માતૃભાષા દિન વિશેષ: એ વ્યક્તિ જેણે શોધી 780 ભારતીય ભાષાઓ

    • લેેખક, સૌતીક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

જ્યારે અંગ્રેજીના ભૂતપૂર્વ પ્રોફેસર ગણેશ દેવીએ ભારતની ભાષાઓની શોધની શરૂઆત કરી ત્યારે જાણે કે તેઓ એક મૃત અને મૃત્યુ પામેલી માતૃભાષાથી ભરેલા કબ્રસ્તાનમાં ચાલતા હોય તેવો તેમને અનુભવ થયો હતો.

તેઓ એમ પણ કહે છે કે તેમને એવો પણ ભાસ થયો હતો કે જાણે તેઓ "અવાજનાં ગાઢ જંગલો" માંથી પસાર થતા હોય કે પછી વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્રો પૈકીના એકમાં ઘોંઘાટીયા ટાવરની આસપાસ હોય.

એકલા હિમાચલ પ્રદેશમાં 16 જેટલી ભાષાઓ બોલવામાં આવે છે જેમાં ‘બરફ’ શબ્દ માટે 200 શબ્દો વપરાય છે - એમાંથી કેટલાંક શબ્દોનો અર્થ "પાણી પર પડતી છાજલીઓ" અથવા "જ્યારે ચંદ્રોદય થાય ત્યારે પડવું" એવો થાય છે.

તમને આ વાંચવું પણ ગમશે :

તેમણે શોધી કાઢ્યું કે રાજસ્થાનના રણ રાજ્યમાં વિચરતા સમુદાયોમાં રણપ્રદેશના ખાલીપાનું વર્ણન કરવા માટે મોટી સંખ્યામાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વ્યક્તિ અને પ્રાણી રણપ્રદેશના ખાલીપાને કેવી અલગ રીતે અનુભવે છે તે સહિતનો સમાવેશ આ શબ્દોના ઉપયોગમાં થાય છે.

અને તે વિચરતી જાતિઓ જેને એક વખત બ્રિટીશ શાસકો દ્વારા "ગુનેગાર જાતિઓ" તરીકે જોવામાં આવતી હતી, જે હવે દિલ્હીના ટ્રાફિક ક્રોસિંગ પર નકશા વેચતા જોવા મળે છે, તેવા લોકો તેમના સમુદાય સાથે જોડાયેલા લાંછનને કારણે એક પ્રકારે "ગુપ્ત" ભાષા બોલે છે.

મહારાષ્ટ્રના પશ્ચિમ દરિયાકિનારે તેમણે એક ડઝન ગામોમાં રાજયની રાજધાની મુંબઈથી દૂર ન હોય એવા સ્થળે "ચલણમાં ન હોય એવી" પોર્ટુગીઝ ભાષા બોલતા લોકોને શોધી કાઢ્યા હતા.

અંદામાન અને નિકોબારના દૂરના પૂર્વીય દ્વીપસમૂહના નિવાસીઓનું એક જૂથ મ્યાનમારની વંશીય ભાષા કારેનમાં વાત કરી હતી અને ગુજરાતમાં રહેતા કેટલાક ભારતીયો જાપાનીઝ ભાષામાં પણ વાત કરી રહ્યા હતા.

તેમણે શોધી કાઢ્યું છે કે ભારતીયો તેમની માતૃભાષા તરીકે 125 વિદેશી ભાષાઓ બોલી શકે છે.

પ્રો. દેવી, જે બિનઅનુભવી ભાષાશાસ્ત્રી છે, તેઓ મૃદુભાષી હોવા છતાં તીવ્ર અને સ્પષ્ટ ઇરાદો ધરાવતા માનવી છે.

તેમણે 16 વર્ષ સુધી ગુજરાતની એક યુનિવર્સિટીમાં અંગ્રેજી શીખવ્યું હતું. ત્યારબાદ તેમણે સ્થાનિક જનજાતિઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું અને દૂરના ગામમાં જવાનું શરૂ થયું. તેમણે આ જનજાતિના લોકોને લોન કેમ મેળવવી, બીજ-બૅન્ક કેમ ચલાવવી અને સ્વાસ્થ્યના પ્રકલ્પોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું.

મહત્ત્વની બાબત એ છે કે આ સમયગાળા દરમ્યાન તેમણે 11 આદિવાસી ભાષાઓમાં એક જર્નલ પ્રકાશિત કરી.

ભારતની ભાષાઓ

  • 1961ની વસ્તી ગણતરીમાં 1,652 ભારતીય ભાષાઓ ગણવામાં આવી હતી.
  • પીપલ્સ લૈંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા (પી.એલ.એસ.આઈ.) 2010 માં 780 ભારતીય ભાષાઓ ગણાવી હતી
  • યુનેસ્કોના જણાવ્યા અનુસાર 197 આમાંથી લુપ્ત થઇ ગયેલી ભાષાઓ છે અને 42 મરણપથારીએ પડી છે.
  • મોટા ભાગની ભાષાઓ ઉત્તરપૂર્વમાં અરુણાચલ પ્રદેશ અને આસામ, પશ્ચિમમાં મહારાષ્ટ્ર અને ગુજરાત, પૂર્વમાં ઓરિસ્સા અને બંગાળ, અને ઉત્તરમાં રાજસ્થાનની છે.
  • ભારત પાસે 68 જીવંત ભાષા-રચનાઓ (સ્ક્રિપ્ટ) છે
  • ભારત દેશમાં 35 ભાષાઓમાં અખબારો પ્રકાશિત થાય છે
  • 40% ભારતીયો દ્વારા બોલાતી ભારતની સૌથી વધુ વપરાતી ભાષા હિન્દી છે આ પછી બંગાળી (8.0%), તેલુગુ (7.1%), મરાઠી (6.9%), અને તમિલ (5.9%)
  • રાજ્ય સંચાલિત ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) 120 ભાષાઓમાં પ્રોગ્રામ્સનું પ્રસારણ કરે છે
  • ભારતની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે

સ્રોત: ભારતની સેન્સસ, 2001, 19 62, યુનેસ્કો, પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા 2010.

આ સમયની આસપાસ પ્રો. દેવીને ભાષાની શક્તિ જાણવા વિષે એક પ્રકારે તાલાવેલી લાગેલી હતી.

1998માં તેમણે તેમના દ્વારા સ્થાનિક ભાષામાં લખાયેલી 700 નકલો તેઓ જે ગામડામાં આદિજાતિના ગરીબ લોકો માટે સેવા આપી રહ્યા હતા ત્યાં લઈ ગયા.

તેમણે એ આખો 700 જર્નલોથી ભરેલો ટોપલો ત્યાં ગામડામાં વેચાણ અર્થે ખુલ્લો મૂકી દીધો અને જે એક નકલ દીઠ 10 રૂપિયા કોઈપણ ગ્રામવાસી ખરીદી શકે છે એવી જાહેરાત કરી દીધી દિવસના અંતે બધી નકલો વેચાઈ ગઈ હતી.

જ્યારે તેમણે ટોપલો તપાસ્યો ત્યારે એમાં તેમણે મોટી સંખ્યામાં ચોળાઈ ગયેલી ચલણી નોટો મળી આવી જે આદિવાસીઓ અથવા તો ગ્રામવાસીઓ દ્વારા તેમને મળતા કુલ રોજિંદા વેતનમાંથી તેઓએ ત્યાં મુકેલી હતી.

પ્રો. દેવીએ બીબીસીને જણાવ્યું, "આ તેમણે (આદિવાસીઓ અથવા તો ગ્રામવાસીઓએ) તેની જિંદગીમાં જોયેલી કદાચ પહેલી મુદ્રિત સામગ્રી હોવી જોઈએ જે તેઓ પોતાની ભાષામાં વાંચી રહયા હતા.

"આ એવા રોજમદારો હતા જેમને વાંચતા-લખતા પણ નહોતું આવડતું અને જે કાંઈ તેમણે ખરીદયું હતું તે કદાચ તેઓ વાંચી શકે પણ નહિ તેવી પરિસ્થિતિમાં હોવા છતાં તેમની આ ખરીદી પરથી મને આ આદિકાળના ભાષાગૌરવ અને શક્તિ વિષે સારી એવી સમજણ મળી."

સાત વર્ષ પહેલાં, તેમણે તેમના મહત્ત્વકાંક્ષી પ્રકલ્પ લોકોના ભાષાકીય સર્વેક્ષણની શરૂઆત કરી હતી, જે કારણે તેમને "ભારતીય ભાષાઓનું રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ હાથ ધરવા માટે યોગ્ય અને આધારભૂત ચળવળ" કરનારા વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ ભાષા તજજ્ઞએ 60 વર્ષની ઉંમરે તેમણે વધુ ભાષાઓની શોધ-ખોળ માટે ભારત દેશમાં 18 મહિનામાં 300 મુસાફરીઓ હાથ ધરી હતી.

તેમણે પોતાનો મુસાફરીનો ખર્ચ કાઢવા માટે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વ્યાખ્યાનો આપીને કમાણી કરી અને એ કમાયેલા પૈસાનો ઉપયોગ તેમણે તેમના આ સંશોધન અર્થે વાપર્યા. તેમણે રાત અને દિવસની યાત્રા કરી કેટલાક રાજ્યોની આશરે તેમણે 10 વાર પુનરાવર્તન યાત્રાઓ કરી અને આ યાત્રાઓની નોંધ રાખતી એક ડાયરી જાળવી રાખી.

પ્રો. દેવીએ 3,500 વિદ્વાનો, શિક્ષકો, કાર્યકર્તાઓ, બસ ડ્રાઇવરો અને નામદાર લોકોનું એક સ્વૈચ્છિક નેટવર્ક ઉભું કર્યું જેઓ દેશના દૂરના ભાગોમાં પ્રવાસ કરતા.

તેમની વચ્ચે પૂર્વીય રાજ્ય ઓડિસાના અમલદારની કારના એક ડ્રાઈવર હતા જે તેમના વ્યાપક પ્રવાસ દરમિયાન નવા શબ્દોની એક ડાયરી રાખ્યા કરતા હતા.

સ્વયંસેવકોએ લોકોની મુલાકાત લઈ અને ભાષાઓના ઇતિહાસ અને ભૂગોળના પરિમાણથી તારવાનું શરૂ કર્યું. તેઓએ સ્થાનિક લોકોને તેમની ભાષાની પહોંચ વિષે "તેમનો પોતાનો એક નકશો દોરવા" કહ્યું.

પ્રો. દેવી કહે છે, "લોકોએ ફૂલો, ત્રિકોણ અને વર્તુળો જેવા આકારના નકશા દોર્યા હતા. તે તેમની ભાષાની પહોંચ પર તેમની કલ્પનાના નકશા હતા."

2011 સુધીમાં, પીએલએસઆઈએ 780 ભાષાઓ રેકોર્ડ કરી હતી, જે સરકાર દ્વારા 1961ની સાલમાં ગણતરીમાં લેવાયેલી 1,652 ભાષાઓના આંક કરતા ઘણો નીચો હતો.

સંસ્થાના સર્વેક્ષણના તારણોને લઇને આયોજિત 100 પુસ્તકો પૈકી 39 પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યા છે અને હજુ પ્રકાશન અર્થે 35 હજાર પાનાંની ટાઈપ કરેલી હસ્તપ્રતોની ચકાસણી કરવામાં આવી રહી છે.

સરકારી પ્રોત્સાહનનો અભાવ, ઘટતા જતા સ્થાનિક ભાષા બોલનારા લોકો, સ્થાનિક ભાષાઓમાં ગરીબ પ્રાથમિક શિક્ષણ અને તેમના મૂળ ગામડાઓમાંથી સ્થળાંતર કરનારા લોકોને કારણે કારણે ભારત દેશમાંથી ઘણી ભાષાઓ લુપ્ત થઈ ગઈ છે.

ભાષાનું મૃત્યુ એ એક સાંસ્કૃતિક દુર્ઘટના છે અને ભાષાના મૃત્યુની સાથે સાથે શાણપણ, વાર્તાઓ, દંતકથાઓ, રમતો અને સંગીત પણ દૂર થઈ રહ્યાના સંકેતો આપે છે.

'ભાષાકીય લોકશાહી'

પ્રો. દેવી કહે છે કે ભાષા સંદર્ભે ઘણી ચિંતાઓ છે.

તેઓ શાસક હિંદુ રાષ્ટ્રવાદી ભાજપના ભારતભરમાં હિંદીને લાગુ કરવાના પ્રયાસો અને પ્રયત્નોથી ચિંતિત છે અને આ પ્રક્રિયાને તેઓ "આપણા ભાષાકીય બહુમતી પર સીધો હુમલો" કહે છે.

તેઓ નવાઈ પામતા પૂછે છે કે શું ભારતના મેગા-શહેરો રાષ્ટ્રવાદી રાજકારણના ચહેરા હેઠળ ભાષાકીય વૈવિધ્યતા સાથે કઈ રીતે વ્યવહાર કરશે?

મહારાષ્ટ્રના શાંત ઐતિહાસિક શહેર ધારવાડમાં પોતાના ઘર પર તેમની બેઠક પર બેસતા તેઓ કહે છે કે જ્યારે પણ કોઈ એક ભાષા મૃત્યુ પામે છે ત્યારે હું એક પ્રકારે ઉદાસી અનુભવું છું, માછલી અને ચોખાના અન્ય પ્રકારો જેવી વિવિધતામાં આપણને પહેલેથીજ ભારે નુકશાન થયું છે.

"આપણી ભાષાઓ બહુ વિષમ પરિસ્થિતિઓમાં જીવંત રહી છે. આપણે ખરેખર એક ભાષાકીય લોકશાહી છીએ. આપણી લોકશાહી જીવંત રાખવા માટે, આપણી ભાષાઓને જીવંત રાખવી પડશે," તેવું પ્રો. દેવી અંતમાં જણાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો