You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ક્યાર' વાવાઝોડાને કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ
ગુજરાતમાં સુપર સાયક્લોન 'ક્યાર' વાવાઝોડાને લઈને અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.
મંગળવારે મોડી સાંજે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી અને વડોદરામાં વરસાદ વરસ્યો હતો. સાંજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
હવામાનવિભાગની આગાહી અનુસાર વાવાઝોડું પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે આગામી ત્રણ દિવસમાં તે ઓમાન-યમનના અખાતમાં પ્રવેશી જશે.
ઓમાની અખબાર 'ઓમાન ઑબ્ઝર્વર'ના જણાવ્યા અનુસાર 'ક્યાર' ઓમાન તરફ આગળ વધી રહ્યું છે અને રાસ મદરાકાથી 600 કિલોમિટર દૂર દરિયામાં છે.
જોકે, ભારતીય હવામાનવિભાગના જણાવ્યા અનુસાર 'ક્યાર'નું જોર ઘટ્યું છે.
મંગળવાર સવારની સ્થિતિ અનુસાર વાવાઝોડુ મુંબઈથી 980 કિલોમિટર દૂર અરબ સાગરમાં સ્થિત છે.
તો ક્યારને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારેથી અતિભારે પવન ફૂંકાઈ રહ્યો છે કલાકના 250 કિલોમિટર સુધી પવનની ઝડપ વધવાની આગાહી કરાઈ રહી છે.
ચોથી કૅટગરીમાં સમાવાયેલું આ વાવાઝોડું ગત દાયકા દરમિયાન અરબ સાગરમાં સર્જાયેલું સૌથી મોટું વાવાઝોડું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં અરબ સાગરમાં 'ક્યાર' જેવું જ શક્તિશાળી વાવાઝોડું વર્ષ 2007માં સર્જાયું હતું. 'ગોનુ' નામનું એ વાવાઝોડું ઓમાનમાં ત્રાટક્યું હતું અને તેણે ભારે તબાહી સર્જી હતી.
જોકે, ઓમાન પર ત્રાટકે એ પહેલાં વાવાઝોડું વિખેરાઈ જાય એવી સંભાવના છે.
ગુજરાત પર અસર
હવામાનવિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડશે.
'ક્યાર'ની અસરને પગલે રાજ્યના માછીમારોને આગામી પાંચ દિવસ દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે.
સોમવાર સાંજ બાદ વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગી છે અને હજુ વધારે ઘટે એવું મનાઈ રહ્યું છે.
હવામાનવિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર જયંત સરકારના જણાવ્યા અનુસાર 'ગુજરાત વાવાઝોડથી બચી તો ગયું છે પણ તેને લીધે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે.'
તો વાવાઝોડાને પગલે રાજ્યના દરિયાકિનારે સાડા ત્રણથી સાડા ચાર મીટર જેટલાં ઊંચા ઊછળી શકે છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ?
વાવાઝોડાની ગંભીરતા જોતાં ભારતીય તટરક્ષકદળે 9 જહાજ, 2 ડૉર્નિયર વિમાન અને એક ચેતક હેલિકૉપ્ટરને રાહત અને બચાવકામગીરીમાં લગાવ્યાં છે.
દળના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 2740 હોડીઓને વિવિધ બંદરોએ હંકારી જવાઈ છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જામનગરના કેટલાક વિસ્તારોમાં રવિવારે હળવો વરસાદ પડ્યો હતો.
ઉપરાંત સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હવામાન વાદળછાયું હતું.
દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે.
કમોસમી વરસાદને કારણે હાલ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં હાલ મગફળી, કપાસ, તલ, કઠોળ જેવા પાકોની સિઝન ચાલી રહી છે. કમોસમી વરસાદને કારણે આ પાકોને નુકસાન થવાની ભીતિ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો