વૉટ્સઍપ પર હવે દુનિયાભરના યૂઝર્સ માત્ર પાંચ મૅસેજ ફૉરવર્ડ કરી શકશે

ઇન્સ્ટન્ટ મૅસેજિંગ એપ્લીકેશન વૉટ્સઍપે ફેક ન્યૂઝ સામે લડવા માટે પગલું ભર્યું છે.

વૉટ્સઍપે સમગ્ર દુનિયાના યૂઝર્સ માટે મૅસેજ ફૉરવર્ડ કરવાની સીમા નક્કી કરી લીધી છે.

હવે એક યૂઝર એક મૅસેજને વધારેમાં વધારે પાંચ વખત જ શૅર કરી શકશે.

ફેસબુકની માલિકી ધરાવતી કંપની વૉટ્સઍપે આ ફીચર ભારતમાં છ મહિના પહેલાં ઉતાર્યું હતું.

વર્ષ 2017માં મૉબ લિંચિંગની ઘટનાઓ ઍપ પર ફેક મૅસેજ ફેલાવાના કારણે થઈ હતી. ત્યારબાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું હતું.

અત્યાર સુધી દુનિયાભરના યૂઝર્સ 20 વખત મૅસેજ ફૉરવર્ડ કરી શકતા હતા.

બીબીસી સાથે વાત કરતા કંપનીએ કહ્યું, "લગભગ અડધા વર્ષ સુધી આ નિયમના પરિણામનું અધ્યયન કરી અમે તેને દુનિયાભરમાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે."

"ફૉરવર્ડ લિમિટ ફીચરમાં યૂઝર કેટલા મૅસેજ પોતાના ઓળખીતા લોકોને ફૉરવર્ડ કરી શકે છે તેની સંખ્યા ઘટાડી દેવાઈ છે."

"આમ કરીને અમે વૉટ્સઍપને પ્રાઇવેટ મૅસેજ મોકલવાનું પ્લેટફોર્મ સારી રીતે બનાવી શકીશું."

"અમે લોકો પાસેથી તેમના ફીડબેક લેતા રહીશું. આગામી સમયમાં વાઇરલ કન્ટેન્ટ પર નિયંત્રણ મેળવવા માટે નવા વિકલ્પ પણ લાવીશું."

તમે આ વાંચ્યું કે નહીં?

વૉટ્સઍપ ગ્રૂપની સીમા 256 યૂઝર્સની છે. નવા ફીચરની સાથે હવે એક યૂઝર ગ્રૂપની મદદથી 1280 લોકો સુધી મેસેજ પહોંચાડી શકે છે.

પહેલાં એક મૅસેજને એક યૂઝર 5120 લોકો સુધી પહોંચાડી શકતો હતો.

આ પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે ફેસબુક અને વૉટ્સઍપને ફેક ન્યૂઝ ફેલાવતા સૌથી મોટા પ્લેટફૉર્મ તરીકે લોકો જોવા લાગ્યા છે.

ગત અઠવાડિયે ફેસબુકે જણાવ્યું હતું કે લગભગ 500 ફેસબુક પેજને હટાવી દેવાયાં છે.

આ પેજ પર મધ્ય યૂરોપ, યુક્રેન અને પૂર્વી યૂરોપીય દેશોમાં ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ હતો.

વર્ષ 2018ના અંતમાં ભારતમાં સરકારે વૉટ્સઍપ સાથે ઘણી બેઠકોનું આયોજન કર્યું હતું.

ભારત સરકારે કહ્યું હતું કે ફેક ન્યૂઝ રોકવા માટે વૉટ્સઍપ કડક પગલાં ઉઠાવવાં પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો