આખો દિવસમાં પોલીસ લાઇનમાં બેસાડી રાખવામાં આવી: તિસ્તા

- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, વારાણસીથી બીબીસી હિંદી માટે
ઉત્તર પ્રદેશમાં વારાણસી સ્થિત બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં સોમવારનો દિવસ હોબાળા અને નારેબાજી ભરેલો રહ્યો.
છાત્રાઓના આંદોલને રાજકીય રૂપ ધારણ કરી લેતા પોલીસ અને પ્રશાસન થોડું વધુ સતર્ક જોવા મળ્યું હતું. રવિવારે એરપોર્ટ પરથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરની અટકાયત બાદ, સોમવારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને પણ પોલીસે અટકાવ્યા હતા.
તિસ્તાને અંદાજે ૧૦ કલાક સુધી પોલીસે લાઇનમાં ગોંધી રાખ્યા બાદ, મોડી સાંજે તેમને મુક્ત કરવામાં આવી હતી.
બીબીસી સાથેની વાતચીતમાં તિસ્તાએ જણાવ્યું, "હું જ્યારે એરપોર્ટથી જૌનપુર જવા નીકળી, ત્યારે મને પોલીસે રોકી ને પૂછ્યું, "શું તમે બીએચયુ જઈ રહ્યા છો?" પ્રત્યુત્તરમાં મેં કહ્યું, "હું જઈ તો નથી રહી, પરંતુ તમે મને ક્યાંય જતા અટકાવી પણ ન શકો."

ઇમેજ સ્રોત, AFP
તિસ્તાના કેહવા પ્રમાણે, "(રસ્તામાં) પોલીસ લાઇન આવતાની સાથેજ મને ફરીથી રોકવામાં આવી અને અંદાજે દોઢ કલાક મને બહાર ઉભી રાખ્યા બાદ મને અંદર લઈ જવામાં આવી અને કહેવામાં આવ્યું કે હવે આપ અહીં જ બેસી રહો."
તિસ્તા સેતલવાડે જૌનપુર જવા માટે વારાણસીની ફલાઇટ લીધી હતી, પણ પોલીસને ગંધ આવી ગઈ હતી કે તેઓ બીએચયુ જઈ રહ્યા છે, પરિણામે તેને એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવ્યા.
તિસ્તા સેતલવાડનું કહેવું છે કે બનારસની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ને પ્રશાસન એટલું સતર્ક છે કે એમને પોલીસ લાઇનમાં ગોંધી રાખવામાં આવ્યાં.

ઇમેજ સ્રોત, PTI
પ્રશાસને તિસ્તા સામે કરેલી કાર્યવાહીની ચર્ચા તરતજ સોશિયલ મીડિયા પર થવા લાગી, છતાં પણ તેને મુક્ત કરવામાં ન આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વારાણસી સાદારના એસડીએમ (સિનિયર ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) તિસ્તાની અટકાયત પાછળનું કારણ સમજાવતા કહે છે કે પોલીસને કોઈક એવી ચોક્કસ માહિતી મળી હતી કે તિસ્તા બીએચયુ જઈ શકે છે. તિસ્તાના બીએચયુ જવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઈ એમ હતી.
એસડીએમ સુનિલ વર્માએ કહ્યું, "એમની (તિસ્તાની) ધરપકડ નથી કરવામાં આવી એમની ખાલી અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ એમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. હકીકતે શરૂઆતથીજ પોલીસ એમની પાસેથી એ લેખિત આશ્વાશન લેવા માંગતી હતી કે એમને (તિસ્તાને) કારણે કાયદો-વ્યવસ્થા નહિ બગડે.
પરંતુ ત્યારે એમને લેખિતમાં કઈ આપ્યું નહિ. એમની અટકાયત કર્યા બાદ એમને લેખિત બાહેંધરી આપતા તો એમને મુક્ત કરી દેવામાં આવ્યા."
આ પહેલા રવિવારે મોડી સાંજે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરને પણ એરપોર્ટ થી બનારસ શહેરમાં દાખલ થતાની સાથેજ તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ રાજ બબ્બર ત્યાંજ ધરણા પર બેસી જતા, પ્રશાસને તેમને ત્યાંથી હટાવા પડયા હતા.
સોમવારે આખો દિવસ બીએચયુ ગેટની સામે સમાજવાદી પાર્ટીના યુવા નેતાઓ, છાત્રોના સમર્થનમાં નારેબાજી કરવા લાગ્યા હતા.
ત્યારબાદ જ્યારે બીએચયુની છાત્રાઓના સમર્થનમાં જ્યારે બીજા અનેક રાજનૈતિક દળો પણ કૂદી પડતા, વારાણસી શહેરની અન્ય શૈક્ષણિક સંસ્થાઓના છાત્રો પણ એમના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.












