CAA : કેરળની વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદો રદ કરવા ઠરાવ પસાર

નાગરિકતા સંશોધન કાયદાને મુદ્દે દેશમાં મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે ત્યારે કેરળની વિધાનસભાએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો છે.

કેરળની વિધાનસભાએ ઠરાવ પસાર કરી નાગરિકતા સંશોધન કાયદાને રદ કરવાની માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાને પ્રથમ લોકસભામાં અને પછી રાજ્યસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો.

કેરળમાં હાલ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી) અને લિબરેશન ડેમૉક્રેટિક ફ્રન્ટની સરકાર છે.

નાગરિકતા કાયદાને લઈને કેરળમાં એક દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું હતું.

સીપીઆઈ-એમ અને એલડીએફની સરકારે ઠરાવ રજૂ કર્યો હતો અને તેને મુખ્ય વિરોધપક્ષ કૉંગ્રેસના નેતૃત્ત્વ હેઠળના યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટે ટેકો આપ્યો હતો.

કેરળમાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ઓ. રાજાગોપાલે વિધાનસભામાં ઠરાવથી વિરુદ્ધ મત આપ્યો હતો.

કેરળના મુખ્ય મંત્રી પિનયારી વિજયને કહ્યું કે ધર્મઆધારિત નાગરિકતાની વાત કરતો આ કાયદો ભારતની બિનસાંપ્રદાયિક પરંપરા અને સામાજિક પોતની વિરુદ્ધ છે.

એમણે એમ પણ કહ્યું કે આ કાયદો બંધારણની મૂળ ભાવનાથી વિપરિત છે.

વિજયને કહ્યું કે આ કાયદાને લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબિને મોટો ધબ્બો લાગ્યો છે.

મૂળે એક દિવસીય સત્ર શિડ્યુલ્ કાસ્ટ અને શિડ્યુલ્ડ ટ્રાઇબની અનામતની જોગવાઈને રૅક્ટિફાય કરવા માટેનું હતું. પરંતુ એ પછી ઑલ પાર્ટી મિટિંગ બાદ નાગરિકતા કાયદા અંગેનો ઠરાવ પણ એમાં સામેલ કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની નીતિથી અલગ નીતિ અંગેના ઠરાવો કેરળમાં તો અનેક વાર થયા છે પરતું વિધાનસભા દેશની સંસદે પસાર કરેલા કાયદા વિરુદ્ધ ચર્ચા કરે અને ઠરાવ કરે એ અસામાન્ય ઘટના છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પણ આ મુદ્દે સમર્થન ઠરાવ કરવામાં આવશે એવી જાહેરાત કરી ચૂકી છે.

ભાજપે શું કહ્યું ?

ભાજપના ધારાસભ્ય ઓ રાજાગોપાલે કહ્યું કે નાગરિકતા કાયદાની સામે આ ઠરાવ રાજકીય લાભ લેવા માટે લાવવામાં આવ્યો છે.

એમણે કહ્યું કે આ સંકુચિત રાજકીય માનસ છતું કરે છે.

ઠરાવને ટેકો આપતા કૉંગ્રેસના નેતા વીડી સાથીસને કહ્યું કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (એનઆરસી) અને નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) એક જ સિક્કાની બે બાજુ છે. સીએએ બંધારણની કલમ 13, 14 અને 15નો ભંગ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો