You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઝારખંડ ચૂંટણી પરિણામ : ભાજપને રાષ્ટ્રીય મુદ્દાઓ નડ્યા?
ઝારખંડમાં કૉંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચા અને આરજેડીનું ગઠબંધન વિજય તરફ આગળ વધી રહ્યું છે અને ભાજપના મુખ્ય મંત્રી રઘુબર દાસ પણ પાછળ ચાલી રહ્યા છે.
આ પહેલાં મતગણતરીના પ્રાંરભિક કલાકોમાં જ ગઠબંધન ભાજપ કરતાં આગળ નીકળવા લાગ્યું હતું. જોકે, બાદમાં ભાજપ મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરતો જણાયો હતો.
ઝારખંડ વિધાનસભામાં 81 બેઠકો છે અને બહુમતી માટે 41 બેઠકોની જરૂર છે. પાંચ તબક્કામાં યોજાયેલી આ ચૂંટણીના ઍક્ઝિટ પોલમાં જેએમએમ-કૉંગ્રેસ-રાજદના ગઠબંધનને બહુમતી મળવાના સંકેત બતાવાયા હતા.
ચૂંટણીપંચના અધિકૃત આંકડા અનુસાર ભાજપ હાલમાં 31 બેઠકો પર આગળ છે, જ્યારે કૉંગ્રેસ-જેએમએમ-આરજેડીનું ગઠબંધન 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
ભાજપને જનતાનો જવાબ મળ્યો - પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને જેએમએમના નેતા હેમંત સોરેનને અભિનંદન પાઠવ્યાં અને ભાજપને જનતાનો જવાબ મળી ગયો છે.
ઝારખંડની જનતાનો આભાર : નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ઝારખંડની જનતાનો આભાર માન્યો છે. તેમણે લખ્યું સેવા કરવાની તક આપવા બદલ આભાર. અમે આવનારા સમયમાં રાજ્ય અને લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવતા રહીશું.
આ નવા અધ્યાયની શરૂઆત - હેમંત સોરેન
ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા હેમંત સોરેને એક પત્રકારપરિષદમાં કહ્યું, "ઝારખંડ રાજ્યની 40 દિવસની ચૂંટણીયાત્રાનો આજે અંતિમ દિવસ છે. ઘણી બાબતો અત્યાર સુધી સ્પષ્ટ થઈ ચૂકી છે."
"પરિણામોનાં અત્યાર સુધીનાં જે વલણો છે એ પ્રમાણે મતદારોએ અમને જનાદેશ આપ્યો છે. હું જનતાનો આભાર માનું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આજનો દિવસ મારી માટે સંકલ્પ લેવાનો દિવસ છે. આ રાજ્યની જનતાની આકાંક્ષાઓ પૂરી કરવાનો સંકલ્પ."
"એક નવો અધ્યાય આ રાજ્ય માટે શરૂ થશે. હું વિશ્વાસ અપાવું છું કે લોકોની આશાઓ તૂટશે નહીં, પછી તે કોઈ પણ સમુદાયના કેમ ન હોય."
ઝારખંડમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ ઉપેક્ષિત?
ઝારખંડમાં પહેલી વિધાનસભાની ચૂંટણી વર્ષ 2005માં યોજાઈ. આ ચૂંટણીમાં માત્ર બે જ મુસલમાન ધારાસભ્યો ચૂંટાયા. બીજી વિધાનસભાની ચૂંટણી વર્ષ 2009માં યોજાઈ, જેમાં સૌથી વધારે એટલે કે પાંચ મુસલમાન ધારાસભ્યો તરીકે ચૂંટાયા.
વર્ષ 2009માં ઝારખંડ વિધાનસભાની ચૂંટણી બહુકોણીય હતી અને તેનો ફાયદો મુસ્લિમ ઉમેદવારોને મળ્યો હતો. એ વખતે પાંચ મુસ્લિમો ધારાસભ્યો તરીકે ચૂંટાયા, જેમાંથી બે કૉંગ્રેસમાં, બે ઝારખંડ મુક્તિ મોરચામાં અને એક બાબુલાલ મંરાડીના પક્ષ ઝારખંડ વિકાસ મોરચામાંથી હતા.
વર્ષ 2014માં વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત મુસલમાનોનું પ્રતિનિધિત્વ બે બેઠકો પર સમેટાઈ ગયું. એ વખતે આલમગીર આલમ અને ઇરફાન અંસારી કૉંગ્રેસની ટિકિટો પરથી જીત્યા હતા.
વર્ષ 2011ની વસતિગણતરી અનુસાર ઝારખંડમાં મુસલમાનોની વસતિ 15 ટકા હતી. જોકે, વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ ના બરોબર છે.
અહીંના સંથાલ પરગણાના દેવધર, ગોડ્ડા, જામતાડા, સાહેબગંજ અને પાકુડ ઉપરાંત લોહરદગા અને ગિરડીહમાં મુસલમાનોની વસતિ સૌથી વધુ છે. સાહેબગંજ અને પુકડમાં મુસલમાનોની કુલ વસતિ 30 ટકા છે. જ્યારે દેવધર, ગોડ્ડા, જામતાડા, લોહરદગા અને ગિરિડીહ જિલ્લામાં મુસલમાનોની વસતિ 20 ટકા છે,
ભાજપે અત્યાર સુધી ઝારખંડમાં કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી આપી. ઝારખંડના મુખ્ય મંત્રી રઘુબર દાસને જ્યારે આ પૂછવામાં આવ્યું કે રાજ્યની વસતિમાં મુસલમાન 15 ટકા હોવા છતાં પક્ષ તેમને ટિકિટ કેમ નથી આપતી તો તમને અસહજ નથી અનુભવાતું? તેમણે બીબીસીને જણાવ્યું, "ભાજપ કોઈને પણ ધર્મ કે જાતિના આધેર ટિકિટ નથી આપતો. ભાજપ એ જ ઉમેદવારને ટિકિટ આપે છે, જેનામાં જીતવાની ક્ષમતા હોય."
અહીં એ વાત પણ નોંધવી રહી કે વર્ષ 1995માં ભાજપે જ્યારે રઘુબર દાસને જમશેદપુર પૂર્વમાંથી ઉમેદવાર બનાવ્યા ત્યારે તેમના વિજયનો કોઈને અંદાજો નહોતો. ભાજપના દિગ્ગજ નેતા દીનાનાથ પાંડેને હઠાવીને રઘુબર દાસને ટિકિટ મળી હતી.
રઘુબર દાસે બીબીસીને એવું પણ જણાવ્યું કે તેમના પક્ષે આ વખતે ત્રણ ખિસ્તી આદિવાસીઓને ટિકિટ આપી છે.
'રાષ્ટ્રીય મુદ્દા'ના રાજકારણે ભાજપનો ખેલ બગાડ્યો?
ઝારખંડની ચૂંટણીના પરિણામનું વલણ સ્પષ્ટ કરે છે કે રાજ્યની જનતાએ રાષ્ટ્રીય મુદ્દાને બદલે સ્થાનિક સમસ્યાઓને વધારે મહત્ત્વ આપ્યું છે અને ભાજપના મુદ્દા પ્રજાને સ્પર્શી નથી શક્યા.
'એનડી ટીવી'ના અહેવાલ અનુસાર કૉંગ્રેસ-જેએમએમના ગઠબંધનને અત્યાર સુધીનાં વલણોમાં પૂર્ણ બહુમતી મળી ચૂકી છે. કૉંગ્રેસ, આરજેડી, જેએમએમ ફાયદામાં છે, જ્યારે જેવીએમ, આજસુ અને અપક્ષો નુકસાનમાં છે. ઝારખંડમાં ગઠબંધનને મળી રહેલા વિજય પર તેજસ્વી યાદવે કહ્યું, "રાજ્યની જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે અને બેરોજગારી વધી રહી છે. આ તમામ કારણોથી ઝારખંડની પ્રજાએ અમારા ગઠબંધનને સમર્થન આપ્યું. "
કૉંગ્રેસના ગઠબંધને આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પર ભાર આપ્યો હતો અને આદિવાસીઓની સમસ્યા, જળ, જંગળ અને જમીનના મુદ્દા ઉઠાવ્યા હતા.
ભાજપે ચૂંટણીપ્રચાર શરૂ કર્યો ત્યારે રામમંદિરનો નિર્ણય આવી ગયો હતો. ભાજપે તમામ ચૂંટણીસભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ 370 હઠાવવાનો ઉલ્લેખ લગભગ તમામ ચૂંટણીસભામાં થવા લાગ્યો. નાગરિકતા સંશોધન બિલ પસાર થયું તો એનો ઉલ્લેખ પણ ચૂંટણીનાં ભાષણોમાં થવા લાગ્યો પણ સ્થાનિક સમસ્યાઓના જે મુદ્દા વિપક્ષે ઉઠાવ્યા, ભાજપ એનો જવાબ ન આપી શક્યો.
એક ચૂંટણીસભામાં અપેક્ષા કરતાં ઓછા લોકો આવ્યા ત્યારે અમિત શાહે કહ્યું હતું કે તેઓ પોતપોતાનાં ઘરે જાય અને 50-50 લોકોને ફોન કરીને ભાજપને મત આપવા માટે કહે. તેમણે એવું પણ કહ્યું હતું કે 'આટલી સંખ્યામાં ચૂંટણી જીતી શકાય નહીં. '
ચૂંટણીપ્રચાર દરમિયાન એક વાત એવી પણ જોવા મળી કે ભાજપના ચૂંટણીપ્રચારનાં પોસ્ટરોમાં નરેન્દ્ર મોદી સાથે રઘુબર દાસ જોવા મળ્યા પણ અન્ય સ્થાનિક નેતાઓની ગેરહાજરી જણાઈ હતી.. જ્યારે કૉંગ્રેસ-જેએમએમ-આરજેડીના ગઠબંધને ચૂંટણીપ્રચારમાં જે પોસ્ટરો છાપ્યાં તેમાં સ્થાનિક નેતાઓને મહત્ત્વ આપ્યું હતું.
હેમંત સોરેન મુખ્ય મંત્રી બનશે?
કૉંગ્રેસના ઝારખંડના પ્રભારી આરપીએન સિંહે જણાવ્યું છે કે હેમંત સોરેન રાજ્યના મુખ્ય મંત્રી બનશે. તેમણે કહ્યું, "અમને વિશ્વાસ છે કે રાજ્યમાં ગઠબંધનને બહુમત મળશે અને હેમંત સોરેન અમારા ગઠબંધન તરફથી મુખ્ય મંત્રી બનશે."
હાલમાં હેમંત સોરેન બન્ને બેઠકો પરથી આગળ ચાલી રહ્યા છે.
ઝારખંડની દુમકા અને બરહેટ વિધાનસભાની બેઠકો પરતી સોરેન આગળ ચાલી રહ્યા છે.
આ પહેલાં રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવે કહ્યું કે ઝારખંડમાં મહાગઠબંધન વિજય હાંસલ કરવા જઈ રહ્યું છે અને હેમંત સોરેન રાજ્યના મુખ્ય મંત્રી બનશે.
રાજ્યમાં ભાજપના નેતૃત્વ પર સવાલ
વરિષ્ઠ પત્રકાર નિસ્તુલા હેબ્બારના મતે રાજ્યમાં ભાજપનું નેતૃત્વ નબળું પડ્યું છે.
બીબીસીની હિંદી સેવા સાથેના ફેસબુક લાઇવમાં નુસ્તુલાએ પોતાનો મત વ્યક્ત કર્યો કે મોટા ભાગના નિર્ણયો નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં સ્તરે જ લેવાતા હોવાથી નેતૃત્વ નબળું પડ્યું છે.
તેઓ જણાવે છે, "વાજપેયીના સમયમાં ભાજપમાં પ્રાદેશિક સ્તરે મજબૂત લોકો હતા અને તેમાં મોદી પોતે પણ સામેલ હતા. જોકે, હવે રાજ્યોમાં એવું નેતૃત્વ નજરે પડતું નથી"
ભાજપની સરકાર બનશે : રઘુબર દાસ
ગઠબંધન બહુમતી તરફ પણ રઘુબર દાસે કહ્યું ભાજપની સરકાર બનશે
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના બપોરે 12 વાગ્યા સુધીનાં વલણોમાં કૉંગ્રેસ, ઝારખંડ મુકિત મોરચા અને રાષ્ટ્રીય જનતા દળનું ગઠબંધન 42 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ભાજપ 28 બેઠકો પર અને અન્ય 11 બેઠકો પર આગળ ચાલે છે.
વલણો વિરુદ્ધ હોવાં છતાં ઝારખંડના મુખ્ય મંત્રી રઘુબર દાસનું કહેવું છે કે અમે પૂર્ણ બહુમત મેળવીશું અને રાજ્યમાં ભાજપની આગેવાનીમાં જ સરકાર બનશે.
એમણે કહ્યું કે વલણોએ અંતિમ પરિણામ નથી.
મુદ્દોને પસંદ કરવામાં ભાજપે ભૂલ કરી?
ઝારખંડની ચૂંટણીનાં પરિણામોમાં આવી રહેલાં પ્રારંભિક વલણો જોતાં ભાજપને પછડાટ મળી રહી છે.
ભાજપે ચૂંટણીપ્રચારના પ્રારંભમાં આર્ટિકલ 370, રામમંદિર અને ત્રણ તલાક જેવા મુદ્દાઓ પર પ્રચાર કર્યો, જોકે બાદના તબક્કામાં પક્ષ નાગરિક સંશોધન કાયદા તરફ વળી ગયો.
બીજી બાજુ, વિપક્ષે સ્થાનિક મુદ્દાઓને મહત્ત્વ આપ્યું. રોજગારી, પાણીની અછત, 'જળ, જંગલ અને જમીન'નું રક્ષણ અને ઍન્ટી લિંચિગનો કાયદો, આ મુદ્દાઓ પર વિપક્ષે ચૂંટણી લડી.
વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 37 બેઠકો મળી હતી અને પાંચ બેઠકો જીતનારા ગઠબંધનના સહયોગી આજસુ સાથે મળીને તેણે સરકાર રચી હતી.
આ ઉપરાંત ચૂંટણી બાદ બાબુલાલ મરાંડીના નેતૃત્વવાળો જેવીએમ-પી પોતાના છ ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થઈ ગયો હતો.
ઝારખંડ વિકાસ મોરચા (પ્રજાસત્તાક)ના નેતા બાબુલાલ મરાંડીએ કહ્યું છે કે પરિણામો તેમની આશા અનુસાર નથી આવ્યાં.
રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવે કહ્યું છે કે ઝારખંડમાં મહાગઠબંધન વિજય હાંસલ કરવા જઈ રહ્યું છે અને હેમંત સોરેન રાજ્યના મુખ્ય મંત્રી બનશે.
કૉંગ્રેસ-ઝારખંડ મુક્તિ મોરચા- આરજેડીને વલણોમાં બહુમતી મળી રહી છે.
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં જોવા મળી રહેલાં વલણોનું ચિત્ર કંઈક આ પ્રકારનું છે.
9.00 કલાકે
મતગણતરીમાં કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાનું ગઠબંધન 42 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે ભાજપ 29 બેઠકો પર આગળ છે અને અન્ય પક્ષો 10 બેઠક પર આગળ છે.
દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને ચર્ચાઓ તેમજ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આ ચૂંટણી સત્તાધારી ભાજપ પક્ષ માટે કસોટી માનવામાં આવે છે.
ઝારખંડમાં મુખ્ય મંત્રી રઘુવર દાસના નેતૃત્વમાં ભાજપની સરકાર છે.
ઝારખંડ ભાજપના પ્રવક્તા અજય રાયે બીબીસી સંવાદદાતા સલમાન રાવીને કહ્યું છે કે રાજ્યમાં પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બનશે.
ભાજપ કાર્યાલયની સ્થિતિ
2000ની સાલમાં બિહારથી છૂટા થઈને ઝારખંડ અસ્તિત્વમાં આવ્યું તે પછી 5 વર્ષનો સમય પૂર્ણ કરનારા રઘુવર દાસ પ્રથમ મુખ્ય મંત્રી છે.
ભાજપે 2014ની ચૂંટણીમાં 37 સીટ જીતી હતી. એ સમયે ભાજપને ઝારખંડ મુક્તિ મોરચાના 6 સભ્યોનું સમર્થન પ્રાપ્ત હતું.
મતગણતરી શરૂ થઈ ગઈ છે અને ભાજપ શરૂઆતથી પાછળ છે ત્યારે રાંચીમાં આવેલા ભાજપના કાર્યાલય પર સન્નાટાનો માહોલ છે.
પ્રથમ એક કલાકમાં ભાજપ પાછળ
ઝારખંડમાં મતદાન બે દિવસ અગાઉ શુક્રવારે પૂર્ણ થયું હતું.
ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં 81 બેઠક માટે 5 ચરણમાં મતદાન થયું હતું.
પહેલા અને બીજા ચરણમાં 13-13 બેઠક પર મતદાન થયું. જ્યારે ત્રીજા અને ચોથા ચરણમાં 15-15 બેઠક પર અને છેલ્લા ચરણમાં 16 બેઠક પર મતદાન થયું હતું.
ત્રિશંકુ વિધાનસભાનું અનુમાન
આઇએએનએસ-સી વૉટર-એબીપીના અહેવાલ અનુસાર ઝારખંડમાં ત્રિશંકુ વિધાનસભા બનશે.
તેમના અહેવાલ મુજબ ભાજપને 32, કૉંગ્રેસ અને તેના ગઠબંધનને 35 બેઠક મળી શકે છે.
જ્યારે એજેએસયુને 5 બેઠક મળી શકે છે અને અન્યોને 9 બેઠક મળી શકે છે.
ઉલ્લેખનીય છે ઍક્ઝિટ પોલનાં તારણો સાચાં પડે જ તેવું નથી હોતું.
ઇન્ડિયા ટુડે-માય ઍક્સિસના અહેવાલ અનુસાર ઝારખંડમાં કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર બનવાની સંભાવના છે.
કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા 38થી 50 બેઠકો જીતી શકે તેમ લાગી રહ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી 22-32 બેઠક મેળવી શકે છે.
ઍક્ઝિટ પોલ અનુસાર ઝારખંડ વિકાસ મોરચા (જેવીએમ) 2થી 4 સીટ અને ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (એજેએસયુ) 3થી 5 સીટ જીતી શકે છે.
ઇન્ડિયા ટુડેના ઍક્ઝિટ પોલ અનુસાર કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાના ગઠબંધનને 37 ટકા વોટ મળી શકે છે. જ્યારે ભાજપને 34 ટકા વોટ મળી શકે છે.
રઘુવર દાસ વિરુદ્ધ સરયૂ રાય
આ ચૂંટણીમાં અનેક મોટા નેતાઓનું નસીબ દાવ પર છે.
મુખ્ય મંત્રી રઘુવર દાસનો મુકાબલો ભાજપના બળવાખોર નેતા સરયૂ રાય સામે છે.
સરયૂ રાય મુખ્ય મંત્રી સામે જમશેદપુરથી અપક્ષ લડવા તૈયાર થઈ જતા ભાજપે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
ભાજપે સરયૂ રાયને ટિકિટ આપવાની ના પાડી હતી. સરયૂ રાયનો આરોપ હતો કે આવું મુખ્ય મંત્રીના કહેવાથી કરવામાં આવ્યું.
મુખ્ય મંત્રી રઘુવર દાસ પણ સત્તાવિરોધી વાતાવરણનો સામનો કરી રહ્યા છે.
આ સિવાય હેમંત સોરન તેમજ પૂર્વ નાયબ મુખ્ય મંત્રી સ્ટીફન મરાંડી પણ ચૂંટણી લડી રહ્યા છે.
નાગરિકતા કાયદો નરેન્દ્ર મોદી અને અમિત શાહને ફળશે?
ઝારખંડની ચૂંટણીમાં ભાજપે અનુચ્છેદ 370, રામમંદિર અને ટ્રિપલ તલાકના મુદ્દાઓનો પ્રચાર કર્યો હતો.
જોકે, પાછળથી ભાજપનો ઝોક નાગરિકતા સંશોધન કાયદા પર વધારે રહ્યો.
વિપક્ષે સ્થાનિક મુદ્દાઓ રોજગારી, પાણી, જંગલ જમીન અને ઍન્ટિ લિંચિંગ કાયદાને મહત્ત્વ આપ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો