નનકાના સાહિબને મસ્જિદ બનાવવાની ધમકી આપનારની ધરપકડ

પાકિસ્તાનમાં પોલીસે નનકાના સાહિબ ગુરુદ્વારા સામે ઉગ્ર નારેબાજી કરનાર તથા તેને મસ્જિદમાં ફેરવી દેવાની ધમકી આપનાર ઇમરાન ચિશ્તીની ધરપકડ કરી છે.

ઇમરાન ચિશ્તીના પિતા ઝુલ્ફીકાર અલીએ ઇસલામાબાદમાં બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરીને કહ્યું કે પોલીસે રવિવારે રાત્રે તેમના દીકરાની ધરપકડ કરી હતી.

શુક્રવારે સાંજે નનકાના સાહિબ ખાતે ઉશ્કેરાયેલી ભીડે ગુરુદ્વારાની બહાર નારા લગાવ્યા હતા અને ગુરુદ્વારા પર પથ્થરમારો પણ કર્યો હતો.

જે પછી ભારત સરકારે આકરી નારાજગી વ્યક્ત કરીને શીખ સમુદાયને પાકિસ્તાનમાં સુરક્ષા આપવાની માગ કરી હતી.

એ દિવસે ભીડમાં ઇમરાન ચિશ્તીએ શીખ સમુદાયને ધમકાવવા માટે જે અંદાજમાં વાત કરી હતી તેનો વીડિયો વાઇરલ થયો હતો અને ત્યારથી જ પાકિસ્તાન સરકારને પૂછવામાં આવી રહ્યું હતું કે, આ સંદર્ભે તેમણે શું કાર્યવાહી કરી છે?

ઇમરાન ચિશ્તી, મુહમ્મદ અહસાન નામના વ્યક્તિના ભાઈ છે, જેમની ઉપર શીખ છોકરી જગજીત કૌરનું અપહરણ કરવાનો આરોપ લાગ્યો હતો.

શીખ છોકરીનું અપહરણ કરવાનો કેસ

નનકાના સાહિબમાં 3 જાન્યુઆરીની સાંજે જે ઘટના બની તેના મૂળ ગત વર્ષની એક ઘટના સાથે જોડાયેલાં છે એમ કહેવામાં આવી રહ્યું છે.

ખરેખર ગત વર્ષે સપ્ટેમ્બરમાં નનકાના સાહિબના એક શીખ પરિવારે છ લોકો પર તેમની 19 વર્ષની દીકરી જગજીત કૌરનું અપહરણ કરવાનો અને જબરજસ્તી ધર્મપરિવર્તન કરાવીને એક મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરાવવાનો આરોપ લગાવ્યો હતો.

પછી બાળકીના વકીલ હોવાનો દાવો કરનાર એક વકીલે પોલીસને કહ્યું કે છોકરીએ લાહોરની એક અદાલતમાં મૅજિસ્ટ્રેટની સામે 164ની કલમ હેઠળ એક નિવેદન નોંધાવ્યું હતું.

આ નિવેદનમાં લખ્યું હતું કે "તેણે કોઈ પણ દબાણ વિના, પોતાની મરજી પ્રમાણે ઇસ્લામ કબૂલ કર્યા પછી મુહમ્મદ અહસાન નામના છોકરાની સાથે લગ્ન કર્યા છે."

આ પછી જગજીત કૌરની તરફથી એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે પોતાના પરિવારજનો પર તેમને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ આખા મામલાને લઈને શીખ સમુદાય ઉશ્કેરાયેલો હતો અને તેણે સરકારને હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી.

શીખ સમુદાયની માગ પછી પંજાબના ગવર્નર મુહમ્મદ સરવરે બચાવ કર્યો અને ટ્વીટ કરીને જાણકારી આપી કે આ મામલાને સામાન્ય સહમતિથી સૂલટાવી લેવામાં આવ્યો છે.

તેમણે ત્યારે લખ્યું હતું, "છોકરી પોતાના પરિવારની સાથે સુરક્ષિત છે. અમે પાકિસ્તાનના લઘુમતીના અધિકારોને સુનિશ્ચિત કરતા રહીશું."

જોકે સુરક્ષા કારણોથી છોકરી હાલ એક શેલ્ટર હોમમાં રહે છે.

ગુરુદ્વારા પર હુમલો

3 જાન્યુઆરી શુક્રવારે સાંજે નનકાના સાહિબમાં ઉગ્ર બનેલી ભીડે ગુરુદ્વારા નનકાના સાહિબની બહાર લગભગ ચાર કલાક સુધી પ્રદર્શન કર્યું.

પ્રદર્શન સમયે ગુરુદ્વારમાં હાજર પંજાબી શીખ સંગતના ચૅરપર્સન ગોપાલસિંઘ ચાવલાએ બીબીસી ઉર્દૂના આઝમ ખાનને કહ્યું કે ઉશ્કેરાયેલી ભીડે ગુરુદ્વારના ગેટને નુકસાન પહોંચાડ્યું.

ગોપાલ સિંઘ પ્રમાણે, તે સમયે ગુરુદ્વારાની અંદર 20 લોકો હાજર હતા, જેમાં મહિલા અને બાળકો પણ સામેલ હતાં.

ગોપાલ ચાવલાએ કહ્યું કે જિલ્લા નનકાના સાહિબની પોલીસે તેમાંથી બે લોકોની ધરપકડ કરી હતી.

ત્યારબાદ કથિત રીતે છોકરીનું અપહરણ કરનાર મુહમ્મદ એહસાનના પરિવારે પહેલાં શહેરના એક ચોક પર પ્રદર્શન કર્યું અને પછી ગુરુદ્વારા તરફ પહોંચ્યાં.

પછી ગુરુદ્વારા નનકાના સાહિબની અંદર હાજર લોકોને સુરક્ષિત રાખવા માટે ધરપકડ કરાયેલાં લોકોને મુક્ત કરવામાં આવ્યા પછી પ્રદર્શનનો સિલસિલો પૂર્ણ થયો હતો.

ગોપાલ ચાવલાએ એ પણ કહ્યું કે પોલીસ અને વહીવટીતંત્રએ શીખ સમુદાયની સુરક્ષા કરવા માટે યોગ્ય પગલાં લીધા છે અને આને ધાર્મિક મુદ્દાની રીતે રજૂ કરવો યોગ્ય નથી.

તેમણે કહ્યું, "આ એક ખાનદાનનું પોલીસ ધરપકડની વિરુદ્ધમાં પ્રદર્શન હતું. જોકે આપણી માગ છે કે ગુરુદ્વારના ગેટને નુકસાન પહોંચાડનાર લોકો પર ધાર્મિક અપમાનની કલમ હેઠળ કેસ કરવામાં આવે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો