You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પતંજલિ : બાબા રામદેવનો કોરોનાની દવા કોરોનિલ શોધી હોવાનો દાવો ખોટો છે?
બાબા રામદેવે એમની કંપની પતંજલિએ કોરોના વાઇરસની દવા શોધી હોવાનો દાવો કર્યો છે તેમાં હવે આયુષ મંત્રાલય પછી ઉત્તરાખંડ સરકારે પણ સવાલ ખડો કર્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ઉત્તરાખંડના આયુર્વેદ વિભાગના લાઇસન્સ અધિકારીએ કહ્યું કે "પતંજલિની અરજી મુજબ અમે તેમને લાઇસન્સ આપ્યું હતું. તેઓએ કોરોના વાઇરસનો ઉલ્લેખ નહોતો કર્યો. અમે ફક્ત ઇમ્યુનિટી બૂસ્ટર, ઉધરસ અને તાવ માટેના લાઇસન્સને મંજૂરી આપી છે. અમે તેઓને નોટિસ પાઠવીને પૂછીશું કે તેઓને કિટ (કોવિડ-19 માટે) બનાવવાની મંજૂરી કેવી રીતે મળી?"
ભારત સરકારના આયુષ મંત્રાલયે પતંજલિના કોરોના વાઇરસની દવાના દાવા બાબતે સ્પષ્ટ કર્યું હતું કે કથિત વૈજ્ઞાનિક અધ્યયનના દાવાની ખરાઈ અને વિવરણ અંગે મંત્રાલયને કોઈ જાણકારી નથી.
તો પતંજલિના ચૅરમૅન આચાર્ય બાલકૃષ્ણ આને 'કૉમ્યુનિકેશન ગૅપ' ગણાવીને આ દાવો કર્યો છે કે 'તેમની કંપનીએ આયુષ મંત્રાલયને બધી જાણકારી આપી દીધી છે.'
બાલકૃષ્ણે પોતાના ટ્વીટમાં લખ્યું કે "આ સરકાર આયુર્વેદને પ્રોત્સાહન અને ગૌરવ આપનારી છે. ક્લિનિકલ ટ્રાયલના જેટલા પણ માપદંડો છે, એને 100 ટકા પૂરા કરવામાં આવ્યા છે."
બાબા રામદેવે પણ આ દવા તૈયાર કરવામાં વૈજ્ઞાનિક નિયમોનું પાલન કરવામાં આવ્યું હોવાનું પત્રકારપરિષદમાં જણાવ્યું હતું.
પતંજલિનો દાવો શું છે?
બાબા રામદેવની પતંજલિ કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાઇરસની દવા તૈયાર કરી લીધી છે.
જોકે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે આ જાહેરાતની ગંભીર નોંધ લીધી છે અને કહ્યું હતું છે કે આવી દવાના નિર્માણની હકીકતોની કે વૈજ્ઞાનિક સંશોધન અંગે તે અજાણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આયુષ મંત્રાલયે બાબા રામદેવની કંપનીએ કરેલી જાહેરાત સામે સવાલો ઊભા કર્યા છે અને કહ્યું હતું કે પતંજલિ આર્યુવેદ લિમિડેટ જાહેરાત ન કરે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ સમાચાર આપ્યા છે.
આયુષ મંત્રાલયે કંપનીને દવાનું કંપોઝિશન, સંશોધન પદ્ધતિ, કઈ હૉસ્પિટલમાં પરીક્ષણ કરવામાં આવ્યું, કેવી રીતે કરવામાં આવ્યું, સૅમ્પલ સાઇઝ વગેરે સહિત તમામ વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો છે.
આયુષ મંત્રાલયે કહ્યું કે જ્યાં સુધી યોગ્ય પ્રક્રિયા ન પતે ત્યાં સુધી જાહેરાત ન કરવી. મંત્રાલયે રાજ્ય સરકારને પણ પતંજલિની કથિત દવા અંગે લાઇસન્સ અને પરવાનગી વગેરે આપવા કહ્યું છે.
બાબા રામદેવની પતંજલિ કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાઇરસની દવા તૈયાર કરી લીધી છે.
મંગળવારે બાબા રામદેવે પત્રકારપરિષદનું આયોજન કરીને કહ્યું કે 'દુનિયા જેની રાહ જોઈ રહી હતી કે કોરોના વાઇરસની દવા મળી આવી, આજે અમને ગર્વ છે કે કોરોના વાઇરસની પ્રથમ આયુર્વેદિક દવા અમે તૈયાર કરી લીધી છે.'
બાબા રામદેવનું કહેવું છે કે જે દવા તૈયાર કરવામાં આવી છે તેનું નામ 'કોરોનિલ' રાખવામાં આવ્યું છે.
બાબા રામદેવે આ પત્રકારપરિષદમાં દાવો કર્યો હતો કે આ 'કોરોનિલ' દવાનું સો લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ દિવસની અંદર 65 ટકા લોકોનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવી ગયો હતો. તેમજ સાત દિવસમાં સો ટકા લોકો સાજા થઈ ગયા હતા.
તેમણે દાવો કર્યો કે પતંજલિએ સંપૂર્ણ રિસર્ચ બાદ આ દવા તૈયાર કરી છે અને તેમની દવાનો સો ટકા રિકવરી રેટ છે.
ઉપરાંત રામદેવે કહ્યું કે "લોકો ભલે હાલ અમારા આ દાવા પર સવાલ કરે, પરંતુ અમારી પાસે તમામ દાવાના જવાબ છે. આ દવા તૈયાર કરવામાં વૈજ્ઞાનિક નિયમોનું પાલન કરવામાં આવ્યું છે."
તેમના દાવા પ્રમાણે, આ દવા બનાવવામાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આવનારા સાત દિવસમાં પતંજલિના સ્ટોર પર આ દવા ઉપલબ્ધ થઈ જશે. ઉપરાંત એક ઍપ પણ લૉન્ચ કરવામાં આવશે, તેની મદદથી આ દવા ઘર પર પહોંચાડી શકાશે.
જોકે, આ મામલે આઈસીએમઆર કે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ માત્ર પતંજલિ કંપનીનો દાવો છે. તેને સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવ્યો નથી.
વિશ્વમાં અનેક જગ્યાએ કોરોના વાઇરસની રસી શોધવાનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. જોકે હજી સુધી કોરોના માટેની કોઈ દવા કે રસી શોધાઈ શકી નથી.
ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોનાની રસી બજાર સુધી આવતા એક વર્ષ જેટલો સમય લાગી જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો