પેટ અને દિમાગ વચ્ચેનું કનેક્શન, જે તૂટે તો ડિપ્રેશન આવે, તેના વિશે જાણો છો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આંદ્રે બિયરનીથ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
આપણાં આંતરડામાં દસ કરોડ કરતાં વધુ નર્વ સેલ્સ (તંત્રિકા કોશિકા) આવેલા હોય છે, તે આપણાં શરીરનું લગભગ 95 ટકા સેરોટિનિન બનાવે છે. સેરોટોનિનએ આપણાં મૂડ તથા ખુશી સાથે જોડાયેલું કેમિકલ છે.
તાજેતરમાં થયેલા કેટલાક સંશોધનોથી માલૂમ પડ્યું છે કે આંતરડાંના 'માઇક્રૉબાયોટા' એટલે કે તેમાં રહેલાં ખરબો બૅક્ટેરિયા, વાઇરસ, ફંગસ તથા અન્ય નાનામોટાં જીવ આપણાં શરીર તથા અમગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
પેટ અને મગજ વચ્ચેનો સંબંધ કેવી રીતે બંધાય છે? શું આ સંબંધને જાળવીને આપણે વધુ સ્વસ્થ તથા ખુશહાલ જિંદગી જીવી શકીએ?

આના પરથી સ્પષ્ટ છે કે આપણાં આંતરડાં અને મગજ એકબીજાં સાથે જોડાયેલાં છે અને તેઓ એકબીજાને પ્રભાવિત કરે છે.
કદાચ તમને કોઈ મિટિંગ પહેલાં ગભરાટ કે ઉબકા જેવું લાગ્યું હશે, કબજિયાત થઈ હોય ત્યારે ચીડિયાપણું અનુભવ્યું હોય, આ બધું તે જોડાણની અસર છે.
જોકે, એક મુદ્દો એ છે કે આંતરડાં અને મગજ વચ્ચેનો સંબંધ કેવી રીતે બંધાય છે? શું આ કનેક્શનને વધુ સારું બનાવીને આપણે વધુ સ્વસ્થ તથા ખુશહાલ જિંદગી જીવી શકીએ?

ગૅસ્ટ્રોઍન્ટ્રૉલૉજિસ્ટ તથા બ્રિટનસ્થિત બાઉલ રિસર્ચનાં ઍમ્બેસેડર ડૉ. સલીહા મહમૂદ અહમદ જણાવે છે કે મગજ અને આંતરડાં એકબીજાં સાથે ત્રણ પ્રકારે જોડાયેલાં છે.
પહેલું વૅગાસ નર્વ છે, જે શરીરનાં ચેતાતંત્રની ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંરચના છે. આ નર્વ મગજને સીધું જ હૃદય અને આંતરડાં જેવા મહત્ત્વપૂર્ણ અંગો સાથે જોડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હૉર્મોન દ્વારા પણ મગજ અને આંતરડાં એકબીજા સાથે જોડાયેલાં છે તથા ત્રીજું ઇમ્યૂન સિસ્ટમ છે.
ડૉ. અહમદ કહે છે, "ઘણાં લોકોને લાગે છે કે ઇમ્યૂન સેલ્સ માત્ર લોહી કે લિમ્ફ નૉડ્સમાં જ હોય છે, પરંતુ તે ખાસ્સા એવા પ્રમાણમાં આંતરડાંમાં પણ સક્રિય હોય છે. તે મગજ તથા સમગ્ર શરીરને પરસ્પર જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે."
અમેરિકાની મેયો ક્લિનિકમાં ગૅસ્ટ્રોઍન્ટ્રૉલૉજિસ્ટ ડૉ. પંકજ જે. પસરિચા જણાવે છે કે મગજને કામ કરવા માટે ખૂબ જ ઊર્જાની જરૂર પડે છે, એટલે આંતરડા અને દિમાગ વચ્ચે સંબંધ હોય છે.
આંતરડાં આપણાં શરીરને ઊર્જા આપનાર 'પાવરહાઉસ' છે. આપણાં મગજનું વજન સમગ્ર શરીરનાં લગભગ બે ટકા જેટલું હોય છે, પરંતુ તે શરીરના 20 ટકા ઊર્જાનો વપરાશ કરે છે.
આંતરડાંની મગજ ઉપર તથા મગજની આંતરડાં ઉપર અસર પડતી હોય છે.
આ વાત તમે રોજિંદી જિંદગીનાં અનેક ઉદાહરણો દ્વારા સમજી શકો છો. આપણે જ્યારે કોઈ જોખમી પરિસ્થિતિનો સામનો કરીએ છીએ, અથવા તો કોઈ ખૂબ જ મહત્ત્વૂપર્ણ ઘટના જેમ કે ઑફિસની મિટિંગ, હોય તો આપણાં શરીરનાં આંતરડાંમાં તેની પ્રાથમિક પ્રતિક્રિયા થાય છે.
પેટમાં આંટી વળવી, ઉબકાં જેવું લાગવું કે ક્યારેક ટૉઇલેટ પણ લાગી શકે છે.
જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ તો 'પેટમાં ગલગલિયાં' જેવી અનુભૂતિ થાય છે. તે ભાવનાત્મક પ્રતિક્રિયા છે અને તે ઉત્તેજના સાથે જોડાયેલી અનુભૂતિ છે. આપણને જે વ્યક્તિ પસંદ હોય, તે આપણી આસપાસ હોય ત્યારે આ પ્રકારની વિશેષ લાગણી અનુભવાય છે.
બીજી તરફ, જો તમને કબજિયાત થઈ હોય અને બરાબર રીતે મળત્યાગ ન કરી શકતા હોય, તો તે ચીડિયાપણાં તથા તણાવ માટે કારણભૂત બની શકે છે.

આપણાં આંતરડાંમાં 10 ખરબથી વધુ માઇક્રોબાયલ સેલ્સ હોય છે, જે બૅક્ટેરિયા, વાઇરસ, ફંગસ, પ્રોટોજોઆ તથા અન્ય સુક્ષ્મજીવો સાથે મળીને બને છે.
કોઈ એક વ્યક્તિમાં જેટલાં હ્યુમન સેલ્સ હોય, તેના કરતાં પણ આ સંખ્યા વધુ છે.
ગત બે દાયકા દરમિયાન માઇક્રૉબાયોટા તથા આપણાં શરીર ઉપર તેના પ્રભાવ વિશેની આપણી માહિતીમાં ખૂબ જ વધારો થયો હતો.
ડૉ. અહમદ કહે છે કે વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવવામાં આવેલાં નવીન ઉપકરણો અને પરીક્ષણોને કારણે આંતરડામાં રહેલાં માઇક્રૉઑર્ગનિઝમ અંગે આપણને વધુ માહિતી મળી છે.
ડૉ. પસરિચાએ વર્ષ 2011માં ઊંદરો ઉપર એક સંશોધન કર્યું હતું, જેમાં માલૂમ પડ્યું હતું કે ગૅસ્ટ્રિક ઇરિટેશન "લાંબા સમય સુધી અવસાદ તથા ચિંતા જેવી વ્યવહારસંબંધિત સમસ્યાઓ' ઊભી કરી શકે છે.
અન્ય રિસર્ચમાં બહાર આવ્યું છે કે ડિસ્બાયોસિસ કે આંતરડાંના માઇક્રૉબાયોટામાં અસંતુલન ઊભું થાય તો મેદસ્વિતા, હૃદય સંબંધિત બીમારી અથવા કૅન્સર સુદ્ધાં થઈ શકે છે.
ડૉ. પસરિચા ઉમેરે છે કે હાલમાં આપણી પાસે આ અંગેના નક્કર પુરાવા નથી. ડૉ. પસરિચા કહે છે:
"જાનવરો ઉપર કરવામાં આવેલાં અભ્યાસ તથા કેટલાક લોકો ઉપર કરવામાં આવેલાં સંશોધનમાં માલૂમ પડ્યું છે કે આંતરડાં સંબંધિત સમસ્યા ચિંતા કે અવસાદ માટે કારણભૂત હોય શકે છે, પરંતુ શું આ પરેશાની પ્રત્યક્ષપણે આંતરડાંને કારણે થાય છે? તેનો જવાબ આપણને હજુ સુધી નથી મળ્યો."

તાજેતરમાં માઇક્રૉબાયોટા તથા આંતરડાં-મગજ વચ્ચેનાં સબંધ અંગે નવું રિસર્ચ સામે આવ્યું છે. તેના કારણે એવો સવાલ ઊભો થાય છે કે શું આપણાં પેટમાં રહેલાં સુક્ષ્મજીવો વચ્ચે 'સંપૂર્ણ સંતુલન' સાધવું શક્ય છે?
આના વિશે ડૉ. અહમદ કહે છે કે આ અંગે કંઈપણ કહેવું મુશ્કેલ છે, કારણ કે દરેક વ્યક્તિનાં શરીરમાં બૅક્ટેરિયા, વાઇરસ તથા અન્ય સુક્ષ્મજીવની સંરચના અલગ-અલગ હોય છે.
જોકે, જાણકારોનું કહેવું છે કે કેટલાક સામાન્ય ઉપયોગ કરવાથી આપણાં આંતરડાં સ્વસ્થ રહે છે. જેમ કે, સંતુલિત તથા વૈવિધ્યસભર આહાર એ આ દિશામાં પહેલું પગલું છે.
આને માટે પ્રોબાયોટિક સારો વિકલ્પ છે. આ પ્રકારનું ભોજન આપણાં પાચનતંત્ર માટે સારું હોય છે. દહીં, ફળ તથા શાકભાજી પ્રોબાયોટિક આહારનાં ઉત્તમ ઉદાહરણો છે.
પ્રો. અહમદ કહે છે, "આહારમાં વિવિધતા ખૂબ જ જરૂરી છે. વિશેષ કરીને છોડઆધારિત ખોરાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."
ગૅસ્ટ્રોઍંટેરૉલૉજિસ્ટોનું કહેવું છે કે દરેક વ્યક્તિએ પોતાનાં ખોરાકમાં ફળ, શાકભાજી, આખા ધાન તથા દાળના પ્રમાણ ઉપર ધ્યાન આપવું જોઈએ.
અહમદ કહે છે, "હું શાકાહારી નથી, પરંતુ મને લાગે છે કે આપણે આપણાં ભોજનમાં લીલોતરી તથા તેના ખોરાકનું પ્રમાણ વધારવું જોઈએ."
ફળ, શાકભાજી તથા અનાજ વનસ્પતિજન્ય ખોરાક કહેવામાં આવે છે.
ડૉ. અહમદ કહે છે કે અનેક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે જે લોકો અઠવાડિયા દરમિયાન સરેરાશ ત્રીસ પ્રકારના વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થ આરોગે છે, તેમના શરીરનાં માઇક્રૉબાયોમ વધુ સ્વસ્થ હોય છે.

શું આહારમાં ફેરફાર કરીને ભાવનાઓને પ્રભાવિત કરી શકાય અને અવસાદ જેવી સમસ્યાને પહોંચી વળવામાં મદદ મળે? આ અંગે ઑક્સફર્ડ યુનિવર્સિટીએ એક અભ્યાસ કર્યો હતો.
નિષ્ણાતોએ અવસાદની સમસ્યા સામે ઝઝૂમી રહેલા 71 સ્વયંસેવકોને બે જૂથમાં વિભાજીત કર્યા. પહેલાં સમૂહને ચાર અઠવાડિયાં સુધી પ્રોબાયોટિક ભોજન આપવામાં આવ્યું તથા બીજા જૂથને 'પ્લેસિબો' એટલે કે બનાવટી દવા આપવામાં આવી.
આ અભ્યાસમાં વિજ્ઞાનીઓ તથા વૉલિયન્ટરોને પણ ખબર ન હતી કે કોને શું આપવામાં આવ્યું છે. આ અભ્યાસ દરમિયાન અનેક પરીક્ષણ કરવામાં આવ્યાં, જેનો હેતુ મૂડ, ચિંતા, ઊંઘ તથા લાળમાં કૉર્ટિસોલ (તણાવસંબંધિત હૉર્મોન) જેવા કારકોને માપવામાં આવ્યા હતા.
રીટા બાયાઓ પૉર્ટુગલની યુનિવર્સિટી ઑફ લિસ્બન ખાતે સ્કૂલ ઑફ સોશિયલ સાયન્સિઝમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે, તથા તેમનાં નેતૃત્વમાં જ આ અભ્યાસ થયો હતો.
તેમણે જણાવ્યું કે ડિપ્રેશનગ્રસ્ત વ્યક્તિ સામાન્ય રીતે તટસ્થ કે સકારાત્મક સંકોતની સરખામણીમાં નકારાત્મક ભાવનાઓ તથા ચહેરાના ભાવો ઉપર વધુ ધ્યાન આપે છે.
પ્રો. બાયાઓ કહે છે, "અમે સમજવા માગતાં હતાં કે પ્રોબાયોટિક્સના સેવનથી મગજને મળતી ભાવનાત્મક માહિતીને કોઈ અસર થાય છે કે નહીં. અમે જોયું કે જે સમૂહે પ્રોબાયોટિકનું સેવન કર્યું હતું, તેમણે ચહેરાના અલગ-અલગ ભાવો તથા ભાવનાત્મક સંકેતોની ઓળખ કરતી વેળાએ નકારાત્મક સંકેતો તરફ ઓછું ધ્યાન આપ્યું હતું."
પ્રો. બાયાઓ માને છે કે ડિપ્રેશન સંબંધિત અમુક લક્ષણોને ઓછાં કરવામાં પ્રોબાયોટિક્સ મદદ કરી શકે છે – સાથે જ ઉમેરે છે કે આ દિશામાં વધુ રિસર્ચ કરવાની જરૂર છે.
તેમના મત પ્રમાણે, "આપણને હજુ નક્કર આંકડાની જરૂર છે, પરંતુ એવા સંકેત ચોક્કસથી મળે છે કે પ્રોબાયોટિક્સ સકારાત્મક પ્રભાવ ઊભો કરી શકે છે તથા તેના કારણે દુષ્પ્રભાવ દૂર થાય છે."
ડૉ. પસરિચા કહે છે કે માઇક્રોબાયોમની સંરચનામાં ફેરફાર લાવવામાં દાયકાઓનો સમય લાગી શકે છે.
"અને આપણે જાણીએ છીએ કે મોટાભાગના લોકો માટે અમુક આદતોને લાંબા સમય સુધી જાળવી રાખવી મુશ્કેલ હોય છે. જો આવું ન હોત, તો મેદસ્વિતા આટલી વ્યાપક ન હોત. પરંતુ આપણે આ કોયડાને ઉકેલવા માટે જરૂરી હિસ્સા જોડી રહ્યા છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












