આત્મનિર્ભર ભારત અભિયાન : MSMEને રૂ. ત્રણ લાખ કરોડની બોજમુક્ત લૉન અપાશે - નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બુધવારે બપોરે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જેમાં તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન માટેના પૅકેજની રૂપરેખા રજૂ કરી હતી.

મંગળવારના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'આત્મનિર્ભર ભારત અભિયાન' માટે રૂ. 20 લાખ કરોડનું પૅકેજ જાહેર કરવામાં આવ્યું છે, જે દેશની કુલ જી.ડી.પી.ના લગભગ 10 ટકા જેટલું છે અને આગામી દિવસોમાં નાણામંત્રી દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.'

આ પહેલાં કેન્દ્ર સરકાર દ્વાર રૂ. એક લાખ 70 હજાર કરોડનું પૅકેજ જાહેર કરવામાં આવ્યું હતું.

આ સિવાય રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બજારમાં નાણાકીય તરલતા વધે તે માટે મ્યૂચ્યુઅલ ફંડ્સ માટે રૂ. 50 હજાર કરોડની જાહેરાત કરી હતી. આ સિવાય લૉનનો હપ્તો ભરવમાં રાહત, લૉનના દરમાં ઘટાડો વગેરે જેવાં પગલાંની જાહેરાત કરી હતી.

જાહેરાતના મુખ્ય મુદ્દા

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજના અનેક સૅક્ટર્સ સાથે અલગ-અલગ સ્તરે, વિભિન્ન મંત્રાલયો સાથે પરામર્શ બાદ મળેલાં ઇનપુટ્સના આધારે રૂ. 20 લાખ કરોડના પૅકેજની જાહેરાત કરી
  • અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા તથા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી રૂ. 20 લાખ પૅકેજની જાહેરાત થઈ રહી છે
  • ઇકૉનૉમી, ઇન્ફ્રાસ્ટ્રક્ટચર, ટેકનૉલૉજી આધારિત સિસ્ટમ, ડેમૉગ્રાફી અને ડિમાન્ડના પાયા ઉપર આધારિત હશે
  • લૅન્ડ, લેબર તથા કાયદાની બાબતોમાં સુધાર કરીને ઇઝ-ઑફ-ડૂઇંગ બિઝનેસ ઉપર ભાર મૂકાશે
  • આત્મનિર્ભર ભારતનો હેતુ વિશ્વથી વિમુખ ભારત નહીં, પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર ભારત જે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પોતાનું પ્રદાન આપશે
  • લૉકડાઉનની જાહેરાતના ગણતરીના કલાકોમાં 'પી.એમ. ગરીબ કલ્યાણ પૅકેજ' જાહેર કરવામાં આવ્યું હતું, રૂ. 52,606 સીધા લાભાર્થીના ખાતામાં જમા થયા
  • દૈનિક જાહેરાતમાં વયોવૃદ્ધ, ગરીબ, પરપ્રાંતીય શ્રમિક તથા દિવ્યાંગને ધ્યાને લેવામાં આવશે
  • આવકવેરો ભરનારાઓને રૂ. 18 હજાર કરોડની રિફંડ આપવામાં આવ્યું, જેનાથી 14 લાખ કરદાતાને લાભ થયો
  • MSMEને રૂ. ત્રણ લાખ કરોડની બોજમુક્ત લૉન અપાશે, જેની મુદ્દત ચાર વર્ષની હશે અને એક વર્ષ સુધી વ્યાજ નહીં હોય, ઑક્ટોબર મહિના સુધી તેનો લાભ લઈ શકાશે
  • MSMEને રૂ. ત્રણ લાખ કરોડની બોજમુક્ત લૉનથી 45 લાખ એકમોને લાભ દેશે
  • આઠ કરોડ 'ઉજ્જવલા યોજના'ના લાભાર્થીઓને કુલે ત્રણ માસ સુધી મફતમાં ગૅસ સિલિન્ડર આપવામાં આવશે
  • દબાણ હેઠળના MSME બે લાખ એકમોને રૂ. 20 હજાર કરોડનું ગૌણ-કરજ આપવામાં આવશે
  • MSME એકમોને પુનઃવ્યાખ્યાયિત કરાશે, હવે મૂડીરોકાણ ઉપરાંત ટર્નઓવરના આધારે એકમોને વ્યાખ્યાયિત કરાશે; મૅન્યુફૅક્ચરિંગ તથા સર્વિસ યુનિટ્સની વ્યાખ્યાને એકિકૃત કરાશે
  • રૂ. એક કરોડ સુધીનું મૂડીરોકાણ હોવાને કારણે અથવા તો રૂ. પાંચ કરોડ સુધીના ટર્નઓવરને 'સુક્ષ્મ, લઘુ અને કુટિર ઉદ્યોગ' તરીકે વ્યાખ્યાયિત કરાશે
  • આગામી 45 દિવસમાં જાહેર સાહસ તથા કેન્દ્રીય સરકારી કંપનીઓ પાસેથી MSME એકમોની બહાર નીકળતી રકમ ચૂકવી દેવાશે
  • રૂ. 200 કરોડ સુધીના સરકાર ટૅન્ડર્સ માટે આંતરરાષ્ટ્રીય જાહેર નિવિદા મંગાવવામાં નહીં આવે
  • ઑગસ્ટ માસ સુધી ઍમ્પ્લૉયી તથા ઍમ્પ્લૉયરનો હિસ્સો સશર્ત ભારત સરકાર આપશે, 72 લાખથી વધુ કર્મચારીઓ ઉપરાંત ત્રણ લાખ 66 હજાર એકમોને લાભ થશે
  • રાજ્ય સરકારની બાંયધરીના આધારે વીજ વિતરણ કંપનીઓ PFC તથા REC દ્વારા એક વખત માટે રૂ. 90 હજાર કરોડની જોગવાઈ કરાશે
  • NBFC, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ તથા માઇક્રૉ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સને ધિરાણ મળી રહે માટે રૂ. 30 હજાર કરોડની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ લવાશે
  • શહેરી વિકાસમંત્રાલય દ્વારા રાજ્ય સરકારોને માર્ગદર્શિકા બહાર પાડીને કોવિડ-19ને 'ઍક્ટ ઑફ ગોડ' માનીને છ મહિના માટે બિલ્ડર્સને રાહત અપાશે
  • ગુરુવારથી 31 માર્ચ 2021 સુધી TDS તથા TCSની વસૂલાતમાં 25 ટકાનો ઘટાડો થશે, જેથી રૂ. 50 હજાર કરોડની નાણાકીય તરલતા વધશે
  • 31 ડિસેમ્બર 2020 સુધી 'વિવાદ સે વિશ્વાસ સ્કિમ' લંબાવવામાં આવી
  • તમામ જાહેરાતો કર્યા બાદ રાહત પૅકેજ માટેના રૂ. 20 લાખ કરોડ ક્યાંથી આવશે, તેની જાહેરાત કરાશે
  • રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ હોવાથી એપ્રિલ મહિનાના જી.એસ.ટી. કલેક્શનના આંકડા 30મી જૂન બાદ જ મળી શકશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો