શીખ ફૉર જસ્ટિસની 40 વેબસાઇટ ભારત સરકારે પ્રતિબંધિત કરી એ શું છે?

ભારત સરકાર શિખ ફૉર જસ્ટિસ સંબંધિત 40 જેટલી વેબસાઇટ્સ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ આ વેબસાઇટોને અનલૉફૂલ ઍક્ટિવિટિ પ્રિવેન્શન અધિનિયમ, 1967 હેઠળ ગેરકાયદે જાહેર કરવામાં આવી છે.

આ વેબસાઇટ્સને બંધ કરવાની ભલામણ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી.

તેને આધારે ઇલેકટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનૉલૉજી મંત્રાલયે આઈટી ઍક્ટ 2000 હેઠળ આ સાઇટ્સને પ્રતિબંધિત જાહેર કરી છે.

આ સંગઠનનું માનવું છે કે પંજાબ ભારતનો ભાગ નથી અને એ અલગ છે. આ સંગઠન લાંબા સમયથી પંજાબમાં જનમત લેવાની માગણી કરતું રહ્યું છે.

સંગઠને 2020માં જનમતની લેવાની વાત કરી હતી અને 4 જુલાઈથી ઇન્ટરનેટ પર મતદાન પણ શરૂ થયું હતું.

ભારત સરકાર આ અગાઉ સંગઠન સાથે સંબંધિત કાયદાકીય સલાહકાર ગુરૂપતવંત સિંઘને ચરમપંથી જાહેર કરી ચૂકી છે.

શીખ ફૉર જસ્ટિસની શરૂઆત ક્યારે થઈ તે અંગે ચોક્કસ માહિતીઓ મળતી નથી પરંતુ તે છેલ્લા 3-4 વર્ષથી સક્રિય છે.

સંગઠન સંયુક્ત રાષ્ટ્રના નિયમો મુજબ જનમતની માગ કરી રહ્યું છે.

જોકે, પંજાબમાં જે જનમતની વાત થઈ રહી છે તે ફક્ત ભારતના પંજાબ સુધી સીમિત છે કે પાકિસ્તાનના પંજાબની પણ એમાં વાત એવી કોઈ સ્પષ્ટતા હજી સુધી સામે આવી નથી.

શું છે જસ્ટિસ ફૉર શીખ?

જસ્ટિસ ફૉર શીખ એ એક શીખ સમુદાય સાથે સંબંધિત એક ચળવળ છે જે 2020માં ભારતીય પંજાબમાં જનમતની માગ કરે છે. તે પોતાને માનવઅધિકાર સંસ્થા ગણાવે છે. જોકે, ભારત તેને ચરમપંથી સંગઠન ગણાવે છે.

પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દર સિંઘ તેને ચરમપંથી સંગઠન કહી ચૂક્યા છે અને તેને ભારતની એકતા તથા અખંડિતતા સામે ખતરો ગણાવે છે.

લાંબા સમયથી જેની વાત કરવામાં આવી રહી હતી તે પંજાબ રૅફરન્ડમ 2020 સાથે જોડાયેલું આ સંગઠન ભારત ઉપરાંત અમેરિકામાં પણ સક્રિય છે.

નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત વખતે આ સંગઠને મોટા પાયે દેખાવો પણ કર્યા હતા અને ભારત સરકાર શીખોના અધિકારો બાબતે સંવેદનશીલ નથી એવો આરોપ મૂક્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો