You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીની નમાઝ પઢતી તસવીરનું સત્ય શું છે?
- લેેખક, દિપક ચુડાસમા
- પદ, બીબીસી ગુજરાતી
હાલ રાહુલ ગાંધીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે, જેમાં રાહુલ ગાંધી એક શિવ મંદિરમાં બેઠા છે. તેમની સાથે કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ પણ છે.
આ તસવીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી શિવ મંદિરમાં પણ નમાઝ પઢતા હોય તે રીતે હાથ રાખીને બેઠા છે.
MISSION MODI 2019 ☑ मोदी को लाना है देश बचाना है । નામના પેજ પર આ તસવીર શેર કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે રાહુલને એ પણ ખબર નથી કે આ મંદિર છે કે મસ્જિદ છે.
ઉપરાંત વૉટ્સઍપમાં પણ આ ફોટો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં લખેલું છે 'મંદિરમાં નમાઝ.'
આ સિવાય राजनीति નામના ફેસબુક પેજ પર પણ આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે 'આને એ પણ ખબર નથી કે આ મંદિર છે કે મસ્જિદ છે.'
આ પેજ પરથી 8,000 જેટલી આ પોસ્ટ શેર થઈ છે. આવા અનેક પેજ પર આ ફોટો હાલ વાઇરલ થઈ રહ્યો છે.
પરંતુ આ તસવીરની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
શું છે ઘટના?
આગામી નવેમ્બર મહિનાના અંતમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેને લઈને મધ્ય પ્રદેશમાં સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંનેએ કમર કસી છે.
આ ચૂંટણી પ્રચારના ભાગ રૂપે રાહુલ ગાંધી 15 ઑક્ટોબરના રોજ મધ્ય પ્રદેશના પ્રવાસે ગયા હતા.
અહીં તેમણે દાંતિયામાં આવેલા પીતાંબરા પીઠ મંદિરની મુલાકાત લઈને પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો.
આ તસવીર મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આવેલા અચલેશ્વર શિવ મંદિરમાં લેવામાં આવી હતી.
જ્યાં રાહુલ ગાંધીએ પૂજા અર્ચના કરી હતી અને તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ હતા.
શું છે તસવીરની સત્યતા?
જોકે, તસવીરને ઝીણવટથી જોતાં માલુમ પડે છે કે તેઓ પૂજારી દ્વારા અપાતાં જળ અને ફૂલ પોતાના હાથમાં લઈ રહ્યા છે.
હવે તમે આ બંને તસવીરને એકસાથે જોશો તો વાસ્તવિકતા સામે આવશે.
જેમાં રાહુલ ગાંધી જળ હાથમાં લઈને તેનું પાન કરે છે. આ બીજી તસવીર Jyotiradity Scindhiya , My Leader My Proud નામના પેજ પર શેર કરવામાં આવી છે.
ઉપરાંત Indian National Congress નામના યૂ-ટ્યૂબ પેજ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
જેમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી કઈ રીતે પૂજા કરી રહ્યા છે.
જેથી નમાઝ પઢવાની આ ખોટી તસવીર હાલ વાઇરલ કરવામાં આવી રહી છે.
આ પહેલાં પણ થયા હતા વિવાદ
કૈલાસ માનસરોવરની યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીની તસવીરો પર વિવાદ થયો હતો.
ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ બિન હિંદુ રજિસ્ટરમાં સાઇન કરી હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો.
ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ વિશે આ રીતે ફેક ન્યૂઝ દ્વારા ખોટા દાવાઓ પ્રસારિત કરવામાં આવે છે.
આ પહેલાં રાહુલ ગાંધીની એક યુવતી સાથેની તસવીર પણ વાઇરલ થઈ હતી, જેમાં સગાઈ કરી હોવાનો ખોટો દાવો થયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો