You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : શું છે જનતા કર્ફ્યુ, તેનાથી કોઈ લાભ થાય?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુરુવારે સાંજે વડા પ્રધાન નરેદ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે દેશવાસીઓને રવિવારે જનતા કર્ફ્યુનો અમલ કરવા અપીલ કરી છે.
મોદીએ કહ્યું હતું કે આગામી પંદર દિવસ કોરોના વાઇરસ સામે ભારતની લડાઈ માટે મહત્ત્વપૂર્ણ છે.
વડા પ્રધાને દેશવાસીઓને બિનજરૂરી રીતે ખરીદી ન કરવા અપીલ કરી હતી અને દેશમાં જરૂરી ચીજવસ્તુઓ, દવાનો પુરવઠો હોવાની ખાતરી ઉચ્ચારી હતી.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ કોરોના વાઇરસને પગલે વિશ્વના 166 દેશમાં 8648 લોકોનાં મૃત્યુ થયાં છે.
શું છે જનતા કર્ફ્યુ?
- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું, "રવિવારે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી લોકો જનતા કર્ફ્યુનું પાલન કરે."
આગામી 15 દિવસ દરમિયાન નાગરિકો સ્વયંભૂ રીતે જ બહાર ન નીકળે, જે કોઈ કામ ઘરેબેઠાં થઈ શકતા હોય, તે ઘરે બેસીને પતાવે.
મોદીએ જનતા કર્ફ્યુને દેશવાસીઓના સંકલ્પ તથા સંયમનું પ્રતીક ગણાવ્યું હતું અને આગામી અમુક સપ્તાહ માટે જનતાનો સહયોગ માગ્યો હતો.
વડા પ્રધાને દેશના સિનિયર સિટિઝન્સને ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી હતી અને સોશિયલ ડિસ્ટન્સિગની યાદ અપાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાના કહેવા પ્રમાણે રવિવારનો જનતા કર્ફ્યુએ જરૂર પડ્યે દેશવ્યાપી લોક-ડાઉનની સજ્જતાની પૂર્વતૈયારી સમાન છે. જે યુદ્ધ જેવી તૈયારી સૂચવે છે.
મહાગુજરાત આંદોલનમાં મૂળ
જનતા કર્ફ્યુનો ઉપયોગ મહાગુજરાત ચળવળ વખતે કરવામાં આવ્યો હતો. 'અર્બનાઇઝેશન, સિટિઝનશિપ ઍન્ડ કૉન્ફ્લિક્ટ ઇન ઇન્ડિયા : અમદાવાદ 1900-2000' પુસ્તકમાં ટૉમાસો બૉબિયો લખે છે:
'મહાગુજરાત જનતા પરિષદે ઑગસ્ટ 1956થી માર્ચ 1957ની ચૂંટણી સુધી કેન્દ્ર સરકાર પર દબાણ વધારવા માટે જાહેરસભાઓ યોજી હતી.'
આવી સભાઓના સફળતાના બાદ 19 ઑગસ્ટ 1956ના રોજ 'જનતા કર્ફ્યુ'નો કોલ અપાયો હતો. ઇન્દુલાલ યાજ્ઞિક એ વખતે પરિષદના પ્રમુખ હતા.
એ દિવસે લાલ દરવાજા ખાતે બૉમ્બે રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈ દ્વારા એક સભાનું આયોજન કરાયું હતું, જેના વિરોધમાં 'જનતા કર્ફ્યુ'ની હાકલ કરાઈ હતી.
ફરક પડે?
હાલ સુધી કોરોના વાઇરસની રસી શોધાઈ નથી અને માત્ર તેનાં પરીક્ષણ ચાલી રહ્યાં છે. એટલે 'તૈયારી એજ બચાવ' છે.
વિશ્વના અનેક દેશોમાં પ્રાથમિક કેસ નોંધાયા તેના ત્રીજા તબક્કામાં અચાનક જ ભયાનક ઉછાળો જોવા મળ્યો હતો. જેના માટે સામાજિક મેળવડા તથા બેકાળજી જવાબદાર હતા.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કોરોના વાઇસને ફેલાતો અટકાવવા એકબીજાથી સીધો સંપર્ક ટાળવા, એક મિટર જેટલું અંતર જાળવવા, હસ્તધૂનન નહીં કરવા અપીલ કરી છે.
આ સિવાય અનેક દેશોએ જરૂરી ન હોય તેવી મુસાફરી ટાળવા અને બહારથી આવતા મુસાફરો ઉપર નિયંત્રણ લાદ્યાં છે.
જો કોઈ મુસાફર કૅટેગરી વનમાંથી ભારતમાં પ્રવેશે, તો તેને સરકારી હૉસ્પિટલમાં 14 દિવસ માટે ક્વરૅન્ટીન કરવામાં આવી રહ્યા છે. આ સિવાય ઍરપૉર્ટ પર તેમનાં આરોગ્યનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય યાત્રા કરીને પરત ફરનારને 14 દિવસના સ્વયં-આઇસોલેશનની અપીલ કરી છે, આ સંજોગોમાં જનતા કર્ફ્યુથી લોકો બહાર ન નીકળે તો લાભ થશે એવું માનવામાં આવે છે.
પૂર્વ વિદેશપ્રધાન શશિ થરૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યુના આહ્વાનને ટેકો જાહેર કર્યો હતો અને સામાજિક અંતર જાળવવાની અપીલ કરી હતી.
પાંચ વાગ્યે, પાંચ મિનિટ
બે મહિના દરમિયાન કોરોના વાઇરસની આશંકા વચ્ચે ફરજ બજાવતા તબીબો, સરકારી કર્મચારીઓ, મીડિયા, સફાઈ કર્મચારી, ડિલિવરી કરનાર, જેવી આવશ્યક સેવા બજાવનારાઓનો આભાર વ્યક્ત કરવા અપીલ કરી હતી.
આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ માટે જનતાને ઘરના દરવાજા, બાલ્કની કે બારીમાં આવવા માટે અપીલ કરી હતી.
મોદીએ પાંચ મિનિટ સુધી તાળી પાડીને કે થાળી વગાડીને આવશ્યક સેવા આપનારાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આહ્વાન કર્યું હતું.
મોદીએ ખાતરી આપી હતી કે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો છે એટલે અછતની આશંકાએ ખરીદી ન કરે.
યુદ્ધ દરમિયાન કર્ફ્યુ
વડા પ્રધાન મોદીએ નાનપણમાં યુદ્ધ દરમિયાન જનતા કર્ફ્યુના અનુભવનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મોદીએ કહ્યું હતું કે યુદ્ધના સમયે અંધારપટનો અમલ કરવામાં આવતો, જેનો જનતા સ્વયંભૂ રીતે પાલન કરતી અને ઘરની બહાર ન નીકળતી.
આ સિવાયના બારી-બરાણાંનાં કાચ ઉપર કાળો રંગ લગાવી દેવામાં આવતો.
સ્થાનિક સ્વરાજ્યના એકમો દ્વારા તેના અમલ માટે ડ્રીલ કરવામાં આવતી, જેથી કરીને નાગરિકોની સજ્જતાની ખાતરી થઈ શકે.
મોદીએ કહ્યું હતું કે પહેલા તથા બીજા વિશ્વયુદ્ધને કારણે જેટલા દેશ પ્રભાવિત નહોતા થયા, તેટલા દેશ કોરોના વાઇરસને કારણે પ્રભાવિત થયા છે.
કોઈ એક દેશ બીજા દેશને મદદ કરી શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે સાવચેતી જ બચાવ રહે.
ઉલ્લેખનીય છે કે યુદ્ધ દરમિયાન દુશ્મન દેશનાં વિમાનોને રહેણાંક વિસ્તારો વિશે જાણ ન થાય તે માટે અંધારપટનો અમલ કરાવવામાં આવે છે.
મોદી અને રાષ્ટ્રજોગ સંબોધન
માર્ચ-2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં અવકાશમાં સેટેલાઇટને નાબૂદ કરવાની શક્તિ ભારતે વિકસાવી હોવાની જાહેરાત કરી હતી. તેને 'મિશન શક્તિ' એવું નામ આપવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય સમુદાયે 'મિશન શક્તિ'ને કારણે અવકાશમાં ફેલાયેલાં કાટમાળ માટે ભારતની ટીકા કરી હતી. જ્યારે વિપક્ષે લોકસભાની ચૂંટણી દરમિયાન આ પ્રકારનું રાષ્ટ્રજોગ સંબોધન કરવા સામે કેન્દ્રીય ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરી હતી.
ઑગસ્ટ-2019માં જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ થયા બાદ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સરકારે લીધેલા પગલાંથી જમ્મુ, કાશ્મીર તથા લદ્દાખને કેવી રીતે લાભ થશે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેની સામે વિપક્ષ તથા જમ્મુ-કાશ્મીરના કેટલાક નિવાસીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરી છે.
તા. આઠમી નવેમ્બર 2016ના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે આઠ વાગ્યા આજુબાજુ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે તાત્કાલિક અસરથી રૂ. 500 તથા રૂ. 1000ની નોટોને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી.
કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે તેના કારણે દેશના અર્થતંત્રમાં મંદી આવી છે અને નાના-લઘુ ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો