જ્યોર્જ ફર્નાન્ડિઝ અને જયા જેટલી વચ્ચે ખરેખર શો સંબંધ હતો?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝના અને તેમની સાથે રહેતાં જયા જેટલી તથા પૂર્વ વડા પ્રધાન અટબિહારી વાજપેયી અને રાજકુમારી કૌલના સંબંધો હંમેશાં ચર્ચામાં રહ્યા છે.
જોકે, આ સંબંધોને તેમણે ક્યારેય નામ આપવાનો પ્રયત્ન કર્યો ન હતો અને ખુલ્લા દિલે સ્વીકાર્યા પણ હતા.
જ્યોર્જ ફર્નાન્ડિઝના નિધન થયા બાદ લોકોએ આ મામલે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ કરી હતી.
ઘણા લોકોએ તો સોશિયલ મીડિયા પર જયા જેટલીને શોક સંદેશા મોકલાવ્યા હતા.
"હું જયા જેટલી વિશે વિચારી રહી છું. આપણે જે દુનિયામાં રહીએ છીએ ત્યાં બહુ જ અન્યાય થાય છે. ભગવાન તેમને હિંમત અને શાંતિ આપે."
"જયા જેટલીને હિંમત મળે-જે તેમને પ્રેમ કરતાં હતાં અને જેમણે તેમનો ખ્યાલ રાખ્યો જ્યારે તેમના પરિવાર સહીત બાકીના તેમને છોડીને જતા રહ્યા."
"જ્યોર્જ ફર્નાન્ડિઝ, જેમના એક બંધના એલાનથી આખી ભારતીય રેલવેનું કામ ઠપ્પ થઈ જતું હતું, એ નથી રહ્યા. આ સમયમાં હું, લાંબા સમય સુધી તેમના મિત્ર રહેલાં જયા જેટલી વિશે વિચારી રહી છું."

ઇમેજ સ્રોત, TWITTER
ભૂતપૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝના અવસાન ઉપર ટ્વિટર ઉપર આ શોક સંદેશ જયા જેટલીને લખવામાં આવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જયા જેટલી, જ્યોર્જ ફર્નાન્ડિઝ સાથેના પોતાના સંબંધને દોસ્તીનું નામ જ આપતા આવ્યાં છે.
એ અલગ વાત છે કે તેઓ ઘણાં વર્ષો તેમની સાથે તેમના ઘરમાં જ રહ્યાં, જેને સાદી ભાષામાં 'લિવ-ઈન રિલેશનશિપ'ની સંજ્ઞા આપવામાં આવી છે.
જોકે, સામાન્ય જનતાએ આ નેતાઓને 'લિવ-ઈન રિલેશનશિપ'માં હોવાને લીધે નકાર્યા નહોતા, ના તો આ નેતાઓએ આ સચ્ચાઈને ક્યારેય છુપાવી.
જયા જેટલીએ બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ સાથેની વાતચીતમાં જ્યોર્જ અને તેમના સંબંધો વિશે ખુલ્લીને વાત કરી હતી.

જ્યા અને જ્યોર્જ વચ્ચેનો સંબંધ

ઇમેજ સ્રોત, JAYA JAITLY
જ્યારે જયા જેટલીને પૂછ્યું કે જ્યોર્જ માત્ર તમારા મિત્ર હતા કે તેનાથી પણ વધારે?
જયાનો જવાબ હતો, "ઘણા પ્રકારના મિત્રો હતા અને મિત્રતાના પણ ઘણા સ્તર હોય છે."
"મહિલાઓને એક પ્રકારના બૌદ્ધિક સન્માનની જરૂરત હોય છે."
"આપણા પુરુષપ્રધાન સમાજમાં ઘણા લોકો વિચારે છે કે મહિલાઓ કમજોર દિમાગ અને શરીરની હોય છે."
"જ્યોર્જ એકમાત્ર શખ્સ હતા જેમણે મને વિશ્વાસ અપાવ્યો હતો કે મહિલાઓની પણ રાજકીય વિચારધારા હોય છે."

તમે આ વાંચ્યું કે નહીં?

"બીજું તેમની વિચારધારા ખૂબ જ માનવતાવાદી હતી. એકવાર તેઓ જેલમાં હતા અને પંખાની ઉપર બનેલા ચકલીના માળામાંથી તેમનાં બે-ત્રણ બચ્ચાં નીચે પડી ગયાં."
"બચ્ચાં ઊડી શકતાં ન હતાં. તેમણે પોતાની ટોપીથી એક માળો બનાવ્યો અને તેને પાળ્યાં હતાં."
"તેઓ ક્યાંય પણ જતા તો તેમના ખિસ્સામાં બે ટૉફી રાખતા હતા. ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટમાં એ ટૉફીઓ મફતમાં મળતી હતી."
"તેઓ બાળકોને જોતાં જ તેમને ટૉફીઓ આપી દેતા હતા. આ જ બાબતોએ અમને બંનેને જોડ્યાં હતાં. તેમાં રોમાન્સને કોઈ જ જગ્યા ન હતી."
જયા જેટલીના મતે તેમના સંબંધમાં રોમાન્સનું કોઈ તત્ત્વ ન હતું.

બંનેની મુલાકાત

ઇમેજ સ્રોત, WWW.GEORGEFERNANDES.ORG
જ્યોર્જ ફર્નાન્ડિઝનાં લગ્ન લૈલા કબીર સાથે થયાં હતાં.
વર્ષ 1977માં જ્યોર્જ ફર્નાન્ડિઝની મુલાકાત પ્રથમ વખત જ્યા જેટલી સાથે થઈ હતી.
તે સમયે તેઓ જનતા પાર્ટી સરકારમાં ઉદ્યોગમંત્રી હતા અને જયાના પતિ અશોક જેટલી તેમના સ્પેશિયલ આસિસ્ટન્ટ હતા.
જ્યાએ જ્યોર્જની સાથે કામ કરવાનું શરૂ કરી દીધું અને 1984 આવતા સુધીમાં જ્યોર્જ જયાને પોતાના દાંપત્ય જીવનની વાતો પણ કરવા લાગ્યાં.
જ્યોર્જનું દાંપત્ય જીવન એ સમયે ખૂબ ચડાવ-ઉતારમાંથી પસાર થઈ રહ્યું હતું.
જ્યા કહે છે, "તે સમયે તેમનાં પત્ની હંમેશાં બીમાર રહેતાં હતાં અને લાંબા સમય સુધી બ્રિટન અને અમેરિકા ચાલ્યાં જતાં હતાં."
"જ્યોર્જ જ્યારે બહાર જતા હતા તો તેમના પુત્ર શૉનને મારે ત્યાં મૂકી જતા હતા."
રાજકીય કામને લીધે થયેલી આ મિત્રતા સમયની સાથે ગાઢ બની.
જ્યારે જય અને તેમના પતિ અશોક જેટલી અલગ થઈ ગયા અને જ્યોર્જ તેમની પત્ની લૈલા કબીરથી અલગ થઈ ગયા, ત્યારે 1980ના દશકામાં જયા જ્યોર્જની સાથે રહેવા લાગ્યાં.
જયાએ કહ્યું તેમના સંબંધમાં 'રોમાન્સનું તત્ત્વ બિલકુલ નહોતું' પરંતુ લોકો ઘણી વાતો કરતા હતા.
ત્યારે જ્યોર્જ તેમને કહેતા હતા કે રાજનીતિ ફૂલોની પથારી નથી, એટલે રાહ ના જુઓ કે કોઈ તમારી પથારી સરખી કરશે.
જ્યોર્જની સાથે રહેવાનો તેમનો પોતાનો નિર્ણય હતો. જયા કહે છે કે જ્યોર્જે સ્પષ્ટ કહ્યું હતું કે બહુ મુશ્કેલ લાગવા લાગે, તો છોડીને જવા માટે આઝાદ છે. ત્યારનું વાતાવરણ આજ જેવું નહોતું

ઇમેજ સ્રોત, Twitter
આજથી 30 વર્ષ પહેલાં, જ્યારે 'લિવ-ઇન રિલેશનશિપ' વિશે ના તો ખુલ્લી ચર્ચા હતી, ના ખુલ્લા વિચારો અને ના તો સુપ્રીમ કોર્ટના કોઈ ચુકાદા અથવા ઘરેલું હિંસાના કાયદા દ્વારા આને કાયદેસર માન્યતા મળી હતી.
હવે કાયદાની નજરમાં લાંબા સમય સુધી સાથે રહેલાં પુરુષ અને સ્ત્રીને પરિણીત માનવામાં આવે છે, તેમનું સંતાન કાયદેસર ગણાય છે અને આવા સંબંધમાં રહ્યાની ઘટનામાં 'પત્ની'ની જ જેમ, સ્ત્રી ઘરેલું હિંસાની ફરિયાદ કરી શકે છે પરંતુ ત્યારે એમ નહોતું.
ત્યારે આ બંને નેતા પોતાનાં ઉચ્ચ સ્થાને હતાં, જ્યોર્જ ફર્નાન્ડિઝ રક્ષા મંત્રી હતાં અને જયા જેટલી સમતા પાર્ટીંનાં અધ્યક્ષ.
લેખિકા અને સ્તંભકાર શોભા ડે કહે છે કે જયા જેટલી અને જ્યોર્જ ફર્નાન્ડિઝ ફક્ત સમતા પાર્ટીમાં 'સાથે કામ કરનારા' સહયોગી નહોતા. તેમની વચ્ચેનો સંબંધ ફક્ત સમાજવાદી વિચારધારા સાથે જોડાયેલો નહોતો. તેમની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હતાં, જે જગજાહેર હતા અને તેમણે ક્યારેય એ છુપાવવાનો પ્રયત્ન નહોતો કર્યો.

જયા પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images
ઓછા લોકો જાણે છે કે 2010માં જ્યોર્જ ફર્નાન્ડિઝનાં પત્ની લૈલા કબીરે જયા જેટલીના તેમને મળવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.
વર્ષ 2008માં જ્યોર્જને 'અલઝાઇમર્સ'ની બીમારી થઈ હતી, તેમની યાદશક્તિ અને ઓળખવાની શક્તિ જવા લાગી.
લાંબી કાયદાકીય લડત બાદ 2014માં જયા જેટલીને દર 15 દિવસે ફક્ત 15 મિનિટ માટે જ્યોર્જ ફર્નાન્ડિઝને ફક્ત 15 મળવાની પરવાનગી મળી.
પરંતુ જીવન ઘણી કરવટો લે છે અને મંગળવારે પત્રકારો સાથે વાતચીતમાં જયાએ જણાવ્યું કે જ્યોર્જના અવસાનની ખબર તેમને લૈલા કબીરે જ આપી હતી અને ઘરે બોલાવી લીધાં હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












