કેપ ટાઉનમાં ભારતીય ટીમને નાહવા માટે માત્ર બે મિનિટ કેમ?

દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમને કેપ ટાઉનમાં રોકાણ દરમિયાન નાહવા માટે બે મિનિટથી વધુ સમય નહીં લેવા માટે સલાહ આપવામાં આવી છે.

કેપ ટાઉનમાં પાણીની અછત હોવાથી આ સૂચના આપવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, પાણીના વપરાશ સંબંધિત નવા નિયમો પહેલી જાન્યુઆરીથી લાગુ થયા છે.

એ દિવસે જ ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ માટે અહીં પહોંચી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

અહેવાલ અનુસાર, શુક્રવારે સ્થાનિક તાપમાન 27 ડિગ્રી હતું. ભારતીય ક્રિકેટર્સ રમત બાદ જ્યારે હોટેલ પરત ફર્યા, ત્યારે તેમને પાણીનો ઓછો વપરાશ કરવા માટે સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું.

દરરોજ 87 લિટર વપરાશની મર્યાદા

જોકે, ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા પ્રદેશ-વિસ્તારના રહેવાસી છે, જ્યાં પાણીની અછત છે.

આથી તેઓ આ આગ્રહને સારી સમજી શકે છે, પરંતુ "ખેલાડીઓ નહાવાનો સમય નિર્ધારિત નથી કરી શકતા."

કેપ ટાઉનમાં રહેતા લોકો દર મહિને 10,500 લિટર અથવા દરરોજ પ્રતિ વ્યક્તિ 87 લિટર પાણી વાપરી શકે છે.

પાણી વપરાશની આ ટોચમર્યાદા પૂર્વનિર્ધારિત છે, પણ પાણીની અછતને કારણે આ સપ્તાહમાં જ નવા નિયમો લાગુ કરવમાં આવ્યા છે.

વધુ પાણીના વપરાશ પર દંડ

શહેરમાં સતત ઘટી રહેલા પાણીના પુરવઠાને કારણે એક તબક્કે પાણી જ નહીં રહે, તેવું સંકટ તોળાઈ રહ્યું છે.

શહેરના મેયર પૈટ્રિસિયા ડે લિલને આશંકા છે કે, જે ઝડપથી પાણી વાપરવામાં આવી રહ્યું છે, તે જોતાં એપ્રિલ અથવા મે મહિનામાં લોકો માટે બિલકુલ પાણી નહીં રહે.

ત્રણ વર્ષના દુકાળને લીધે બંધમાં એક તૃતીયાંશથી પણ ઓછું પાણી વધ્યું છે.

રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનલના અનુસાર, રિઝર્વ પાણીનું 14 ટકા પાણી ખતમ થઈ જશે એટલે 'ડે ઝીરો' હશે.

વપરાશની મર્યાદા ઘટશે?

આવું થશે તો લોકોએ 200 કલેક્શન પોઇન્ટ્સ પર પાણી મેળવવું પડશે.

આઇ વિટ્નેસ ન્યૂઝના અહેવાલ મુજબ, પાણીના સંકટને રોકવા માટે લોકો એક તરફ મર્યાદાઓનું પાલન કરી રહ્યા છે, તો બીજી બાજુ, હજી પણ બે લાખ ઘરોમાં 10,500 લિટરથી વધુ પાણી વાપરવામાં આવી રહ્યું છે.

જો આ લોકો નિયમ તોડવાનું ચાલુ રાખશે તો તેમને મહત્તમ 50 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ છે.

શહેરના મેયરનું કહેવું છે કે, જો લોકો નિયમ તોડવાનું ચાલુ જ રાખશે, તો પાણી વપરાશની મર્યાદા હજી પણ ઘટાડવામાં આવશે.

પાણીની અછતની મેચ પર અસર

દક્ષિણ આફ્રિકાના લોકોને પડી રહેલી મુશ્કેલી વચ્ચે ઇન્ડિયન એક્સપ્રેસે એક સારા સમાચાર પણ પ્રકાશિત કર્યા છે.

અહેવાલ મુજબ, પાણીનું સ્તર નીચું હોવાને કારણે અને 'પિચ'માં ભેજ ઓછો હોવાને લીધે ભારતીય ટીમને ફાયદો થશે, કેમ કે,ભારતીય ટીમ આવી પિચ પર રમવા માટે ટેવાયેલી છે.

ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 'પિચ'એ ભારતને 'સહયોગ' આપ્યો હતો.જેથી દક્ષિણ આફ્રિકાની ટીમ મોટો સ્કોર ખડકી શકી ન હતી.

જોકે, પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમને પણ ખાસ સફળતા નહોતી મળી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો