...એટલે ધોની હવે 2019નો વર્લ્ડ કપમાં પણ રમશે!

મહેન્દ્રસિંહ ધોની

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું છે કે વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીનું વર્લ્ડ કપમાં રમવું લગભગ નક્કી છે. કારણ કે જે યુવા વિકેટકીપરોને તક આપવામાં આવી તેમાંથી ધોનીની આસપાસ કોઈ નથી.

પ્રસાદના નિવેદનનું મહત્ત્વ એટલા માટે છે કારણ કે આ વર્ષે ઑગસ્ટમાં તેમણે કહ્યું હતું કે જો ધોની સારું પ્રદર્શન નહીં કરે તો તેમના વિકલ્પની શોધ અંગે વિચાર કરવામાં આવશે.

તેમના આ નિવેદન બાદ ધોનીના સમર્થકોએ પૂર્વ વિકેટકીપર પ્રસાદનો સોશિયલ મીડિયા વિરોધ કર્યો હતો.

પ્રસાદની વાતથી એ પણ સાફ થઈ ગયું છે કે દિલ્હીના કેપ્ટન ઋષભ પંત હાલ પૂરતા પસંદગીકર્તાઓના રડારમાં નથી.

તમને આ વાંચવું પણ ગમશે:

32 વર્ષના દિનેશ કાર્તિકને હાલ બીજા વિકેટકીપર તરીકે તક મળતી રહે છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર શનિવારે દક્ષિણ આફ્રીકાની સામેની વનડે સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

આ સમયે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ધોનીને શ્રેણી દર શ્રેણી લઈ રહ્યા છે?

આ પ્રશ્નના જવાબમાં પ્રસાદે કહ્યું, "અમે કેટલાક વિકેટકીપર્સને ભારત 'એ'ના પ્રવાસ દરમિયાન તૈયાર કરી રહ્યા છીએ.

પરંતુ મોટેભાગે અમે એ નક્કી કરી લીધું છે કે વર્લ્ડ કપ સુધી ધોની જ વિકેટકીપર તરીકે ટીમની સાથે રહેશે."

line

'ધોની જેવું કોઈ નહીં'

મહેન્દ્રસિંહ ધોની

ઇમેજ સ્રોત, Getty Images

પ્રસાદે કહ્યું, "મને લાગે છે કે ધોની હાલ દુનિયાના નંબર વન વિકેટકીપર છે. અમે સતત આ વાતને દોહરાવી રહ્યા છીએ.

શ્રીલંકા સામેની વર્તમાન ટી-20 શ્રેણીમાં તેમણે જે રીતે સ્ટમ્પિંગ કર્યું છે અથવા કેચ પકડ્યા છે તે લાજવાબ છે."

તેમણે ઉમેર્યું, "ભારતીય ક્રિકેટને તો છોડી દો વિશ્વમાં પણ અત્યારે ધોની જેવો કોઈ વિકેટકીપર નથી."

ધોનીએ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તે સિવાય ઑસ્ટ્રેલિયા સામેની ચેન્નઈ વનડેમાં તેની અડધી સદીના વખાણ થયાં હતાં.

ધર્મશાળામાં શ્રીલંકા સામે જ્યારે ભારતીય ટીમ સાવ ઓછા સ્કૉરમાં સમેટાવા જઈ રહી હતી ત્યારે ધોનીએ 65 રન બનાવ્યા હતા.

પ્રસાદના આ નિવેદન બાદ એ નક્કી થઈ ગયું છે કે હવે 2019ના વર્લ્ડ કપ સુધી ધોની ભારતીય ટીમના વિકેટકીપર હશે. યુવા વિકેટકીપરોએ હજુ રાહ જોઈ પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો