You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિત્યાનંદ આશ્રમ કેસ : વિવાદિત DPS ઇસ્ટ સ્કૂલને ગુજરાત સરકારે પોતાના હસ્તક લીધી
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
સ્વામી નિત્યાનંદના આશ્રમ કેસ થકી શરૂ થયેલા આવેલી ડીપીએસ ઇસ્ટ સ્કૂલ વિવાદમાં હવે નવી વિગતો ઉમેરાઈ છે. સીબીએસઈએ જેની માન્યતા રદ કરી છે તે સ્કૂલની જવાબદારી હવે ગુજરાત સરકારે સ્વીકારી છે.
આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આ શૈક્ષણિક સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ 1થી 12ના જે પણ વિદ્યાર્થીઓ આ શાળાના છે તેઓ અહીં જ ભણશે.
એમણે વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને આ ઐતિહાસિક નિર્ણય સરકારે કર્યો હોવાનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડીપીએસ ઇસ્ટ સ્કૂલના વાલીઓ તેની માન્યતા રદ થવાને લઈને વિરોધ-પ્રદર્શન કરી રહ્યાં હતાં. ગઈ કાલે મંગળવારે કેટલાક વિદ્યાર્થીઓએ રાત્રે પણ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
બાળકોને ગોંધી રાખવાનો અને યુવતીઓના લાપતા થવાના એક કેસમાં તપાસ દરમિયાન બહાર આવેલી વિગતોને કારણે ડીપીએસ-ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી હતી.
દક્ષિણ ભારતના સ્વામી નિત્યાનંદે અમદાવાદના છેવાડે ખોલેલા 'સર્વાજ્ઞપીઠમ' આશ્રમમાં બાળકોને ગોંધી રખાયાં હોવાની અને યુવતી લાપતા હોવાની ઘટના બની હતી.
એ કેસમાં આશ્રમના બે સંચાલિકાની ધરપકડ કરવામાં આવી છે.
આશ્રમ પર બાળકોને ગોંધી રાખવાનો અને બાળમજૂરીનો અને ધમકી આપવાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના પછી નિત્યાનંદના સર્વાજ્ઞપીઠમ આશ્રમને ડીપીએસ સ્કૂલની જમીન લીઝ પર કેવી રીતે આપવામાં આવી તે અંગે તંત્ર હરકતમાં આવ્યું હતું. જેની તપાસમાં શાળા પાસે અનેક કાયદાકીય મંજૂરીઓનો અભાવ હતો.
ડીપીએસ-ઈસ્ટની માન્યતા પર સવાલ
ડીપીએસ - પૂર્વ (હીરાપુર-મહેમદાબાદ) પાસે નિયમ મુજબ જરૂરી એવું સરકારના શિક્ષણ વિભાગનું એનઓસી (નૉ-ઑબ્જેક્શન સર્ટિફિકેટ) ન હોવાથી તેની માન્યતા રદ કરવામાં આવી છે.
સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન) દ્વારા પણ સરકારના શિક્ષણ વિભાગ અને સ્કૂલના પ્રિન્સિપાલને પત્ર મોકલીને પ્રોવિઝનલ જોડાણ પાછું ખેંચવાની જાણ કરી દેવામાં આવી છે.
ડીપીએસના જનસંપર્ક અધિકારી ઉન્મેષ દીક્ષિતે જણાવ્યું હતું કે સીબીએસઈને અમારો પ્રસ્તાવ સમજાવવા માટે ખૂબ સમય ઓછો મળ્યો છે.
દીક્ષિતે વધુમાં કહ્યું, "સીબીએસઈએ સુનાવણી માટેની કોઈ પણ તક આપ્યા વગર પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતને અવગણીને શાળાને એસસીએન આપ્યાના લગભગ સાત દિવસના જ સમયગાળામાં ઉતાવળે નિર્ણય લઈને રવિવારે જ શાળાનું માન્યતા રદ કરવાનો પત્ર મોકલ્યો હતો."
"સીબીએસઈને અમે દસ્તાવેજ તો મોકલ્યા, પરંતુ અમારે અમારો પક્ષ રજૂ કરવો પડે, એના માટે અમને સમય આપવો જોઈતો હતો."
જોકે, માન્યતા રદ થવાની સાથે જ શાળામાં અભ્યાસ કરી રહેલા બાળકો ઉપર પણ તેની અસર પડી છે.
જે વિદ્યાર્થી અહીં ભણતા હતા તેમનો શું વાંક?
માન્યતા રદ થયા બાદ ડીપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલસંચાલકોને મળવા ગયા હતા અને આચાર્ય હિતેશ પુરી સાથે બેઠક કરી હતી.
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં વાલી શોએબ શેખે જણાવ્યું હતું :
"અમે વાલીઓ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવાના છીએ. જેમાં અમારી રજૂઆત રહેશે કે અત્યાર સુધી સ્કૂલ પાસે એનએ (નૉન એગ્રિકલ્ચર) કે એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) નહોતું તો સ્કૂલ અત્યાર સુધી કેમ ચાલી?"
વાલીઓનો સવાલ છે કે 'જે વિદ્યાર્થી અહીં ભણતા હતા તેમનો શું વાંક?'
આ વિવાદમાં સરકારે બાળકોને પરીક્ષા આપવા દેવાની અને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની વાત કરી છે, પરંતુ તે વાત વાલીઓને વાજબી લાગતી નથી.
શોએબ શેખનું કહેવું છે કે "જો અન્ય સ્કૂલમાં બાળકને સેટ કરી દેવામાં આવે તો અમારૂં બાળક ત્યાં સેટ થશે?"
"આરટીઈ (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પણ આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા છે, તો એ કેવી રીતે આપવામાં આવ્યા?"
અન્ય એક વાલીએ કહ્યું કે "મિટિંગમાં અમને એવું પણ કહેવામાં આવ્યું છે કે શક્ય હશે તો વિદ્યાર્થીઓને ડીપીએસની અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં પણ પ્રવેશ આપીશું."
"સવાલ એ છે કે મણિનગરના વિદ્યાર્થીઓ છેક બોપલ ભણવા કેવી કેવી રીતે જશે?" વાલીઓએ આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવાની કવાયત હાથ ધરી છે.
ડીપીએસના જનસંપર્ક અધિકારી ઉન્મેષ દીક્ષિતે જણાવ્યું હતું કે "અમે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓની પડખે છીએ. તપાસમાં સહકાર આપશું."
મંજુલા શ્રોફ અને હિતેન વસંતની આગોતરા જામીનઅરજી
નિત્યાનંદ આશ્રમથી શરૂ થયેલો વિવાદ સ્કૂલની કાયદેસરની માન્યતા તરફ વળ્યો છે.
મંજુલા શ્રોફ અને હિતેન વસંત પર સીબીએસસી આગળ ખોટું 'નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ' રજૂ કરી મંજૂરી મેળવવાનો આરોપ છે અને ગુનો દાખલ થયો છે.
ત્યારે કેલોરેક્સના મૅનેજિંગ ડિરેકટર અને સીઈઓ મંજુલા શ્રોફ તથા તેમના પૂર્વ ભાગીદાર હિતેન વસંતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.
ઉલ્લેખનીય છે કે કેલોરેક્સ સમૂહના હેઠળ જ ડીપીએસ-ઈસ્ટ સ્કૂલ ચાલે છે.
રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયામાં જણાવ્યું હતું, "ડીપીએસ શાળાએ સીબીએસઈની માન્યતાના સંદર્ભે જે રજૂઆત કરી તેમાં બનાવટી દસ્તાવેજ રજૂ કરવા સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો છે."
"નોંધાયેલા ગુના હેઠળ હાલ પોલીસ તપાસ ચાલી રહી છે, જે કસૂરવાર હશે તે દિશામાં પોલીસ આગળ વધશે."
શિક્ષણ વિભાગનું કહેવું છે કે તેમણે કોઈ એનઓસી આ શાળાને આપ્યું નથી અને શાળાએ સીબીએસઈમાં રજૂ કરેલા દસ્તાવેજ ખોટા છે.
મંજુલા શ્રોફ અને હિતેન વસંત ક્યારે જાહેરમાં આવશે એ સવાલના જવાબમાં ઉન્મેષ દિક્ષીતે કહ્યું હતું કે મંજુલા શ્રોફ કાયદાકીય પ્રક્રિયાને મદદરૂપ થવા તૈયાર છે. યોગ્ય સમયે મીડિયા સમક્ષ ઉપસ્થિત થશે.
નિત્યાનંદ કેસથી બહાર આવી વિગતો
ડીપીએસ પૂર્વ-સ્કૂલના મૅનેજમૅન્ટ દ્વારા સ્વામી નિત્યાનંદના સર્વાજ્ઞપીઠમ આશ્રમને સ્કૂલની જમીન ભાડે આપવામાં આવી હતી.
એ આશ્રમમાંથી યુવતીઓ ગુમ થવાની અને બાળકોને ગોંધી રાખવાની ફરિયાદો થઈ અને એ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ થઈ હતી.
એ પછી આખો વિવાદ સામે આવ્યો હતો. પોલીસ ફરિયાદ તેમજ જમીન વિવાદના પ્રકરણને ધ્યાનમાં લઇને સીબીએસઈ દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને ઓનઓસીની તપાસ મુદ્દે જાણ કરવામાં આવી હતી.
રાજ્ય શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી જેમાં બહાર આવ્યું હતું કે, 2009માં સ્કૂલ તરફથી અરજી કરાઈ હતી, પરંતુ જમીન વગેરેના દસ્તાવેજ પૂરતા ન હોવાથી એનઓસીની અરજી નામંજૂર થઈ હતી.
આ બાબતે સરકારે સીબીએસઈને અહેવાલ મોકલ્યો હતો. ગુજરાત સરકારના અહેવાલને લઈને સીબીએસઈએ સ્કૂલને સાત દિવસમાં જવાબ આપવાની નોટિસ આપી હતી.
સ્કૂલે 29 નવેમ્બરે જે જવાબ રજૂ કર્યો હતો, તેને સીબીએસઈએ માન્ય રાખ્યો ન હતો અને એ રીતે સ્કૂલની માન્યતા રદ કરાઈ હતી.
સીબીએસઈએ લેટરમાં જણાવ્યું છે કે સ્કૂલને જે પ્રોવિઝનલ કે જનરલ એફિલિએશન અપાયું હતું એ રદ કરવામાં આવે છે, કારણ કે સીબીએસઈ સ્કૂલ તરીકેના જોડાણ માટે નિયમ મુજબ સ્કૂલ જે રાજ્યમાં હોય તે રાજ્યના શિક્ષણ વિભાગનું એનઓસી હોવું જરૂરી છે. ડીપીએસ સ્કૂલ પાસે સરકારનું 'બોનાફાઈડ એનઓસી' જ નથી તેથી સ્કૂલનું જોડાણ કે માન્યતા ટકી શકે નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો