You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના લૉકડાઉન : પત્નીને સાઇકલ પર બેસાડીને 750 કિલોમિટરની સફર ખેડનારા મજૂરની કહાણી
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, બીબીસી ગુજરાતી માટે
"ભય અને ભૂખ કોને હિંમત નથી આપતા, ભાઈ?" આ શબ્દ કોઈ મહાન તત્વજ્ઞાનીના નથી કે નથી કોઈ ક્લાસિક નવલકથાના કોઈ મહાન પાત્રના.
આ એ મૂળ મંત્ર છે, જેણે બલરામપુરના રાઘોરામને હરિયાણાના રોહતકથી તેના ગામ ચાલ્યા જવાની પ્રેરણા આપી હતી અને એ 750 કિલોમિટરનો પ્રવાસ તેમણે પાંચ દિવસમાં તેમની પત્ની સાથે સાઇકલ પર કર્યો હતો.
રાઘોરામ દેશના એ હજારો શ્રમિક પૈકીના એક છે, જેમણે કોરોના વાયરસના સંક્રમણને કારણે દેશભરમાં અચાનક અમલી બનાવવામાં આવેલા લૉકડાઉનને કારણે હરિયાણાના રોહતકથી ઉત્તર પ્રદેશના બલરામપુર પાછું આવવું પડ્યું હતું.
રાઘોરામ જણાવે છે કે કોરોના વાઈરસ અને પોતાના ભવિષ્ય પરના સંકટના ભયે તેમને એટલી તાકાત આપી હતી કે તેઓ તેમની મંજિલે પહોંચી શક્યા.
રાઘોરામ કહે છે, "હું જે કંપનીમાં કામ કરતો હતો એ થોડા દિવસ પહેલાં બંધ કરી દેવામાં આવી હતી. મેં કૉન્ટ્રેક્ટરને ફોન કર્યો તો તેણે કહ્યું કે હું તમારી કોઈ મદદ નહીં કરી શકું.
"મકાનમાલિકે પણ કહેલું કે રોકાશો તો ભાડું આપવું પડશે. રોહતકમાં રહેતા અમારા જાણીતા કેટલાક લોકો તેમના વતન જવા નીકળી રહ્યા હતા.
"તેથી મેં પણ વિચાર્યું હતું કે અહીંથી ચાલ્યા જવામાં જ ભલાઈ છે. વતનમાં-ઘરે પહોંચી જઈશું તો કમસેકમ ભૂખથી તો નહીં જ મરીએ. ત્યાં કંઈને કંઈ વ્યવસ્થા થઈ જશે."
રાઘોરામ પાંચ મહિના પહેલાં રોહતક ગયા હતા. એક કૉન્ટ્રેક્ટર મારફત તેમને એક ખાનગી કંપનીમાં નોકરી મળી હતી. મહિને 9,000 રૂપિયા પગાર મળતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
રાઘોરામ 27 માર્ચની સવારે તેમનાં પત્ની સાથે રોહતકથી સાઇકલ પર સવાર થઈને વતન જવા નીકળી પડ્યા હતા.
ચાર દિવસ પછી એટલે કે 31 માર્ચની સાંજે તેઓ ગોંડા પહોંચ્યા હતાં. અમે તેમની સાથે પહેલીવાર વાતચીત કરી ત્યારે તેઓ ગોંડા પહોંચી ચૂક્યાં હતાં અને જિલ્લા હૉસ્પિટલમાં પત્ની સાથે ચેક-અપ માટે જઈ રહ્યાં હતાં.
ખિસ્સામાં રૂ, 120, 750 કિલોમિટરનો પ્રવાસ
રાઘોરામ કહે છે, "રોહતકથી અમે નીકળ્યાં ત્યારે ખિસ્સામાં માત્ર 120 રૂપિયા હતા. બે થેલામાં થોડાંઘણાં કપડાં અને સામાન સિવાય અમારી પાસે બીજું કશું ન હતું."
"સાયકલ પર પહેલીવાર જતાં હતાં એટલે અમને રસ્તાની ખબર ન હતી. સોનીપત સુધી અમારે બહુ ભટકવું પડ્યું હતું. ઠેકઠેકાણે પોલીસવાળા રોકતા હતા, પણ અમારી મજબૂરી સમજીને આગળ જવા દેતા હતા."
સોનીપત પછી અમે હાઈવે પર આવ્યા. એ પછી ક્યાંય ભટક્યા વિના ગાઝિયાબાદ, બરેલી, સીતાપુર અને બહરાઈચ થઈને અમે ગોંડા પહોંચ્યાં હતાં."
31 માર્ચે જિલ્લા હૉસ્પિટલમાં આરોગ્યની તપાસ બાદ રાઘોરામને ઘરે જવાની પરવાનગી મળી હતી. રેહરા થાણાના કાર્યક્ષેત્ર હેઠળ તેમનું ગામ બલરામપુર આવે છે, પણ તેમનું સાસરું ગોંડા જિલ્લામાં છે.
રાઘોરામના જણાવ્યા મુજબ, ગોંડા પહોંચ્યા ત્યારે રાત થઈ ગઈ હતી એટલે તેઓ તેમની સાસરીમાં રાત રોકાઈ ગયા હતા. બીજા દિવસે પત્ની સાથે પોતાના ગામ પહોંચ્યાં હતાં.
રોહતકથી બલરામપુર સુધીનું અંતર લગભગ 750 કિલોમિટરનું છે.
રાઘોરામ જણાવે છે, તેમણે સાઇકલ પર આટલો લાંબો પ્રવાસ ક્યારેય કર્યો ન હતો. સાઇકલ પર તો તેઓ તેમના ગામથી બલરામપુર સુધી ક્યારેક જતા હતા.
જોકે, કોરોના વાઇરસે તેમના હ્રદયમાં એટલો ભય પેદા કર્યો હતો કે એ ડરને કારણે તેમને આટલો લાંબો પ્રવાસ કરવાની તાકાત મળી હતી.
રાઘોરામ પાંચ દિવસ સુધી સતત સાઇકલ ચલાવતા રહ્યા હતા. પ્રવાસ દરમિયાન તેઓ દર કલાકે રોકાઈને પાંચ મિનિટ આરામ કરતા હતા.
રાઘોરામ કહે છે, "સાથે મારી પત્ની સાથે હતી, એટલે લાંબો સમય સુધી સાઇકલ ચલાવવાનું શક્ય ન હતું. રાતે બે કલાક આરામ કરતાં હતાં. ક્યારેક કોઈ પેટ્રોલ-પમ્પ પર રોકાઈ જતાં, તો ક્યારેક બંધ દુકાનોની બહાર આરામ કરી લેતાં હતાં."
સાઇકલ બની સહારો
રાઘોરામ રોહતકથી તો તેમનાં પત્ની સાથે નીકળ્યા હતા, પણ તેમને ખબર ન હતી કે રસ્તામાં તેમને તેમના જેવા હજ્જારો લોકોનો ભેટો થશે.
રાઘોરામનાં પત્ની સીમા કહે છે, "હાઈવે પર જ્યાં જુઓ ત્યાં લોકો જ લોકો દેખાતા હતા. કોઈ માથા પર બોરો ઉંચકીને જતું હતું તો કોઈના માથા પર બૅગ હતી."
"કેટલાક લોકો એકલા હતા. કેટલાક લોકો ગ્રુપમાં હતા. તેમને જોઈને અમારી પીડા ઓછી થવા લાગી હતી, કારણ કે અમારી પાસે પ્રવાસનું સાધન હતું."
"જ્યારે તેમની પાસે તો એ પણ ન હતું. સાઇકલ ન હોત તો અમારે પગપાળા જવું પડ્યું હોત. અમારી સમસ્યા હતી એ જ બધાની સમસ્યા હતી."
રાઘોરામ પાસે પૈસા ન હતા, પણ ખાવા-પીવાની કેટલીક સામગ્રી જરૂર હતી. જોકે, રસ્તામાં તેમને એવી તકલીફ પડી ન હતી.
રાઘોરામ કહે છે, "લોકો ઠેકઠેકાણે ખાવા-પીવાની ચીજો વહેંચતા હતા. તેથી ખાવાની કોઈ સમસ્યા સર્જાઈ ન હતી. રોડ પર સંખ્યાબંધ લોકો હતા. તેમ છતાં મદદ કરવાવાળા એટલા લોકો હતા કે કોઈને તકલીફ થઈ ન હતી."
"પગપાળા જતા કેટલાક એવા લોકો મળ્યા હતા, જેમને રોકવામાં આવતા હતા અથવા કેટલાક લોકોને પોલીસે માર માર્યો હતો. અમારી સાથે એવું કશું થયું ન હતું."
રાઘોરામ કશું ભણ્યાગણ્યા નથી. થોડાં વર્ષ પહેલાં તેમનાં લગ્ન થયાં હતાં. તેઓ રોહતક એવું વિચારીને આવ્યા હતા કે ત્યાં થોડું કમાણી કરીશું. પોતે પણ સુખથી રહીશે અને પરિવારને મદદ પણ કરીશું.
અલબત, એ ગામ ફરીવાર રાઘોરામનું ઠેકાણું બની ગયું છે, જ્યાંથી તેઓ નવું અને બહેતર ઠેકાણું શોધવા માટે થોડા મહિના પહેલાં નીકળ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો