પ્રેસ રિવ્યૂ : મોદી-રાહુલને રોડ શોની પરવાનગી નહીં, પણ 'પાસ' ફાવી ગયું

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત સમાચાર અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના અલગ અલગ રોડ શો યોજાવાના હતા. પરંતુ પોલીસે તેની મંજૂરી નથી આપી.

તો આ તરફ પાસ કન્વીનર હાર્દિક પટેલે સોમવારે જ રોડ શો યોજી લીધો હતો.

મહત્વનું છે કે મંગળવારે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. તેવામાં ભાજપ અને કોંગ્રેસે બાઈક, કાર સહિતની તૈયારી રાખી હતી. પણ પોલીસે રોડ શોની મંજૂરી ન આપતા રોડ શો મોકૂફ રખાયા છે.

તમને આ વાંચવું પણ ગમશે:

ભાજપે ધરણીધર જૈન દેરાસરથી બાપુનગર ચાર રસ્તા અને કોંગ્રેસે જગન્નાથ મંદિરથી મેમ્કો ચાર સુધી રોડ શો, કોર્નર રેલીની મંજૂરી માંગી હતી.

પોલીસે કહ્યું છે, "બન્ને રૂટ પર ટ્રાફીક જામ રહે છે. આ રૂટ પર રેલવે સ્ટેશન અને મહત્ત્તવના બસ સ્ટેન્ડ વચ્ચે આવે છે. બજારો અતિ વ્યસ્ત રહેવાથી નાગરિકોને અગવડ ઊભી થાય છે."

દિવ્ય ભાસ્કરમાં છપાયેલી માહિતી અનુસાર રસપ્રદ બાબત એ છે કે હાર્દિક પટેલને અમદાવાદ પશ્ચિમથી શરૂ કરીને પૂર્વ વિસ્તારના ખૂણા સુધી પહોંચતા રોડ શો માટે પોલીસ તરફથી મંજૂરી મળી હતી.

દિવ્ય ભાસ્કરને કોંગ્રેસ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું કે , "ભાજપનો રોડ શો ભયથી રદ કરાયો છે જ્યારે કોંગ્રેસનો રોડ શો કાયદાથી રદ કરવામાં આવ્યો છે. "

તો આ તરફ ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું, "કાયદો વ્યવસ્થા જાળવવાની જેમની જવાબદારી છે તેઓ જે નિર્ણય લે તે વાજબી છે. રોડ શોની બન્ને પક્ષોને પરવાનગી નથી અપાઈ. તેથી બીજું કોઈ કારણ દેખાતું નથી."

સાબરમતી નદીમાંથી સી પ્લેન કરશે ટેક ઓફ!

નવગુજરાત સમયમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ભારતીય ટૂરિઝમના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત વોટર વે વિકસાવી પ્રવાસનને વિકસાવવા મોદી સરકાર આગળ વધી રહી છે.

તેમાં નવા આયામ રૂપે મંગળવારે નરેન્દ્ર મોદી સી પ્લેનથી ઉત્તર ગુજરાતમાં અંબાજી માતાના દર્શન કરવા જવાના છે.

વડાપ્રધાન મોદી સવારે 9.30 કલાકે પાલડી સરદાર બ્રિજના છેડે રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનમાં બેસશે અને ધરોઈ ડેમના જળાશયમાં આ પ્લેન લેન્ડ થશે.

બપોરે વડાપ્રધાન 1.30 કલાકે ધરોઈથી ટેક ઓફ થશે અને બપોરે 2.30 કલાકે રિવરફ્રન્ટ ખાતે પરત ફરશે.

ગુજરાતમાં એક ખેડૂતની કમાણી માત્ર રૂ. 6426?

ગુજરાત સમાચારમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર ગુજરાતમાં એક ખેડૂત પરિવારની મહિનાની આવક માત્ર 6426 રૂપિયા છે.

તેમાં ખેતીની આવક 3078 રૂપિયા જ છે. આ સિવાય બાકીની આવક પશુપાલન, છૂટક મજૂરીમાંથી મળતું વેતન અને અન્ય પરચૂરણ કામમાંથી જ મળે છે. આ માહિતી લોકશાહી બચાવો અભિયાન સમિતિએ આપી છે.

ભાજપના છેલ્લા બાવીસ વર્ષના શાસન દરમિયાન ગુજરાતમાં માત્ર ઉદ્યોગપતિઓ વધુ માલામાલ થયા છે જ્યારે ખેડૂતોની સ્થિતિ બદતર બની છે.

લોકશાહી બચાવો અભિયાન સમિતિએ ઉમેર્યું છે કે ખેતીમાં ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, છતાં પોષણક્ષમ કે વાજબી ભાવ મળતા નથી. અને અંતે ખેડૂતે આત્મહત્યા કરવાનો વારો આવે છે.

ખેડૂતના પરિવારને સરકાર સહાય પણ નથી આપતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો