અમૃતસર ટ્રેન દુર્ઘટના : રાવણનું પાત્ર ભજવનાર પણ અકસ્માતનો ભોગ બન્યા

    • લેેખક, સરબજીતસિંઘ ધલિવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમૃતસર રેલવે અકસ્માતની ઘટનાના થોડી સમય પહેલાં જ દલબીરસિંઘ રામલીલામાં રાવણનું પાત્ર ભજવી રહ્યા હતા. એક તરફ રાવણનું પૂતળું સળગતું હતું અને બીજી તરફ તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.

શુક્રવારે રાત્રે ઘટેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધી 59 લોકોનાં મૃત્યુ અને 150થી વધુ લોકો ઘાયલ થયાં છે.

દર વર્ષે દલબીરસિંઘ રામલીલામાં રામનું પાત્ર ભજવતા હતા, પરંતુ મિત્રોના આગ્રહને અનુસરીને તેમણે આ વખતે રાવણ બનવાનું નક્કી કર્યું હતું.

દલબીરસિંઘના ભાઈ એ વ્યક્તિઓમાંથી એક છે જેઓ પોતાના સંબંધીઓને શોધવા માટે સવારના પહોરમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા..

દલબીરસિંઘના ભાઈએ બીબીસીને જણાવ્યું કે લોકો મોબાઇલ ફોનની ટૉર્ચનો ઉપયોગ કરીને ઝાડી-ઝાંખરાંમાં પોતાના સંબંધીઓને શોધી રહ્યા હતા.

એક આધેડ વયનાં મહિલા ઊષા તેમના ભત્રીજા આશિષને શોધ રહ્યાં હતાં.

તેઓ હૉસ્પિટલ પણ ગયાં પરંતુ કોઈ ભાળ ના મળી તો તેઓ ઘટનાસ્થળે આવ્યા

મનજીતસિંઘ આ દુર્ઘટનામાં માંડમાંડ બચી ગયા પરંતુ તેમના કાકા ટ્રેનની ઝપેટમાં આવી ગયા.

રાવણ દહન જોયા બાદ તેઓ પાટા ઓળંગીને પરત ફરી રહ્યા હતા.

મનજીત સિંઘે ટ્રેન જોઈ લીધી અને કૂદીને પોતાનો જીવ બચાવી લીધો પરંતુ તેમના કાકા આવું ના કરી શક્યા અને તેમનું મૃત્યુ થયું.

એક મિત્રના સ્કૂટર પર મનજીત તેમના કાકાને હૉસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ તેમણે દેહ છોડી દીધો.

બલબીરસિંઘે બીબીસીને જણાવ્યું કે તેમના ભાઈને અભિનયનો ખૂબ જ શોખ હતો, એટલા માટે તેઓ રામલીલામાં ભાગ લેતા હતા.

તેમણે કહ્યું, ''મારો ભાઈ રામનું જ પાત્ર ભજવતો પરંતુ આ વખતે રાવણનો અભિયન કર્યો.''

જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે તેઓ રાવણદહન માટે આગળ વધી રહ્યા હતા. મંચ અને રેલવે ટ્રેક વચ્ચેનું અંતર 25 મિટરનું જ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

દલબીર સિંઘને એક પુત્રી પણ છે. રાવણનું પાત્ર ભજવતા પહેલાં તેમણે તેમનાં પત્નીને કહ્યું હતું કે આજે રામલીલામાં તેમના પાત્રનો અંત થવાનો છે.

પરંતુ વાસ્તવિક જીવનમાં તેમના જીવનનો અંત થવાનો હતો એની જાણ કોઈને નહોતી.

'હું પાટા બહાર કૂદી પડ્યો'

બલબીરસિંઘની સાથે અન્ય લોકો પણ છે જેઓ શોક મનાવી રહ્યા છે.

મનજીતસિંઘ કહે છે કે તેમના કાકાએ તેમને દશેરા માટે બોલાવ્યા હતા. તેમના કાકા વેલ્ડિંગનું કામ કરતા હતા.

તેઓ આ દુર્ઘટના પહેલાં પાટા પર ઊભા હતા કારણ કે ત્યાંથી રાવણદહણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

મનજીત કહે છે, "અમને ફટાકડાનો અવાજ અને લોકોના કોલાહલ વચ્ચે કંઈ ન સંભળાયું. ત્યાં ઉજવણીનો માહોલ હતો. મને જ્યારે ટ્રેનનો આભાસ થયો તો હું પાટા પરથી કૂદી ગયો."

"અન્ય લોકો આવું ના કરી શક્યા અને જ્યાં ઉજવણીનો માહોલ હતો ત્યાં શોકનું મોજું ફરી વળ્યું. ચારે તરફ લોહી અને વિકૃત થયેલા મૃતદેહો પડેલા હતા."

પોલીસ મહાનિદેશક સુરેશ અરોરાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે બીબીસીને જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવશે અને ગુનેગારોને સજા કરાશે.

જોકે, તેમણે એવું પણ કહ્યું કે તેમને એ વાતની જાણકારી નથી કે દશેરાની ઉજવણી માટે સ્થાનિક પ્રશાસને મંજૂરી આપી હતી કે નહીં.

એ પાંચ ભૂલો

આ તમામ વાતો વચ્ચે દુર્ઘટના સ્થળે ઘણી ચોંકાવનારી વિગતો મળી.

- દશેરાનો કાર્યક્રમ જ્યાં ઉજવાયો એ મેદાનના બે દરવાજા છે, જેમાં એક અસ્થાયી મંચને કારણે બંધ હતો. બીજો દરવાજો નાનો હતો અને તે પાટા તરફ ખૂલતો હતો.

- પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું કે પાટા તરફ એક એલઈડી સ્ક્રીન પર ગોઠવવામાં આવી હતી.

પાટા મંચની પાછળની તરફ હતા પરંતુ તે તરફ એલઈડી સ્ક્રીન ગોઠવાઈ હોવાથી દર્શકો માટે કાર્યક્રમ નીહાળવા માટે ઉત્તમ જગ્યા રેલવનો ટ્રેક જ હતો..

- આયોજકો અને પ્રશાસન તરફથી સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહોતી.

- સ્થાનિક લોકોએ જણાવ્યું કે દુર્ઘટનાના સ્થળે લાઇટની પણ કોઈ વ્યવસ્થા નહોતી. દુર્ઘટના ઘટી એ બાદ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી.

- શું રેલવે વિભાગને દશેરાની આ ઉજવણી અંગે ખ્યાલ હતો?

મદદ માટે અમૃતસરમાં રેલવે હેલ્પલાઇન નંબર:

- 0183-2223171- 0183-2564485

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો