કોરોના વાઇરસ : કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત કેમ આવી રહી છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાત સહિત ભારતનાં કેટલાંક રાજ્યોમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, એ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા વધુ એક રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા 20 કેન્દ્રીય જાહેર સ્વાસ્થ્ય ટીમની રચના કરવામાં આવી છે.

દેશનાં વિભિન્ન રાજ્યોમાંથી એવા 20 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. જ્યાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ જિલ્લાઓમાં કેન્દ્રીય ટીમોને મોકલવામાં આવશે.

જેમાં ગુજરાતના પણ ત્રણ જિલ્લાઓનાં નામ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની ટીમને લઈને બિનભાજપ શાસિત રાજ્યોમાં વિવાદ પણ થયો છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની ટીમની મુલાકાત વિવાદાસ્પદ બની હતી.

મમતા બેનરજી અને ભાજપ વચ્ચે આ મુદ્દે ઘણી રકઝક થઈ હતી. બેઉએ એકબીજા પર સહયોગ નહીં કરવાનો આરોપ મૂક્યો હતો.

શું છે કેન્દ્ર સરકારનું આયોજન?

કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા આ કામગીરી હાથે ધરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં કોરોના વાઇરના કેસોની સંખ્યા પાંચ હજારને પાર પહોંચી ચૂકી છે.

એ જ રીતે ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોનો આંક 42 હજારને વટાવી ચૂક્યો છે અને 1,373 લોકોનાં મૃત્યુ થયાં છે.

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા મેડિકલના ક્ષેત્ર સાથે સંકળાયેલા 40 અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે અને તેમની 20 ટીમ બનાવવામાં આવી છે.

આ ટીમો રાજ્યોના સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવ અથવા સચિવના હાથ નીચે કામ કરશે.

સાથે-સાથે આ ટીમો વચ્ચે કૉ-ઓર્ડિનેશનનું કામ સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના જે-તે રાજ્યોના રિજનલ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવશે.

આ ટીમો જિલ્લાઓમાં કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરશે અને એ પછી નિરીક્ષણો અને સૂચનો સાથેનો રિપોર્ટ રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી અથવા સ્વાસ્થ્ય વિભાગના સચિવને સુપ્રત કરશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા આ સંદર્ભે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં નોંધ્યું છે એ પ્રમાણે આનો હેતુ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગને કોરોના સામેની લડાઈ જરૂરી મદદ અને માર્ગદર્શન આપવાનો છે.

કયા જિલ્લાઓમાં જશે 20 ટીમ?

  • અમદાવાદ, ગુજરાત
  • સુરત, ગુજરાત
  • વડોદરા, ગુજરાત
  • મુંબઈ, મહારાષ્ટ્ર
  • દક્ષિણ-પૂર્વ દિલ્હી
  • ઇંદૌર, મધ્ય પ્રદેશ
  • પુણે, મહારાષ્ટ્ર
  • જયપુર, રાજસ્થાન
  • થાણે, મહારાષ્ટ્ર
  • ચેન્નાઈ, તામિલનાડુ
  • હૈદરાબાદ, તેલંગણા
  • ભોપાલ, મધ્ય પ્રદેશ
  • જોધપુર, રાજસ્થાન
  • કેન્દ્રીય દિલ્હી
  • આગ્રા, ઉત્તર પ્રદેશ
  • કોલકાતા, પશ્ચિમ બંગાળ
  • કુર્ણુલ, આંધ્ર પ્રદેશ
  • ગંતુર, આંધ્ર પ્રદેશ
  • કૃષ્ણા, આંધ્ર પ્રદેશ
  • લખનૌ, ઉત્તર પ્રદેશ

ગુજરાતના ત્રણ જિલ્લાઓ

વડોદરા, અમદાવાદ અને સુરત આ ત્રણ જિલ્લાઓમાં કેન્દ્રીય ટીમોને મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ જિલ્લાઓની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં સૌથી વિકટ સ્થિતિ અમદાવાદ જિલ્લામાં છે.

તારીખ ત્રીજી મેના રોજ સાંજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જો નજર કરીએ તો ગુજરાતના 5,428 કેસો પૈકી 3817 કેસ અમદાવાદમાં નોંધાયા છે.

આ ઉપરાંત સુરત અને વડોદરામાં અનુક્રમે 686 અને 350 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં અત્યાર સુધીમા કોરોના વાઇરસથી સંક્રમિત 208 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 533 લોકો સારવાર બાદ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.

સુરતમાં 30 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે વડોદરામાં 25 લોકોએ જીવ ગુમાવ્યા છે.

24 માર્ચે જ્યારે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે માત્ર છ જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં જ કોરોના સંક્રમણના કેસ હતા.

હવે 28 જિલ્લાઓમાં કોરોના વાઇરસનું સંક્રમણ પહોંચી ચૂક્યું છે. જોકે સૌથી ચિંતાજનક સ્થિતિ અમદાવાદમાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો