'જવાહરલાલ નહેરુ પ્રિયંકાના રિસેપ્શનમાં હતા ત્યારે મોદી ખેડૂતો સાથે હતા'

'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસનું રિસેપ્શન મંગળવારે નવી દિલ્હી ખાતે યોજાયું હતું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા હતા.

પ્રિયંકાએ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે નિકે કાળા કલરનું શૂટ પહેર્યું હતું.

આ પહેલાં ગત સપ્તાહે પ્રિયંકા અને નિકે જોધપુરમાં લગ્ન કર્યાં હતાં.

મહેંદી, સંગીત, ખ્રિસ્તી ધર્મવિધિથી લગ્ન, હિંદુ ધર્મવિધિથી લગ્ન સહિતની વિધિઓ યોજાઈ હતી.

વડા પ્રધાનની પ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં હાજરીને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા ઊભી થઈ હતી.

સોશિયલ મીડિયામાં લોકો શું કહી રહ્યા છે?

સૌરભ દૂબે નામના યૂઝરે ટ્વીટ કર્યું હતું, ''નિકે કહ્યું, મેં એવું સાંભળ્યું છે કે રાહુલ ગાંધી ભારતના આગામી વડા પ્રધાન બનવા માગે છે. ત્યારે પ્રિયંકા ચોપરા અને વડા પ્રધાને મોદીએ શું જવાબ આપ્યો?''

દીપક પાંડે નામનાં યૂઝરે ટ્વીટ કર્યું હતું, ''કેવો સુંદર ફોટો છે. વડા પ્રધાનની લાગણી, પરિવાર, આદર અને લગ્ન વિશે જે લોકો પ્રશ્ન ઉઠાવે છે તેમને તમાચો છે.''

@Ramyadav42292 નામનાં ટ્વિટર યૂઝરે ટ્વીટ કરી હતી કે, ''પ્રિયંકાએ ભારત માટે કંઈ પણ કર્યું નથી. હંમેશાં ભારત અને હિંદુઓ પર આરોપ લગાડ્યા છે અને તમે તેમનાં ફંક્શનમાં હાજરી આપી શું સંદેશો આપવા માગો છો?''

સાકેત ગોખલે નામના ટ્વિવટર યૂઝરે ટ્વીટ કર્યું હતું, ''આ ફોટો વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં હતા ત્યારનો છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની મુશ્કેલીઓ સાંભળી રહ્યા છે અને જેમની હત્યા કરવામાં આવી હતી તે પોલીસ ઑફિસર સુબોધ કુમારના પરિવાર સાથે છે.''

આ વિશે વધુ વાંચો

આકાશ માહી નામનાં યૂઝરે ટ્વીટ કરી હતી, ''પ્રિયંકા ચોપરાના રિસેપ્શન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મીમ્સ બનાવવા હલકા વિચાર દર્શાવે છે. પ્રિયંકા ભારતની ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઍમ્બેસેડર છે અને તેઓ ખૂબ જ મહેનત કરે છે.''

મનીકાંત કુમાર નામનાં યૂઝરે ટ્વીટ કરી હતી, ''આપણા વડા પ્રધાન પાસે ધનવાન લોકો અને સ્ટાર્સને મળવાનો સમય છે પરંતુ 100 કિલોમીટર દૂરથી આવેલાં ખેડૂતોને મળવાનો સમય નથી.''

આ પહેલાં વડા પ્રધાન મોદીએ જવાહરલાલ નહેરુનું નામ લીધા વિના આડકતરો તેમના પર કટાક્ષ કર્યો હતો.

મોદીએ રાજસ્થાનમાં જોધપુરની એક રેલીમાં કહ્યું હતું, "ગુલાબનું ફૂલ લગાવીને ઘૂમનારા આ લોકોને બગીચાઓનું જ્ઞાન હતું, તેમને ખેતીનું કોઈ જ્ઞાન ન હતું. તેમને ખેડૂતોના પરસેવાનું પણ જ્ઞાન ન હતું."

વડા પ્રધાન મોદીએ આ વાત કહેતી વખતે કોઈનું નામ લીધું ન હતું પરંતુ ગુલાબનો ઉલ્લેખ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તરફ જાય છે.

નહેરુ હંમેશાં ખિસ્સામાં ગુલાબ રાખતા હતા જેથી આ સોશિયલ મીડિયામાં લોકોએ આ મામલે પણ ચર્ચાઓ કરી હતી.

જે બાદ મોદી પ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં ગયા તો લોકોએ આ બંને મુદ્દાઓને સાથે લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો