અયોધ્યામાં રામમંદિરનિર્માણ માટે ટ્રસ્ટની નરેન્દ્ર મોદીની જાહેરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટનું ગઠન કર્યું છે.

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ પર પર ચુકાદો સંભળાવતાં કેન્દ્ર સરકારને મંદિરનિર્માણ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. તે સમયમર્યાદા નવ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થવાની હતી.

વડા પ્રધાને સંસદમાં કહ્યું, "આજે સવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સુપ્રીમ કોર્ટના આદેશોને ધ્યાનમાં રાખીને આ દિશામાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે."

"મારી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે શ્રીરામજન્મસ્થળ પર ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે અને તેની સાથે સંકળાયેલા અન્ય વિષયો માટે એક યોજના તૈયાર કરી છે."

"સુપ્રીમ કોર્ટના આદેશો પ્રમાણે એક સ્વાયત્ત ટ્રસ્ટ 'શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ના ગઠનનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે."

"આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય શ્રીરામમંદિરના નિર્માણ અને તેની સાથે સંબંધિત વિષયો પર નિર્ણય લેવા માટે સંપૂર્ણરૂપે સ્વતંત્ર હશે."

"સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે વિચારવિમર્શ અને વાતચીત બાદ અયોધ્યામાં પાંચ એકર જમીન સુન્ની વકફ બૉર્ડને ફાળવવાનો અનુરોધ ઉત્તર પ્રદેશ સરકારને કરવામાં આવ્યો છે."

"તેના પર રાજ્ય સરકારે પણ પોતાની સહમતી આપી દીધી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો