મરાઠાઓને અનામત આપતું બિલ મહારાષ્ટ્રની વિધાનસભામાં પસાર

મરાઠા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રની વિધાનસભામાં મરાઠાઓને શિક્ષણ અને નોકરીઓમાં 16 ટકા અનામત આપતું બિલ પસાર કરી દેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ વિધાનસભામાં આ બિલ રજૂ કર્યું હતું જેને વિરોધ પક્ષોએ પણ ટેકો આપ્યો હતો.

આ બિલને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. હવે આ બિલ વિધાનપરિષદમાં જશે.

આજ સવારથી સમગ્ર રાજ્યની આ બિલ પર નજર હતી જે વિધાનસભામાં રજૂ થવાનું હતું.

મરાઠાઓની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી.

જેમની ભલામણો સાથેનું બિલ આજે મુખ્ય મંત્રીએ 12 વાગ્યે વિધાનસભામાં રજૂ કર્યું હતું.

આ સમિતિના રિપોર્ટમાં મરાઠાઓને સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગની અંદર અનામત આપવાની ભલામણ કરવામાં આવી છે.

line

રિપોર્ટમાં શું ભલામણો કરવામાં આવી?

મરાઠા લોકો
  • મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરવો
  • રાજ્ય સરકાર અને યુપીએસસીની નોકરીઓમાં તેમને 16 ટકા અનામત આપવી
  • ખાનગી, સરકારી, સરકાર દ્વારા ફંડ પ્રાપ્ત કરતી સંસ્થાઓમાં તેમને અનામત આપવી. લઘુમતી સંસ્થાઓમાં તેમને અનામત નહીં મળે.
  • મરાઠા સમાજને ઓબીસી કૅટેગરી અંતર્ગત અનામત આપવી નહીં.
  • મરાઠા સમાજને કેન્દ્ર સરકારની નોકરીઓમાં આ આધારે નોકરીઓ મળી શકશે નહીં.

બિલ સર્વાનુમત્તે પસાર થયા બાદ મુખ્ય મંત્રીની ઑફિસ તરફથી આ મામલે ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું.

ટ્વિટમાં લખ્યું હતું કે મરાઠા અનામત બિલને છત્રપતી શિવાજી મહારાજની જય વચ્ચે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

મરાઠાઓ સાથે શું થયું હતું?

દેવેન્દ્ર ફડણવીસ

ઇમેજ સ્રોત, FACEBOOK / CMO

વર્ષ 2014માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠાઓને 16 ટકા અને મુસ્લિમોને પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરાઈ હતી.

જોકે, મરાઠાઓને અપાયેલી અનામતની વિરુદ્ધ ફેંસલો આપતા કોર્ટે સરકારનો આ નિર્ણય રદ્દ કરી દીધો હતો.

'મરાઠા ક્રાંતિ ઠોક મોર્ચા'એ ચીમકી આપી હતી કે 'જો મરાઠાઓને અનામત આપવાનમાં નહીં આવે તો 25 નવેમ્બરથી ફરીથી આંદોલન કરવામાં આવશે.'

બીબીસી સાથેની વાતચીતમાં સામાજિક કાર્યકર્તા વેંકટેશ પાટીલે મત વ્યક્ત કર્યો હતો, "મુખ્ય મંત્રીએ અનામતની જે જાહેરાત કરી તે ભ્રામક છે. કારણ કે બંધારણીય રીતે આવું કરવું શક્ય નથી."

તેઓ ઉમેરે છે, "બંધારણીય રીતે અનામત ક્વૉટામાં અલગથી કોઈ જોગવાઈ કરવી સંભવ નથી."

"મુખ્ય મંત્રીએ કહ્યું કે અન્ય જાતિઓને અનામતમાં કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખી મરાઠાઓને અનામત આપવામાં આવશે, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર 50 ટકાથી વધુ અનામત આપવી અસંભવ છે."

line

'50%થી વધુ અનામત નહીં'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં પણ પાટીદાર સમુદાય છેલ્લા લાંબા સમયથી અનામતના મુદ્દે સરકાર સામે લડી રહ્યો છે. ત્યારે એ જોવાનું રહ્યું કે શું મરાઠાઓની જેમ પાટીદારો માટે પણ અનામતનો રસ્તો સાફ થઈ શકે કે કેમ?

ગુજરાતમાં ઊભા થયેલા પાટીદાર અનામત આંદોલનને પગલે રાજ્ય સરકારે આર્થિક આધાર પર સવર્ણોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં 10% સુધીની સુગમતા કરી આપી હતી.

જોકે, જાહેરાતના થોડા સમયમાં જ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના આ નિર્ણયને ફગાવી દીધો હતો.

આ પાછળ 50 ટકાથી વધુ અનામત ના આપી શકાય એવા સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર બંધારણીય રીતે 50%થી વધુ અનામત આપી ના શકાય.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 50%થી વધુ અનામત ના આપી શકાય તો પાટીદારોને કઈ રીતે અનામત આપી શકાય?

line

આરક્ષણનો આધાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.

એવું સ્વીકારાયું છે કે આ વર્ગો સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે, જેને કારણે તેઓ સામાજિક વિકાસમાં પાછળ રહી ગયા છે.

તેમને મુખ્ય ધારામાં લાવવા માટે અનામત આપી શકાય છે.

સાથે જ જો સમાજનો એક ભાગ વિકાસમાં પાછળ રહી ગયો હોય, એના ઐતિહાસિક કારણ હોય અને તેની અસર માત્ર દેશના વિકાસ પર જ નહીં, પણ, લાંબા સમયે સમાજ પર પડે એમ હોય તો તેમને પણ અનામત માટે લાયક ગણી શકાય.

હવે સવાલ એ છે કે અનામત કઈ રીતે આપવામાં આવે છે?

આ માટે રાજ્ય સરકારને એક પછાત વર્ગ આયોગનું ગઠન કરવાનું હોય છે.

આયોગનું કામ સમાજના અલગ-અલગ સમુદાયની સામાજિક સ્થિતિનો અંદાજ મેળવવાનું હોય છે.

ઓબીસી પંચ આ જ આધાર પર સરકારને પોતાની ભલામણો રજૂ કરતું હોય છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો