You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહ સામે પડનાર શિવાકુમારને કૉંગ્રેસે કર્ણાટકના પ્રમુખ બનાવ્યા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કૉંગ્રેસે દિગ્ગજ નેતા ડીકે શિવાકુમારની કર્ણાટકના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે.
ડીકે શિવાકુમાર ગુજરાતમાં 2017માં થયેલી રાજ્યસભાની ચૂંટણીથી ચર્ચામાં આવ્યા હતા. એ વખતે તેમણે અમિત શાહ સામે રાજકીય દાવપેચની બાથ ભીડી હતી.
ઉલ્લેખનીય મની-લૉન્ડ્રિંગ કેસમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા ડી. કે. શિવાકુમારના જામીન દિલ્હી હાઈકોર્ટે મંજૂર કરેલા છે.
ત્રીજી સપ્ટેમ્બરે 2019ના રોજ રાત્રે ઍન્ફૉર્મમૅન્ટ ડિરેક્ટ્રેટે ડી. કે. શિવાકુમારની મની-લૉન્ડ્રિંગના આરોપસર ધરપકડ કરી હતી.
આ ધરપકડ પર કૉંગ્રેસનો આરોપ હતો કે સરકાર 'દ્વેષપૂર્વક' કાર્યવાહી કરી છે.
એ વખતે હાઈકોર્ટે તેમને 25 લાખ રૂપિયા જમા કરાવવાની શરતે જામીન આપ્યા હતા અને કહ્યું કે તેઓ દેશ નહીં છોડી શકે.
અદાલતે તેમને તપાસમાં સહકાર આપવા અને જરૂર પડ્યે ઈડી સમક્ષ હાજર થવા તથા સાક્ષી-પુરાવાઓ સાથે કોઈ છેડછાડ ન કરવાનું પણ કહ્યું હતું.
એ વખતે કૉંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ પણ તેમની જેલમાં મુલાકાત લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધરપકડની ગણતરીની મિનિટો બાદ શિવાકુમારના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ થયા હતા.
જેમાં તેમણએ ધરપકડ કરવાના મિશનમાં સફળ થવા બદલ હું ભાજપને અભિનંદન પાઠવ્યા હતા.
એમણે કહ્યું હતું કે"ઇન્ક્મટૅક્સ તથા ઈડીએ રાજકીય કારણોસર મારી વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. હું ભાજપની દ્વેષની રાજનીતિનો ભોગ બન્યો છું."
એ વખતે શિવા કુમારનું કહેવું હતું કે તેમણે કશું ખોટું નથી કર્યું અને ગુજરાતની એક ચૂંટણી દરમિયાન 'ચાવીરૂપ ભૂમિકા' ભજવવાને કારણે તેમની સામે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે.
ધરપકડ વખતે શિવાકુમારે પાર્ટીના કાર્યકરોને દેશના ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખવા આહ્વાન કર્યું હતું અને આ લડાઈને 'રાજકીય તથા કાયદાકીય' રીતે લડવાની વાત કહી હતી.
તેઓ એચ. ડી. કુમારસ્વામીના નેતૃત્વવાળી કૉંગ્રેસ-જેડીએસી યુતિ સરકારમાં પ્રધાન પણ રહ્યા હતા.
2017નો સંયોગ 2020માં
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની રાજ્યસભાની ચૂંટણી થવાની છે અને એવા સમયે કૉંગ્રેસે દિગ્ગજ નેતાને કર્ણાટકની જવાબદારી સોંપી છે એ એક સંયોગ છે.
ઑગસ્ટ-2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં હાઈ પોલિટિકલ ડ્રામા પછી અહમદ પટેલનો વિજય થયો હતો.
આ ચૂંટણીમાં જ અમિત શાહ સૌપ્રથમ વાર સંસદમાં પહોંચ્યા હતા. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની સાથે અહમદ પટેલની જીત થઈ હતી.
એ વખતે ભાજપના અધ્યક્ષ અમિત શાહ એ સમયે વ્યક્તિગત રીતે ચૂંટણી વ્યૂહરચના ઉપર નજર રાખી રહ્યા હતા.
રાજ્યસભાની એ ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવા માટે બેંગલુરુના રિસોર્ટમાં લઈ ગઈ હતી.
કૉંગ્રેસના ધારાસભ્યો સાચવવાની જવાબદારી ડી. કે. શિવાકુમાર અને તેમના ભાઈ એમપી ડી. કે. સુરેશે ઉપાડી હતી.
આ ઘટના બાદ ઇન્કમટૅક્સ વિભાગે કૉંગ્રેસના નેતા ડી. કે. શિવાકુમારને ત્યાં અને રિસોર્ટ પર પણ દરોડા પાડ્યા હતા.
એ સમયના મીડિયા અહેવાલો મુજબ ડી. કે. શિવાકુમાર સાથે સંકળાયેલાં 39 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ઇન્ક્મટૅક્સ વિભાગ દ્વારા સતત ત્રણ દિવસ સુધી દરોડાઓની કામગીરી કરવામાં આવી હતી.
ફકત ડી. કે. શિવાકુમાર જ નહીં તેમના સંબંધીઓ અને સગાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
એ દરોડા દરમિયાન જ સીસીડી અને વી. જી. સિદ્ધાર્થ ઇન્ક્મટૅક્સ વિભાગની નજરમાં આવ્યા હતા અને તેમનાં ઠેકાણાં પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
કથિત રીતે આ કાર્યવાહી બાદ જ સિદ્ધાર્થની પડતી શરૂ થઈ, જે તેમને આત્મહત્યા સુધી દોરી ગઈ.
કૉંગ્રેસની દીવાલ
મે-2018માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને 104, કૉંગ્રેસને 80 તથા જનતાદળ-સેક્યુલરને 37 બેઠક મળી હતી.
224 બેઠકમાંથી કુલ 222 બેઠક પેટા ચૂંટણી યોજાઈ હતી.
સૌથી મોટો પક્ષ હોવાને પગલે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ બી. એસ. યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.
વાળાએ યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે પંદર દિવસનો સમય આપ્યો હતો, જેની સામે કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વાળા તેમની કૅબિનેટમાં પ્રધાન હતા અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ તેમની સાથે જ પ્રધાન હતા.
સુપ્રીમ કોર્ટે બહુમતી સાબિત કરવાની સમયમર્યાદાને ઘટાડીને ત્રણ દિવસની કરી દીધી હતી.
નિર્ધારિત સમયમાં યેદિયુરપ્પા બહુમતી સાબિત કરી શક્યા ન હતા અને તેમણે રાજીનામું ધરી દીધું હતું.
કૉંગ્રેસે જેડીએસ નેતા એચ. ડી. કુમારસ્વામીને મુખ્યંત્રી તરીકે સ્વીકારીને તેમના નેતૃત્વમાં સરકાર રચવાનો માર્ગ અપનાવ્યો.
કુમારસ્વામીની આ સરકાર 19 મહિના સુધી ચાલી. જુલાઈ-2019માં લોકસભાની ચૂંટણી બાદ ફરી એક વખત કર્ણાટકમા રાજકીય સંકટ ઊભું થયું.
લોકસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં એનડીએને 28માંથી 26 બેઠક મળી હતી.
કૉંગ્રેસ અને જેડીએસની યુતિના નારાજ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં.
નારાજ ધારાસભ્યોએ મહારાષ્ટ્રની એક હોટલમાં મુકામ કર્યો હતો, ત્યારે પણ ડી. શિવાકુમારે તેમને મળીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
કુમારસ્વામી સરકારને બચાવવાના ડી. શિવાકુમારના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા અને જુલાઈ-2019માં યેદિયુરપ્પા ફરી એક વખત કર્ણાટકના મુખ્ય મંત્રી બન્યા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો