ગ્રાઉન્ડ રિપોર્ટ: કોરેગાંવ હિંસા બાદ શું થયું?

ઇમેજ સ્રોત, MAYURESH KUNNUR/BBC
મહારાષ્ટ્રના કોરેગાંવ-ભીમામાં થયેલી હિંસાના વિરોધમાં દલિત સંગઠનોએ આજે બંધ પાળ્યો હતો.
બંધની અસર મુંબઈ, પૂણે અને ઔરંગાબાદમાં વધુ જોવા મળી છે.
જોકે, કોઈ પણ પ્રકારનાં ભારે નુકશાનના અહેવાલ નથી નોંધાયા.
બંધને પગલે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે.
સુરતમાં પણ વિરોધ પ્રદર્શનની ઘટના નોંધાઈ હતી.

ઇમેજ સ્રોત, MAYURESH KUNNUR/BBC
જાહેર પરિવહનની સરકારી બસો પણ સેવામાં ન હોવાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
પ્રદર્શનકારીઓએ સવારે ગોરેગાંવ, વિરાર, ઠાણે, નાલાસોપારામાં ટ્રેન રોકી હતી, પણ બાદમાં આ વિસ્તારોમાં ટ્રેન સેવા શરૂ કરી દેવાઈ હતી.
જોકે, મુંબઈમાં બુધવારે એ.સી લોકલ નહોતી ચાલી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે

જાહેર પરિવહનને અસર

ઇમેજ સ્રોત, BBC/AMIR KHAN
'બેસ્ટ'ની બસ સેવાને પણ બંધની થોડી અસર થઈ છે.
જો કે કુલ 2964 સેવાઓમાંથી 2600 જેટલી સેવાઓ ચાલુ છે.
ઘાટકોપર અમે ચેમ્બુરમાં સવારે 'રસ્તા રોકો'નું પ્રદર્શન હાથ ધરાયું હતું. પરંતુ કોઈ પણ પ્રકારના નુકશાન અથવા હિંસાના અહેવાલ નથી.

ગતરોજની ઘટના બાદ ઔરંગાબાદમાં કલમ 144 લગાવવામાં આવી હતી.
વળી આજે ત્યાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
ઠાણેમાં સવારે શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવામાં આવી હતી, પરંતુ બપોર સુધી કેટલીક બસમાં તોડફોડની ઘટનાના અહેવાલ નોંધાવ્યા હતા.

સુરતમાં પણ પ્રદર્શન
ભીમા-કોરેગાંવ ઘટનાને મહારાષ્ટ્ર બંધનું એલાન કરવામાં આવ્યું હતું.
જેની અસર દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ જોવા મળી હતી.
સ્થાનિક પત્રકાર મનીષ પાનવાલાના જણાવ્યા અનુસાર, સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉધનાથી રિંગ રોડ પર આંબેડકરની પ્રતિમા સુધી રેલી કાઢવામાં આવી હતી.
વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી આવેલા લોકોએ ચક્કાજામ પણ કર્યો હતો.

આંબેડકરેલીધી હતી કોરેગાંવની મુલાકાત

વર્ષ 1927માં ડૉ. ભીમરાવ આંબેડકરે ભીમા કોરેગાંવના સ્મારકની મુલાકાત લીધી હતી.
ત્યારથી દર વર્ષે નવા વર્ષના પ્રથમ દિવસે આંબેડકરનાં હજારો અનુયાયીઓ આ સ્મારકની મુલાકાત લે છે.
દર વર્ષે અહીં વિશેષ ઊજવણી કરવામાં આવે છે. આ વર્ષે 200 વર્ષની ઊજવણીનાં ભાગરૂપે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આંબેડકરના પ્રપૌત્ર અને 'ભા. રિ. પા. બહુજન મહાસંઘ'ના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે મુંબઈમાં પત્રકાર પરિષદને સંબોધી હતી.
જેમાં તેમણે કહ્યું હતું, "છત્રપતિ સંભાજી મહારાજનાં શરીરના ભાગોની અંતિમક્રિયા કરનારા ગોવિંદ ગાયકવાડના સ્મારક અંગે વિવાદ પ્રવર્તે છે.
"ગાયકવાડના સ્મારકને ક્ષતિ પહોંચાડવામાં આવી હતી. આ સંદર્ભે નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ગત અઠવાડિયે ઘટેલી આ ઘટનાનો કોરેગાંવ હિંસા સાથે કોઈ સંબંધ છે કે કેમ, તેની તપાસ થવી જોઈએ."
પુણે ગ્રામીણના એસ.પી. સુએઝ હકના કહેવા પ્રમાણે, "બે-ત્રણ દિવસ અગાઉ ત્યાં તણાવ ઊભો થયો હતો, પરંતુ પોલીસે સમયસર દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












