You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શુક્રવાર અને શનિવારે બૅન્કકર્મીઓ શા માટે હડતાળ પાડી રહ્યા છે?
દેશના બૅન્કકર્મીઓ 31 જાન્યુઆરીથી બે દિવસની હડતાળ પર ઊતર્યા છે.
સમાચાર સંસ્થા 'યુનાઇડેટ ન્યૂઝ ઑફ ઇન્ડિયા'ના જણાવ્યા અનુસાર કર્મચારીઓ પગારવધારા સહિતની વિવિધ માગોને લઈને હડતાળ કરી રહ્યા છે.
દેશભરમાંથી પબ્લિક સૅક્ટર યુનિટની નવ બૅન્કોનાં કર્મચારીમંડળોએ 'યુનાઇડેટ ફૉરમ ઑફ બૅન્ક ઍમ્પલૉયીઝ (યુએફબીયુ) 'ના નેજા હેઠળ આ બે દિવસની હડતાળનુ આયોજન કર્યું હોવાનું યુએફબીયુના રાજ્યસંયોજક દેવીદાસ તુલીજાપુરકરે પત્રકારોને જણાવ્યું છે.
તુલીજાપુરકરે ઉમેર્યું કે બૅન્કોના અધિકારીઓ અને કર્મચારીઓને પગારવધારો નવેમ્બર 2017થી ચૂકવાયો નથી. ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશન (આઈબીએ) દ્વારા આ મામલે અત્યંત મોડું કરાયું હોવાને લીધે કર્મચારીમંડળોએ પોતાની માગો સાથે હડતાળ પર ઊતરવાનું નક્કી કર્યું છે.
અહીં એ વાત પણ નોંધવી રહી કે 31 જાન્યુઆરીથી સંસદના બજેટસત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.
શ્રમમંત્રાલય અને વાણિજ્યમંત્રાલય દ્વારા આ પહેલાં બૅન્કકર્મીઓને હડતાળ પર ન જવા માટે મનાવવા પ્રયાસ કરાયા હતા. જોકે, ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશન અને યુએફબીયુ વચ્ચે સમાધાન થઈ શક્યું નહોતું.
બૅન્કકર્મીઓની માગ શી છે?
ઑલ ઇન્ડિયા બૅન્ક ઍમ્પ્લૉયી ઍસોસિયેશનના એક અધિકારીએ 'લાઇવમિન્ટ'ને જણાવ્યું કે આઈબીએ ઇચ્છતું હતું આગામી વાતચીત સુધી હડતાળ ટાળી દેવામાં આવે.
જોકે, મૅનેજમૅન્ટ તરફથી કર્મચારીઓની માગોને લઈને કોઈ પ્રતિબદ્ધતા ન દર્શાવાતા હડતાળનો રસ્તો અપનાવાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હડતાળને પગલે કેટલીય બૅન્કોએ પોતાના ગ્રાહકોને બે દિવસ માટે સેવા મેળવવામાં મુશ્કેલી પડવાની જાણ કરી દીધી છે.
ભારતની સૌથી મોટી બૅન્ક - સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે હડતાળને પગલે બૅન્કનું કામકાજ પ્રભાવિત થઈ શકે છે. આ પહેલાં 8મી જાન્યુઆરીએ અપાયેલા 'ભારત બંધ'ને બૅન્કકર્મીઓએ સમર્થન આપતાં બૅન્કસેવાઓ ખોરવાઈ હતી.
કર્મચારીઓ 20%નો પગારવધારો માગી રહ્યા છે. જોકે, મૅનેજમૅન્ટ 12.25%થી વધુ વધારો આપવા માટે તૈયાર નથી. આ ઉપરાંત બૅન્કકર્મીઓ અઠવાડિયાના પાંચ દિવસ કામ, મૂળ પગાર સાથે ખાસ ભથ્થું ભેળવી દેવાની માગ પણ કરી રહ્યા છે.
કર્મચારીઓની માગ નહીં સંતોષવામાં આવે તો આગામી 11 માર્ચથી ત્રણ દિવસની હડતાળ યોજવાની અને 1 એપ્રિલથી અનિશ્ચિત મુદ્દત સુધી હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો