અભય ભારદ્વાજ : 2002 રમખાણોથી લઈ પ્રદીપ શર્મા સુધી સરકારના ખાસ વકીલ હવે રાજ્યસભાના ઉમેદવાર

ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રાજ્યસભા માટે ભાજપે બે નામો જાહેર કર્યાં છે તેમાં એક નામ રમિલાબહેન બારા અને બીજું વકીલ અભય ભારદ્વાજનું છે.

રાજકોટના વકીલ એવા અભય ભારદ્વાજનું નામ 2016માં ત્યારે વિવાદમાં આવ્યું હતું જ્યારે તેમની હંગામી ધોરણે કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી.

એ વખતે તેમની કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક સામે વિરોધ થયો હતો.

તેમની નિમણૂક પર વિવાદ થયો હતો, કેમ કે તેઓ 2002નાં રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા.

રાજકોટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો છે.

અભય ભારદ્વાજ રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા ચીમનભાઈ શુક્લના સગા થાય છે.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતાં અભય ભારદ્વાજે કહ્યું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોની સમસ્યા એ તેમની પ્રાથમિકતા રહેશે.

અમદાવાદમાં મુસ્લિમ રહીશોની બહુમતી ધરાવતી ગુલબર્ગ સોસાયટી પર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાએ હુમલો કર્યો હતો. તેમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરી સહિત 69 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.

જોકે, આ એક જ અસાઇમેન્ટથી અભય ભારદ્વાજ સરકારની નજીક છે એવું નથી.

જુલાઈ 2019માં ગુજરાત સરકારે તેમને અન્ય એક ચર્ચિત જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નીમ્યા હતા.

આ ઉપરાંત કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ જેમાં આરોપી હતા તે સૂત્રાપાડા માઇનિંગ કેસમાં પણ તેઓ સરકારી વકીલ રહી ચૂક્યા છે.

નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્મા સામે સરકારે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો એમાં પણ તેઓ જ વકીલ હતા.

રાજકોટની ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓનાં મૃત્યુના કેસમાં પણ તેઓ સરકારી વકીલ હતા.

ન્યૂઝ18ના એક અહેવાલ મુજબ કાયદાપંચના સભ્ય તરીકે અભય ભારદ્વાજે પુરાવા અધિનિયમને શાસ્ત્રો અને વેદો મુજબ સુધારવાનું સૂચન કર્યું હતું.

એમણે કહ્યું હતું કે એમ કરવાથી ન્યાયતંત્રમાં સકારાત્મકતા આવશે.

કોણ છે રમિલાબહેન બારા?

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આદિવાસીઓનાં આંદોલન ચાલી રહ્યાં છે ત્યારે અન્ય ઉમેદવાર તરીકે ભાજપે રમિલાબહેન બારાની પસંદગી કરી છે.

65 વર્ષીય રમિલાબહેન બારા સાબરકાંઠાના ખેડબ્રહ્માનાં વતની છે અને બી.એડ. સુધીનો અભ્યાસ કરેલો છે.

રમિલાબહેન બારા ભાજપમાંથી 2004માં ખેડબ્રહ્માની સીટ પરથી પહેલી વાર ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યાં હતાં.

ખેડબ્રહ્માની સીટ કૉંગ્રેસનો ગઢ ગણાતી હતી અને અમરસિંહ ચૌધરી ત્યાંથી ચૂંટણી લડતા હતા.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતા રમિલાબહેન બારાએ જણાવ્યું કે આદિવાસીઓની સમસ્યા અને પછાત વિસ્તારની સમસ્યા એ તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.

જ્યોતિરાદિત્ય અને રાજેન્દ્ર ગહેલોત પણ લડશે

આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને સંકટમાં મૂકનારા જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ રાજ્યસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે.

ગુજરાતના પડોશી રાજ્ય એવા રાજસ્થાનમાં રાજેન્દ્ર ગહેલોતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં ઉદયના રાજે ભોંસલેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો મહારાષ્ટ્રની એક બેઠક સહયોગી આરપીઆઈને આપવામાં આવી છે જેના પરથી રામદાસ આઠવલે રાજ્યસભાની ચૂંટણી લડશે.

આ ઉપરાંત અસમમાંથી ભુવનેશ્વર કાલીતા, બિહારમાંથી વિવેક ઠાકુર, ઝારખંડમાંથી દીપક શર્મા, મણિપુરમાં લિએસેંબા મહારાજા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે.

અસમમાં એક બેઠક સહયોગી પક્ષ બીપીએફને આપવામાં આવી છે અને બુસ્વજીત ડાઇમરી રાજ્યસભાની ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાની આગેવાનીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી.

આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ તથા માર્ગ, પરિવહન, સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગમંત્રી નીતિન ગડકરી તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો