You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણ : 1984 શીખ હિંસાને ‘મરેલું મડદું’ કહેનારી કૉંગ્રેસની સચ્ચાઈ 2002ના ભાજપથી કેટલી અલગ?
- લેેખક, મનોજ મિત્તા
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ભારતીય સંસદના ઈતિહાસનો સૌથી દુ:ખદ અધ્યાય નવેમ્બર 1984માં લખવામાં આવ્યો.
દિલ્હીના રસ્તાઓ પર સતત ત્રણ દિવસ સુધી શીખોનો સંહાર થતો રહ્યો. સંસદે ઇંદિરા ગાંધીની હત્યા પછી થયેલી શીખોની હત્યાઓની નિંદા કરતો કોઈ પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો નહીં.
જ્યારે નવી સરકારની રચના પછી તુરંત જાન્યુઆરી, 1985માં રાજીવ ગાંધી સરકારે ઇંદિરા ગાંધીની હત્યા અને ભોપાલ ગેસ દુર્ઘટનાના મૃતકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું.
ફેબ્રુઆરી 1987માં એક વધુ ભૂલ થઈ. 1984ની કોમી હિંસા ઉપરનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો.
સદનમાં ભારે બહુમતીનો દુરૂપયોગ કરતા રાજીવ ગાંધીની સરકારે ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્ર કમિશનના અહેવાલ પર સદનમાં ચર્ચાની પરવાનગી ન આપી.
સરકાર અથવા કૉંગ્રેસ પાર્ટીના કોઈ પણ નેતાના આરોપથી દૂર રહેવા છતાં આવું કરવામાં આવ્યું.
તમે આ વાંચ્યું કે નહીં?
સંસદમાં 21 વર્ષ બાદ ચર્ચા
આ મુદ્દા પર સંસદનું મો દબાવવાનું સરકારના પોતાના એ અડીયલ વલણને દર્શાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટના કાર્યરત જજની તપાસમાં મળેલી ક્લિન ચીટથી તેનામાં આ હિંમત આવી હતી.
મિશ્રને ભારતના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા, તેઓ માનવાધિકાર કમિશનના પહેલા અધ્યક્ષ બન્યા અને પછી રાજ્યસભામાં કૉંગ્રેસની ટિકિટ પર સાંસદ પણ બન્યા.
ઑગસ્ટ 2005માં જ્યારે મનમોહન સિંઘ સરકારે આ જ વિષય પર અન્ય તપાસ કમિશનના અહેવાલને સંસદમાં રજૂ કર્યો, ત્યારે 21 વર્ષ જૂની ઘટના પર સંસદમાં ચર્ચા થઈ.
એ પણ એટલા માટે કે કેન્દ્ર સરકારને ન્યાયમૂર્તિ નાણાવટી કમિશનની તપાસનો અહેવાલ સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવી.
આ અહેવાલમાં એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાઈ હોવા છતાં સજ્જન કુમારને દોષી નહીં ઠેરવવાની વાતનો ઉલ્લેખ હતો.
રસપ્રદ છે કે જે ન્યાયાધીશે 1984ની કોમી હિંસાની ફરીવાર તપાસ કરી, તેમણે જ 2002ના ગુજરાત કોમી રમખાણોની તપાસ કરી હતી.
નાણાવટી કમિશને નવેમ્બર 2014માં ગુજરાત કોમી હિંસા પર પોતાનો અહેવાલ રજૂ કર્યો.
આ અહેવાલના આવ્યા બાદ ગુજરાતની ભાજપ સરકાર 1987ની કૉંગ્રેસ કરતાં બે પગલાં આગળ વધી ગઈ.
ભાજપ કરતાં કૉંગ્રેસ કેટલી અલગ?
ગોધરા કાંડ પછી થયેલી હિંસા પર નાણાવટી અહેવાલ છ મહિનાની બંધારણીય સમય અવધીના ઉલ્લંઘન પછી પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો નહીં.
કદાચ ભાજપ પાસે આ જ આશા હતી, જેને વૈચારિક રીતે સાંપ્રદાયિક માનવામાં આવે છે.
પરંતુ ગાંધી અને નહેરુની ધર્મનિરપેક્ષતાની વારંવાર યાદ અપાવતી કૉંગ્રેસ તેનાથી કેટલી જુદી હતી?
સજ્જન કુમારને દોષી ઠેરવ્યા પછી એ અવધારણાને બળ મળે છે કે વખત આવ્યે સાંપ્રદાયિક અવસરવાદી વલણ એ કૉંગ્રેસનો જૂનો ઇતિહાસ છે.
જો દિલ્હીમાં 1984 કોમી રમખાણો માટે એક રાજનીતિજ્ઞને દોષી ઠેરવવામાં 34 વર્ષ લાગે છે, તો નિશ્ચિતપણે તેને કૉંગ્રેસના શરૂઆતના શાસનકાળમાં અપરાધીઓને બચાવવા માટે સંસ્થાઓની કાર્યપદ્ધતિમાં દખલ સાથે જોડીને જોવું જોઈએ.
અતીતમાં ડોકિયું કરીએ તો રાજીવ ગાંધી હિંસાની તપાસ કરાવવા માટે એમ કહીને તૈયાર નહોતા થયા કે તેઓ એક 'મૃત મુદ્દા'ને ચગાવવા માગતા નથી.
મિશ્ર કમિશનની તપાસ
જોકે, ડિસેમ્બર 1984ની લોકસભા ચૂંટણીઓ અને માર્ચ 1985ની વિધાનસભા ચૂંટણીઓમાં રાજકીય લાભ લીધા બાદ રાજીવ ગાંધીને વહીવટી અનિવાર્યતા અંતર્ગત તપાસ કરાવવાની માગ સામે ઝૂકવું પડ્યું હતું.
આવું એ એટલા માટે પણ થયું કેમ કે અકાલી દળ નેતા સંત લોંગોવાલે પંજાબ સંકટના મામલે સરકાર તપાસ હાથ ન ધરે ત્યાર સુધી તેની સાથે વાટાઘાટો કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
મિશ્ર કમિશને કૅમેરાની સામે આ મામલાની તપાસ કરી, પરંતુ અનિચ્છાએ.
કમિશને ગોપનીયતાનો મુદ્દો ઉઠાવીને કૉંગ્રેસ પાર્ટીને દોષ મુક્ત કરી, એ ઉપરાંત નિયમોથી ઉપરવટ જઈને કૉંગ્રેસ પાર્ટીને નોટિસ પણ ન પાઠવી.
કૉંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓને દોષ-મુક્ત માનીને જસ્ટિસ મિશ્રએ એમ માન્યું કે કૉંગ્રેસ કાર્યકર્તા પોતાની રીતે સામુહિક હત્યાઓમાં સામેલ થયા.
જસ્ટિસ મિશ્રએ કહ્યું, "કૉંગ્રેસ પાર્ટીમાં નીચલા સ્તરે ક્યાંય પણ અને કોઈ પણ અન્ય પાર્ટીની જેમ નબળી કડીઓ છે."
"એ સ્તરે કોઈ પણ પાર્ટી કાર્યકર્તાઓની ભાગીદારી હોવાથી એ સ્વીકારવું મુશ્કેલ છે કે કોંગ્રેસે કોમી હિંસા કરાવી અથવા તેમાં ભાગ લીધો."
આ સાથે જ કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરતા મિશ્રએ દાવો કર્યો કે જો કૉંગ્રેસે હિંસાને પ્રોત્સાહન આપ્યું હોત, તો પોલીસ અથવા નાગરિક સમાજ માટે દિલ્હીમાં ક્યાંય પણ બદતર થયેલી પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જાત.
જસ્ટિસ મિશ્રએ કહ્યું, "જો કૉંગ્રેસ પાર્ટી અથવા પાર્ટીના કોઈ પણ શક્તિશાળી જૂથ દ્વારા કોઈ ભૂમિકા નિભાવવામાં આવી હોત તેઓ એ પ્રકારે તેને અંજામ આપી શક્યા ના હોત જે માટે તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે."
તર્કોની રમત
પીડિતોના આરોપોને નકારતા જસ્ટિસ મિશ્રાએ નોંધ્યું :
"1 નવેમ્બર 1984એ પાર્ટીના કેન્દ્રીય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના એકમોના પ્રસ્તાવોને જોતા એ કહેવું અને શોધી કાઢવું હકીકતમાં મુશ્કેલ છે કે આ ધૃણાસ્પદ હિંસામાં પાર્ટીના અજાણ્યા ચહેરાઓ સામેલ હતા."
પોતાની વાત પર ભાર મુક્તા તેમણે એમ પણ કહ્યું કે કોમી હિંસા દરમિયાન કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા ઘણાં શીખોને પણ છોડવામાં આવ્યા નહોતા.
તેમણે કહ્યું, "જો કૉંગ્રેસ પાર્ટી અથવા પાર્ટીના કોઈ પણ વરિષ્ઠ નેતાએ હુલ્લડખોરોને દિશા નિર્દેશ આપ્યા હોત તો કૉંગ્રેસના ગઢ અને પાર્ટી સાથે જોડાયેલા લોકોને છોડી દેવામાં આવ્યા હોત."
એમાં કોઈ ચોંકાવનારી વાત નથી કે અહેવાલના નબળાં આધારને જોતા રાજીવ ગાંધીએ મિશ્રના અહેવાલ ઉપર 1987માં સદનમાં ચર્ચા કરવાની ના કહી દીધી હતી.
સત્યતા છુપાવવાની આ રણનીતિથી ઓછામાં ઓછું સજ્જન કુમારના કિસ્સામાં ન્યાય મોડેથી થઈ શક્યો.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો