ્પેશિયલ ટીમનું ગઠન થયું, કોર્ટે તપાસને મૉનિટર કરી, પછી આ કેસ સી.બી.આઈ. (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપવામાં આવ્યો, તમામ પોલીસવાળા સામે ચાર્જશીટ દાખલ થઈ. આગળની કહાણી આપણે બધા જાણીએ છીએ.
વૃંદાના મતે ઍન્કાઉન્ટરમાં ન્યાયપ્રણાલિએ સારું કામ કર્યું છે. તેનાં અનેક સારાં ઉદાહરણ છે. ગત વર્ષે હૈદરાબાદ પોલીસના ડૉક્ટર રેપ કેસમાં વર્તમાન ચીફ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બોબડેએ રિટાયર્ડ જજના નેતૃત્વમાં 'કમિશન ઑફ ઇન્ક્વાયરી'નું ગઠન કર્યું હતું.
ગ્રોવર ઉમેરે છે, "હું એવું નથી કહેતી કે પોલીસ ખોટું બોલી રહી છે, શક્ય છે કે ખરેખર વિકાસ ભાગ્યો હોય. મને સત્ય વિશે જાણ નથી, પરંતુ જેણે ગોળી ચલાવી તેના મોઢેથી નીકળેલી વાતને સત્ય ન માની શકું."
"કાયદા મુજબ ગોળી સ્વરક્ષણ માટે ચલાવવામાં આવી હતી, તે વાત કોર્ટમાં સાબિત થવી જોઈએ."
સમજ, સમાજ, અને સમાધાન

ઇમેજ સ્રોત, Darshan Thakkar
માનવઅધિકાર કાર્યકર્તા આકાર પટેલ માને છે કે વિકાસ દુબે ઍન્કાઉન્ટર વિશે કોઈ સંદેહ નથી. તેઓ આને માટે સીધેસીધો 'હત્યા' એવો શબ્દ વાપરે છે. તેમના કહેવા પ્રમાણે, આવું 1984થી ચાલી રહ્યું છે અને તેમાં કોઈ નવી વાત નથી.
આકાર પટેલે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "ફૉરેન્સિક પુરાવા એકઠા કરીને તેના આધારે મજબૂત કેસ ઊભો કરવાનું કામ મુશ્કેલ હોય છે અને એટલે જ આ રસ્તો સરળ બની રહે છે."
"મુદ્દો એ છે કે આપણા સમાજે આવી બાબતોને સ્વીકૃતિ આપી દીધી છે. અન્ય કોઈ જગ્યાએ આવું નથી થતું. ત્યાં આવા કામ બદલ નોકરી જાય અને જેલમાં પણ મોકલી દેવાય છે."
આકાર પટેલનું માનવું છે કે કેન્દ્ર કે રાજ્ય સરકારે પોલીસ પ્રણાલીમાં આધુનિક્તા આવે તે માટે પ્રયાસ નથી કર્યા. આપણા દેશમાં ફૉરેન્સિક પુરાવા એકઠા કરવાનું કામ જેવી રીતે થવું જોઈએ, તેવી રીતે થતું નથી.
તુલસીરામ પ્રજાપતિ અને ઇશરત જહાં કેસમાં ફોરેન્સિક પુરાવાની ગૂંચમાં કેસનું કોકડું ગૂંચવાયું હતું અને વિકાસ દુબે કેસમાં પણ 'વરસાદને કારણે' ફોરેન્સિક પુરાવા એકઠા કરવામાં ટીમને તકલીફ પડી રહી હોવાના અહેવાલ છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












