રાજસ્થાનના નવા મંત્રીમંડળમાં કોને મળ્યું સ્થાન, પાઇલટ-ગેહલોતનો કેટલો દબદબો?

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં શનિવારે તમામ મંત્રીઓએ રાજીનામાં ધરી દીધાં હતાં, જે બાદ રવિવારે બપોર બાદ નવા મંત્રીઓનાં નામ જાહેર થયાં અને તેમણે શપથ પણ લીધા.

શનિવારના ક્રમ બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે રાજસ્થાનમાં પણ ગુજરાતની જેમ આખી સરકાર બદલાઈ શકે છે.

જોકે રવિવારે એ અટકળોનો અંત આવ્યો અને મુખ્ય મંત્રી અશોક ગેહલોતની સરકારના 11 કૅબિનેટ મંત્રી અને ચાર રાજ્યકક્ષાના મંત્રીનાં નામ જાહેર થઈ ગયાં.

નવું મંત્રીમંડળ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને રાખીને એક સંદેશ આપવા માટે રચાયું હોવાનું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે.

આ નવા મંત્રીમંડળમાં જ્ઞાતીય સમીકરણોને ધ્યાને લેવામાં આવ્યાં છે.

અગાઉ રાજ્યકક્ષાના મંત્રી રહેલા ત્રણ નેતાઓને બઢતી મળી છે અને હવે તેમને કૅબિનેટમાં સમાવી લેવામાં આવ્યા છે.

આ છે નવા મંત્રીઓ

સચીન પાઇલટના જૂથના કેટલા ધારાસભ્યોને સ્થાન?

સચીન પાઇલટના જૂથના બે ધારાસભ્યોને કૅબિનેટમાં સ્થાન મળ્યું છે, તો બે ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

બીએસપીમાંથી કૉંગ્રેસમાં આવેલા ધારાસભ્યોને કૅબિનેટમાં સ્થાન મળ્યું છે અને આદિવાસી ભાગોમાંથી આવતા ધારાસભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

મંત્રીમંડળમાં ચાર દલિત ચહેરા

નવા મંત્રીમંડળમાં ચાર દલિત ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે, સચીન પાઇલટે પત્રકારપરિષદમાં કહ્યું હતું કે રાજ્યમાં સુશાસનનો હકારાત્મક સંદેશો આપવા માટે પાર્ટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે નવા મંત્રીમંડળમાં દલિતો તેમજ આદિવાસીઓના પ્રતિનિધિત્વનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે એક જરૂરી પગલું હતું. નવા મંત્રીમંડળમાં ચાર દલિત મંત્રીઓનો સમાવેશ કરાયો છે.

એએનઆઈએ સચીન પાઇલટને ટાંકીને કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સરકારમાં દલિતો, પછાત અને ગરીબ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા કોઈ લોકો ન હતા. ત્યારે ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા લેવામાં આવેલો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે.

શનિવારે શું થયું હતું?

રાજસ્થાનમાં શનિવારે સાંજે મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીપરિષદની બેઠકમાં તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં હતાં.

આ પહેલાં 'એક વ્યક્તિ, એક પદ' અંતર્ગત ત્રણ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં, જે સ્વીકારી લેવામાં આવ્યાં હતાં.

રાજીનામું આપી ચૂકેલા પરિવહનમંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે બીબીસીને ફોન પર માહિતી આપતાં કહ્યું કે, "મંત્રીપરિષદની બેઠકમાં પ્રદેશાધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાના પ્રસ્તાવ પર તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં છે."

તેમણે કહ્યું કે આ બેઠકમાં રાજ્યના પ્રભારી અજય માકન પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો