ફાસ્ટેગ : '3000 રૂપિયામાં 200 વખત મુસાફરી', નવી જાહેરાતથી ફાયદો થશે કે નુકસાન?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિત્યા પાંડિયન
- પદ, બીબીસી તમિલ
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 18 જૂનના રોજ ફાસ્ટેગ સંબંધિત એક મહત્ત્વની ઘોષણા કરી હતી.
તેમણે વાર્ષિક ફાસ્ટેગ પાસ નામની યોજનાની જાહેરાત કરી, જે ડ્રાઇવરોને 3,000 રૂપિયાની ફી ચૂકવીને કોઈ પણ ટોલ ચૂકવ્યા વિના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 200 વખત મુસાફરી કરવાની મંજૂરી આપે છે.
આ દરેક માટે ફરજિયાત છે કે કેમ, કયાં વાહનો તેનો ઉપયોગ કરી શકે છે, શું આ માટે નવો ફાસ્ટેગ ખરીદવો જોઈએ અને શું આ પાસનો ઉપયોગ કરીને સ્ટેટ હાઈવે પર મુસાફરી કરવી શક્ય છે કે કેમ તે અંગે લોકોમાં વિવિધ શંકાઓ છે.
આના જવાબમાં, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય પણ સ્પષ્ટતા આપી છે. તમારી શંકાઓના જવાબો અહીં રજૂ કરવામાં આવ્યા છે.

તમે આ વાર્ષિક પાસ 3,000 રૂપિયામાં મેળવી શકો છો. આની મદદથી તમે ટોલ ચૂકવ્યા વિના 200 વાર મુસાફરી કરી શકો છો.
જોકે આનો ઉપયોગ ફક્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને ઍક્સપ્રેસવે પર જ થઈ શકે છે. વપરાશકારો 15 ઑગસ્ટથી આ પાસ મેળવી શકશે.
આખા વર્ષ દરમિયાન મુસાફરી કરતા લોકો આ પાસ રાજમાર્ગ યાત્રા મોબાઇલ ઍપ્લિકેશન અને નૅશનલ હાઈવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયાની વેબસાઇટ થકી મેળવી શકે છે.
તેમાં જણાવાયું છે કે જો કોઈ વપરાશકર્તા એક વર્ષમાં 200 મુસાફરી કરે, તો તેઓ ફરીથી 3,000 રૂપિયા ચૂકવીને વાર્ષિક પાસ મેળવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે ટેક્સ્ટ મૅસેજ દ્વારા તમારો પાસ અંગેની અપડેટ્સ જાણી શકો છો.

તેવી જ રીતે, આ વાર્ષિક પાસ ફક્ત કાર, જીપ અને વાન જેવાં હળવાં વાહનો માટે જ જાહેર કરવામાં આવે છે.
આ પાસ કૉમર્શિયલ વાહનો કે ભારે વાહનો માટે જાહેર કરવામાં આવતો નથી.
જો છેતરપિંડીની શંકા જાય તો પાસ તાત્કાલિક નિષ્ક્રિય કરવામાં આવશે.
જે વપરાશકર્તાઓએ પોતાનાં વાહનોમાં યોગ્ય રીતે ફાસ્ટેગ ઇન્સ્ટોલ કર્યું છે તેઓ આ પાસ મેળવી શકે છે.
તેમની કારમાં પહેલેથી જ ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરેલું છે અને તે યોગ્ય રીતે નોંધાયેલા વાહન માટે ફાસ્ટટૅગ છે તેની ચકાસણી કર્યા પછી નવી યોજનાને તે જ એકાઉન્ટ પર સક્રિય કરી શકાય છે.
તેવી જ રીતે, જો ફાસ્ટેગ વાહન નોંધણી નંબર (VRN) વગર ચેસિસ નંબર (VIN) સાથે નોંધાયેલ હોય, તો પાસ ઉપલબ્ધ થશે નહીં. તેથી, માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય ફાસ્ટટૅગમાં વાહન નોંધણી નંબર અપડેટ કરવાની સલાહ આપે છે.

એવું કહેવાય છે કે 3,000 રૂપિયા ચૂકવીને તમે 200 ટ્રિપ્સ સુધી પાસનો ઉપયોગ કરી શકો છો, પરંતુ 200 ટ્રિપ્સનો અર્થ શું છે? તેની ગણતરી કેવી રીતે થાય છે?
આ પ્રશ્ન માટે સમજૂતી આપનાર કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે જણાવ્યું છે કે આ ટોલની પ્રકૃતિના આધારે ગણતરી કરવામાં આવે છે.
દરેક વખતે જ્યારે ટોલનાકાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તેને ટ્રિપ તરીકે ગણવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, જો તમે હાલમાં ચેન્નાઈથી બૅંગ્લુરુ અને વળતી મુસાફરી કરી રહ્યા છો, તો નૅશનલ હાઈવે પર આવા ટોલનાકા પર પ્રવેશ અને બહાર નીકળવાનો સમય બે 'ટ્રિપ' ગણવામાં આવશે.
બંધ ટોલિંગ ચુકવણી પ્રણાલીઓવાળા ટોલનાકા પર રાઉન્ડ ટ્રીપને સિંગલ ટ્રીપ ગણવામાં આવે છે.

આ વાર્ષિક પાસ બધાં ખાનગી વાહનો માટે ફરજિયાત નથી. રસ ધરાવતા લોકો તે મેળવી શકે અને મુસાફરી કરી શકે છે. હાલમાં અમલમાં રહેલી ફાસ્ટેગ યોજના ચાલુ રહેશે તેમ હાઈવે મંત્રાલયે જાહેરાત કરી છે.
જાહેરાત મુજબ, ટોલનાકું પાર કરતી વખતે તે મુસાફરી માટે જરૂરી ટોલ ફી તેમના ખાતામાંથી રાબેતા મુજબ વસૂલવામાં આવશે.
આ પાસ ફક્ત નૅશનલ હાઈવે અને નૅશનલ ઍક્સપ્રેસવે પર મુસાફરી માટે માન્ય છે. તે રાજ્યો હેઠળના હાઈવે અને ઍક્સપ્રેસવે પર માન્ય નથી. તેવી જ રીતે, આ પાસનો ઉપયોગ સ્થાનિક વહીવટ હેઠળ સંચાલિત રસ્તાઓ પર થઈ શકતો નથી.
આવા રસ્તાઓ પર નિયમ મુજબ, ફાસ્ટેગમાંથી ટોલ કાપવામાં આવશે.
પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરો અનુસાર, ફાસ્ટેગ 2016માં રજૂ કરાઈ હતી. આ યોજના ટોલનાકા પર લાંબા સમય સુધી રાહ જોવાનો સમય ઘટાડવા અને ઈંધણ બચાવવાના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવી હતી. બાદમાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી કે તેને 1 જાન્યુઆરી, 2021થી ફરજિયાત બનાવાશે.


ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મદ્રાસ હાઇકોર્ટમાં ગ્રાહક કલ્યાણ સંબંધિત કેસો હૅન્ડલ કરતાં વકીલ એસ. ગોપાલકૃષ્ણન નટરાજને કહ્યું કે આ પાસ માત્ર નૅશનલ હાઈવે માટે ઇસ્યૂ થયા હોવાની અને સ્ટેટ હાઈવે માટે ઇસ્યૂ ન થયા હોવાની સ્થિતિમાં જે લોકો સ્થાનિક જિલ્લામાં મુસાફરી કરે છે તેમને લાભ નહીં થાય.
તેઓ કહે છે કે, "લોકો પહેલાંથી જ ફાસ્ટેગને કરનું બમણું ભારણ જ માને છે. પહેલાં તો તેઓ ગાડી ખરીદતી વખતે રોડ ટૅક્સ ભરે છે. બાદમાં તેઓ દરેક સ્થળે ટોલ ટૅક્સ પણ ચૂકવે છે."
તેઓ કહે છે, "અમુક વાર અલગ-અલગ ટોલનાકા પ્રમાણે તેમણે પ્રતિ કિલોમીટર કરવી પડતી ચુકવણીના દર જુદા જુદા હોય છે. લોકોને કહેવાય છે કે તેઓ રોડની જાળવણી માટે ચુકવણી કરી રહ્યા છે, પરંતુ લોકોના મનમાં એવો પણ પ્રશ્ન ઊઠે છે કે જો જાળવણી કૉમન હોવા છતાં કેમ ટોલના દર અલગ છે."
તેઓ કહે છે કે કેટલીક જગ્યાએ તો ભૂતકાળમાં એવાં પણ ઉદાહરણ જોવાં મળ્યાં છે, જ્યાં કૉન્ટ્રેક્ટ ખતમ થઈ ગયો હોવા છતાં લોકો પાસેથી પૈસા ઉઘરાવાઈ રહ્યા હતા. હજુ ઘણા બધા પડકારો છે, જેનું નિરાકરણ શોધવાનું છે. આ જાહેરાતથી એક જ રાજ્યમાં કે જિલ્લામાં મુસાફરી કરનારા લોકોને ફાયદો થયો નથી.
તેમણે આગળ ઉમેર્યું, "મોટા ભાગે ભારે વાહનો, કાર, વાન અને જીપની સંખ્યા ખૂબ ઓછી છે અને સવાલ એ છે કે શું આનાથી લોકોને લાભ થશે કે કેમ. જો લોકો ત્રણ હજાર રૂપિયા ભરી દે અને ઓછી મુસાફરી કરે, તો તેઓ બાકી બચેલા પૈસાનો બીજા વર્ષે ઉપયોગ નહીં કરી શકે. જો રાજ્યના રોડ માટે પણ આવા પાસ જાહેર કરાય તો જે લોકો અવારનવાર મુસાફરી કરે છે તેમના માટે આ વાત રાહત આપનારી સાબિત થશે."

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












