ઈરાનના હુમલામાં ઇઝરાયલને કેટલું નુકસાન થયું, જુઓ 10 તસવીરો

ઈરાને રવિવારે ઇઝરાયલ પર બૅલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. ત્યાં ઇઝરાયલે પણ ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલાં બુનિયાદી માળખાંને નિશાન બનાવ્યાં હોવાનો દાવો કર્યો છે.

ઇઝરાયલની ઇમર્જન્સી સેવાઓએ જણાવ્યું છે કે ઈરાની હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઇઝરાયલી સેના (આઈડીએફ)નું કહેવું છે કે રવિવારે ઈરાનની તરફથી કરવામાં આવેલા હુમલામાં ઇઝરાયલમાં ઘણા વિસ્તારોમાં હવાઈ હુમલાની ચેતવણી સંભળાઈ હતી.

ઇઝરાયલી સેનાનું કહેવું છે કે ઍરફોર્સ આ હુમલાને ઇન્ટરસેપ્ટ કરતી હતી અને જ્યાં જરૂર લાગે ત્યાં હુમલાઓ કરતી હતી.

ઇઝરાયલી સેનાના પોતાના નિવેદનમાં લોકોને કહેવામાં આવ્યું છે કે સાર્વજનિક વિસ્તારોમાં જવાથી તેઓ બચે. સાર્વજનિક સભાઓથી તેઓ દૂર રહે અને ઍલર્ટ મળવા પર સુરક્ષિત સ્થાન પર જતા રહે.

આ સંઘર્ષ બાદ બંને દેશો દ્વારા એકબીજા પર હુમલા ચાલુ રાખ્યા છે. શનિવારે રાત્રે પણ ઇઝરાયલ અને ઈરાને એકબીજા પર હુમલા કર્યા છે.

ઇઝરાયલની હાઇફા ખાતેની ઑઇલ રિફાઇનરીમાં આગ લાગવાની ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. ઈરાનના સરકારી ટેલિવિઝને કહ્યું હતું કે હાઇફા અને તેલ અવિવ તેનાં મુખ્ય નિશાન છે. જોકે, હાઇફાની મ્યુનિસિપાલિટીએ કોઈ રૉકેટ ત્રાટક્યું હોવાની વાતને નકારી હતી.

ઈરાને રવિવારે ઇઝરાયલ પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા અને કહ્યું હતું કે તે રાજધાની તેલ અવિવ સુધી પહોંચવામાં સફળ રહ્યું છે.

શુક્રવારે તેલ અવિવના પરાવિસ્તાર રિશોન લેઝિયોનમાં ઈરાનની મિસાઇલ ત્રાટકી હતી, જેના કારણે બે લોકોનાં મોત થયાં છે, જ્યારે 19 નાગરિક ઘાયલ થયા હતા. આ સિવાય અનેક ઇમારતો તથા ગાડીઓને નુકસાન થયું હતું.

આ પહેલાં શુક્રવારે રાત દરમિયાન છ અલગ-અલગ તબક્કામાં ઈરાનની મિસાઇલો ત્રાટકી હોવાના અહેવાલ છે. દેશભરમાં કુલ ત્રણ લોકોનાં મોત તથા 76 લોકો ઘાયલ થયા છે.

સાર્વજનિક રીતે અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ઈરાન દ્વારા અમેરિકાનાં સૈન્યઠેકાણાં ઉપર કોઈપણ પ્રકારના હુમલા કરવામાં આવશે તો ઈરાને તેનાં પરિણામ ભોગવવા પડશે.

ઇઝરાયલ સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ઇસ્લામિક દેશોના સંગઠન ઑર્ગનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશન(ઓઆઈસી)ના મહાસચિવ હિસેન બ્રાહિમ તાહા સાથે ફોન પર વાત કરી છે.

બંને વચ્ચે થયેલી વાતચીત બાદ ઓઆઈસીએ ઇઝરાયલી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને ઈરાન પ્રત્યે એકજૂટતાની વાત કરી છે.

આ વાતચીતની જાણકારી ઓઆઈસી તરફથી જારી એક નિવેદનમાં આપવામાં આવી હતી.

ઓઆઈસી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું, "ચર્ચા હાલમાં ઇઝરાયલ તરફથી ઈરાન પર કરવામાં આવેલા સૈન્ય હુમલા પર કેન્દ્રિત હતી."

નિવેદન પ્રમાણે ચર્ચા દરમિયાન ઇઝરાયલ તરફથી થયેલા હુમલાનું કારણ ક્ષેત્રીય સ્થિરતા પર પડનારા ગંભીર પ્રભાવ પર ભાર મૂકવામાં આવ્યો.

નિવેદનમાં એમ પણ કહેવાયું, "મહાસચિવે ઓઆઈસી મહાસચિવાલય તરફથી આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે અને ઈરાન તરફે એકજૂટતા દેખાડી છે."

કૉંગ્રેસે ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ઍક્સ પર પોસ્ટ કરીને આ હુમલાની નિંદા કરી છે.

તેમણે લખ્યું, "ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ઈરાન પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હાલના હુમલા અને ટાર્ગેટેડ હત્યાઓની સખત નિંદા કરી છે. પાર્ટીનું કહેવું છે કે આ ઈરાનની સંપ્રભુતા અને અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. તથા આ વિસ્તારમાં અસ્થિરતા વધી શકે છે."

"કૉંગ્રેસ પાર્ટીનું માનવું છે કે સમસ્યાનો હલ વાતચીત, કૂટનીતિ અને સહયોગથી જ કાઢી શકાય છે. ન કે હુમલો કરવાથી કે હિંસા કરવાથી. કૉંગ્રેસ ઇચ્છે છે કે તમામ સૈન્ય કાર્યવાહી તરત રોકવામાં આવે."

આ પોસ્ટમાં જયરામ રમેશે ભારત અને ઈરાન વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોની વાત પણ કરી. તેમણે કહ્યું કે કેટલાંક વર્ષોમાં ભારતે ઇઝરાયલ સાથે પણ સંબંધ વધાર્યા છે.

તેમણે લખ્યું, "આવી પરિસ્થિતિમાં ભારત પાસે તક છે અને જવાબદારી પણ કે આ તણાવને ઘટાડવામાં મદદ કરે અને વાતચીતની પહેલ કરે."

તેમણે પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા પર ચિંતા પણ વ્યક્ત કરી છે.

તેમણે લખ્યું, "પશ્ચિમ એશિયામાં લાખો ભારતીયો રહે છે. તેથી અહીંની શાંતિ માત્ર વિદેશનીતિ માટે જ નહીં પરંતુ ભારતીય રાષ્ટ્રીય હિતનો વિષય છે."

"કૉંગ્રેસ કામના કરે છે કે ભારત સરકાર આ મામલે સ્પષ્ટ વલણ અપનાવે, સમજદારીથી કામ લે અને શાંતિ માટેની તમામ કોશિશ કરે."

ભારતનું કહેવું છે કે આ મામલાનો ઉકેલ સંવાદથી આવવો જોઈએ. ભારતે પોતાને એસસીઓના નિવેદનથી અલગ કરી દીધું છે.

ઈરાનનું કહેવું છે કે જો તેની ઉપર નિશાન સાધવામાં યુકે, ફ્રાન્સ કે અમેરિકાના સૈન્યમથક કે જહાજોનો ઉપયોગ થશે તો તેમને પણ નિશાન બનાવશે. સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, ઇરાક, તુર્કી સહિત અનેક દેશોએ ઈરાન પરના ઇઝરાયલના હુમલાની ટીકા કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન