ગુજરાતમાં અનોખી પ્રેમકહાણીનો કરુણ અંજામ, ઑનર કિલિંગની આશંકા

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં કથિત ઑનર કિલિંગેની ઘટના સામે આવી છે. અહીં બે પ્રેમીઓની રસ્તા પર જ હત્યા કરી દેવામાં આવી છે.

માંગરોળમાં રહેતા સંજય અને ધારાએ સમાજ અને પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યાં હતાં. બંનેની કુહાડી વડે મારા મારીને હત્યા કરી નાખવામાં આવી છે.

હાલ આ મામલે જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બંને એક જ ગામનાં હતાં અને અલગ અલગ જાતિના હોવાના કારણે તેમનાં લગ્ન સામે પરિવારને વાંધો હતો.

બંનેની અનોખી પ્રેમકહાણીની શરૂઆત

સંજય અને ધારા બંને માંગરોળમાં જ રહેતા હતા અને આ જ ગામમાં તેમની પ્રેમકહાણીની શરૂઆત થઈ હતી.

સંજયનાં બહેન વનિતા નંદાણિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે દસમા ધોરણ સુધી ભણેલો સંજય તેમના પરિવારને ખેતીમાં મદદ કરતો હતો અને અન્ય કામની શોધમાં હતો. આ સમયે તેની મુલાકાત ધારા સાથે થઈ અને બંને મિત્રતાની શરૂઆત થઈ.

બંને લોકો તે બાદ ગામની સીમમાં સંતાઈને એકબીજા સાથે મુલાકાત કરતાં હતાં પરંતુ આ વાતની જાણ ગામમાં થઈ ગઈ. નાનું ગામ હોવાને કારણે વાત ફેલાઈ ગઈ.

જે બાદ ધારાના પરિવાર સુધી આ વાત પહોંચી અને ગામમાં આ મામલે પંચાયત બોલાવવામાં આવી. પંચાયતે પરિવારજનોને પોતાનાં સંતાનો પર કાબૂ રાખવાનું કહ્યું.

પંચાયત બોલાવાયા બાદ ધારાને ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દીધો. જોકે, આ છતાં બંને વચ્ચે મોબાઇલ દ્વારા વાતચીત થયા કરતી હતી.

આખરે પ્રેમકહાણી લગ્નમાં પરિણમી

વનિતા નંદાણીના કહેવા મુજબ બંને વચ્ચે મુલાકાતો બંધ થયા બાદ અને ધારાને ઘર બહાર નીકળવાના પ્રતિબંધ બાદ બંનેએ હવે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું.

તેમણે કહ્યું, "જોકે, લગ્ન ગામમાં જ રહીને શક્ય બને એમ ન હતાં. સંજયે જે બાદ નોકરી શોધવાની શરૂઆત કરી અને તેમને રાજકોટના એક કારખાનામાં નોકરી મળી ગઈ."

"આશરે ચારેક મહિના પહેલાં ધારા પોતાનું ઘર છોડી સંજય સાથે રાજકોટ આવી ગયાં. બંનેએ અહીં કોર્ટ મૅરેજ કરી લીધાં."

"લગ્ન કર્યા બાદ બંને રાજકોટમાં ભાડે ઘર રાખીને રહેતાં હતાં. ધારા ઘર છોડીને ભાગી હોવાની વાતની જાણ ગામમાં થઈ ગઈ હતી."

"ગામમાં પોતાની આબરૂ જવાની બીકે ધારાના પિતાએ આપઘાત કરી લીધો."

વનિતા કહે છે, "સંજય અને ધારાએ લગ્ન કર્યાં તે કોઈને ખબર ન હતી, અમારા પરિવારને પણ ખબર ન હતી. એ લોકો રાજકોટમાં રહે છે એવી પણ કોઈને ખબર ન હતી."

"જોકે, એક દિવસ સંજયે ઘરે ફોન કરીને કહ્યું કે તેમને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જેથી મોબાઇલ નંબર બંધ કરી દીધો છે અને નવો નંબર ચાલુ કર્યો છે."

"ધારાના પિતાએ આપઘાત કરી લીધો હોવાથી બંનેએ હવે પોતાના ગામ માંગરોળ આવવાનું ટાળ્યું હતું. જે બાદ મામલો થાળે પડ્યો હતો."

લૉકડાઉન અને કારખાનું બંધ

વનિતાએ કહ્યું, "બધાને એમ હતું કે હવે આ મામલે શાંત થઈ ગયો છે. ત્યાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉન આવ્યું."

"સંજય જ્યાં નોકરી કરતો હતો તે કારખાનામાં કામ બંધ થઈ ગયું. જે બાદ સંજય અને ધારા મારા મોટાબહેનને મળવા માટે જૂનાગઢ આવ્યાં."

"હું પણ મારા ભાઈ અને બહેનને મળવા માટે ત્યાં ગઈ હતી. અમે બધાં ત્યાં મળ્યાં."

સંજય ના બનેવી દેવશી નંદાણિયા કહે છે કે તેઓ મારા સાળીને ઘરે આવ્યા હતા તેની જાણ અન્ય લોકોને થઈ ગઈ. આ પહેલાં સંજયને ધમકીઓ મળી હતી પરંતુ તેનાથી તે ડરતો ન હતો.

વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આશરે સાડા પાંચ વાગ્યે સંજય, ધારા અને તેમનાં બહેન વનિતા એક જ બાઇકમાં ઘરે જવા માટે નીકળ્યા હતા.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમનાં બહેન વનિતા પણ તેમની સાથે જ બાઇકમાં સાથે હતાં.

પ્રેમકહાણીનો કરૂણ અંજામ

વનિતા કહે છે કે તેઓ ત્રણેય સાથે નીકળ્યા અને વંથલી હાઇવે પર હતા ત્યાં અચાનક તેની પાછળ એક બાઇક આવી અને તેમાં બે લોકો હતા.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વંથલીથી અડધો કિલોમિટર દૂર હાઇવે પર આ લોકોને આંતરવામાં આવ્યાં હતાં.

વનિતા કહે છે, "પાછળથી બાઇક આવીને અને ચાલુ બાઇકે જ મારા ભાઈને મોં પર કૂહાડી મારી અને અમારું બાઇક પડી ગયું. અમે ત્રણેય લોકો નીચે પડી ગયાં."

"જે બાદ મારા ભાઈ અને ભાભીને કૂહાડીના ઘા મારીને લોહીલોહાણ કરી દીધા હતા. જે બાદ તેમને હૉસ્પિટલ લઈ જવા માટે વાહનોને આજીજી કરી પણ કોઈએ મદદ ના કરી."

"જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને વંથલીમાં સરકારી દવાખાને લઈ જવામાં આવ્યાં. અહીં પોલીસે તેમને મૃત જાહેર કર્યા હતા."

આ મામલે બીબીસી સાથે વાત કરતાં જૂનાગઢના એસ. પી. સૌરભ સિંઘે કહ્યું કે પ્રેમલગ્નની જૂની અદાવતમાં બંનેની હત્યા કરી નાખવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો આ મામલો બંને કુટુંબની પ્રેમલગ્નને કારણે થયેલી અંગત અદાવતનો લાગે છે.

સંજયના બનેવી દેવશી નંદાણિયાના કહેવા મુજબ સંજય હસમુખો છોકરો હતો અને લગ્ન બાદ ધારા અને સંજય સુખેથી જિંદગી જીવતાં હતાં.

તેઓ કહે છે, "બંનેના લગ્ન બાદ અમે પરિવારો વચ્ચે સમાધાન કરાવવાની પણ કોશિશ કરી હતી. અમને કલ્પના પણ ન હતી કે એક દિવસ આવું બનશે."