પ્રેસ રિવ્યૂ: અયોધ્યા મુદ્દે શિયા વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રસ્તાવ મુક્યો

‘દિવ્યભાસ્કર’માં પ્રકાશિત અહેવાલ મુજબ ઉત્તરપ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડે અયોધ્યાના વિવાદિત સ્થળ પર રામ મંદિર અને લખનઉમાં મસ્જિદ બાંધવાની દરખાસ્ત કરી છે.

આ અહેવાલમાં કહેવાયું છે કે શિયા વકફ બોર્ડના ચેરમેન સૈયદ વસીમ રિઝવીએ આ દરખાસ્તને લઈ વિવિધ પક્ષકારો સાથે ચર્ચા કરી છે.

સંદેશના અહેવાલ મુજબ શિયા વકફ બોર્ડે પાંચ મુદ્દાની સમાધાન ફોર્મ્યુલા આપી છે. જેમાં વિવાદિત જમીન પર સુન્ની વકફ બોર્ડનો અધિકાર નથી તેમ કહેવાયું છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ અહેવાલ પ્રમાણે રિઝવીએ જણાવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ વિવાદને આગળ વધારી રહ્યું છે. તો અયોધ્યા વિવાદમાં એક પક્ષકાર સ્વ. હાશિમ અન્સારીના દીકરાએ રિઝવીનો વિરોધ કર્યો છે.

રૂપાણી સામે રાજ્યગુરુ છે કુબેર!

ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે રાજકોટ(પશ્ચિમ) બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સોગંદનામુ રજૂ કરીને પોતાની અને પોતાના પરિવારની કુલ 141 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.

આ અહેવાલમાં કહેવાયું છે કે ગુજરાતમાં સૌથી ધનાઢ્ય ઉમેદવારોમાં તેઓ અગ્રક્રમે આવે છે. તેમણે પોતાની વિરુદ્ધ નોંધાયેલા ચાર ગુનાની વિગતો પણ આપી હતી.

આઈએમગુજરાતનાં અહેવાલ મુજબ ડેપ્યુટી કલેકટર સમક્ષ વિજય રૂપાણીએ સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં તેમણે 6.81 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

આ અહેવાલ મુજબ 2016-17ના નાણાંકીય વર્ષમાં રૂપાણીએ 18 લાખ રૂપિયાનું આઈટી રિટર્ન તથા તેમના પત્ની અંજલીબેને 3.50 લાખ રૂપિયાનું રિટર્ન ભર્યુ હોવાનું દર્શાવ્યું હતું.

કોઈને મરચું તો કોઈને મળશે ભીંડા!

સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ અમદાવાદ જિલ્લાની વિધાનસભા બેઠકો માટે ચૂંટણી અધિકારી દ્વારા 162 ઉમેદવારી પ્રતિકો જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં વિવિધિ શાકભાજીથી લઈને વિવિધ યંત્રો સુધીના પ્રતિકો ઉમેદવારોને મળશે.

આ અહેવાલ મુજબ ઉમેદવારો ફોર્મ ભરતી વખતે તેમનું પ્રતિક પસંદ કરશે.

આ પ્રતિકોની યાદીમાં અખરોટ, તરબૂચ, તંબુ, વૅક્યૂમ ક્લિનર, વાંસળી, નેઇલ કટર જેવા પ્રતિકો સમાવાયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો