દેવાયત ખવડ : મજૂરના દીકરાએ કઈ રીતે ડાયરો કરવાનું શરૂ કર્યું?

રાજકોટ સહિત ગુજરાતમાં લોકકલાકાર દેવાયત ખવડ થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં ચર્ચામાં હતા. તેઓ મારામારીના વાઇરલ થયેલા વીડિયોના કારણે ચર્ચામાં આવ્યા હતા.

લોકસાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટમાં રહેતા અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા મયૂરસિંહ રાણા પર હુમલા કર્યાની વિવાદિત ઘટનાનો વિડીયો થોડા સમય પહેલા વાઇરલ થયો હતો.

હાલ દેવાયત ખવડ જેલમાં છે અને ચાર્જશીટ રજૂ થયા બાદ તેમણે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી પણ 15 ફેબ્રુઆરીએ પાછી ખેંચી લીધી છે.

વાંચો કોણ છે દેવાયત ખવડ અને કેવી રીતે શરૂ થઈ તેમના ડાયરાના કાર્યક્રમોની સફર...

કોણ છે દેવાયત ખવડ?

દેવાયત ખવડનું વતન સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું દુધઈ ગામ છે. દુધઈ ગામના અગ્રણી રામકુભાઈ કરપડાએ બીબીસી ગુજરાતીના સહયોગી બિપીન ટંકારિયા સાથેની વાતચીતમાં ખવડ વિશે માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર ગામના કાઠી દરબાર સમાજમાં 1988માં જન્મેલા દેવાયત ખવડએ 1થી 7 ધોરણ સુધીનો અભ્યાસ દુધઈ ગામમાં કર્યો હતો. ત્યારબાદ પોતાનું માધ્યમિક શિક્ષણ લેવા માટે પોતાના ગામથી ચાર કિલોમીટર દૂર વેલા સડલા ગામમાં રહ્યા અને પછી કૉલેજ સુધીનો અભ્યાસ સુરેન્દ્રનગરમાં કર્યો હતો.

તેમના પિતા દાનભાઈ ખવડ સિમેન્ટના પિપ બનાવવાના ઉદ્યોગમાં શ્રમિક તરીકે કામ કરતા હતા અને તેમની પાસેની 10 વીઘા જમીન પર ખેતી પણ કરતા હતા. તેમનું નિધન 2015માં થયું હતું.

ડાયરાની દુનિયામાં કઈ રીતે આવ્યા?

દેવાયત ખવડને ડાયરાની દુનિયામાં લાવનારા તેમના મામા જિલુભાઈ કરપડા છે, જેઓ સાહિત્યપ્રેમી છે અને ખેતી ઉપરાંત સાહિત્યશિબિરો પણ કરે છે.

વર્ષો પહેલાં ગામમાં રાજ્ય સરકારના માહિતીખાતા તરફથી દુરદર્શન અને આકાશવાણીના સહયોગ સાથે ઊગતા કલાકારો માટે ત્રણ દિવસની શિબિર રાખવામાં આવતી. દેવાયત ખવડને ગાવાનો રસ જાગ્યો અને તેઓએ મામાને વાત કરી. તેમના પ્રોત્સાહનથી 2004માં સડલા ગામમાં રાખવામાં આવેલી આવી જ એક શિબિરમાં દેવાયત ખવડે ભાગ લીધો હતો.

ત્યારથી તેઓએ ગાવાનું શરૂ કર્યું હતું, અને પછી ગામે-ગામ ડાયરાના પ્રોગ્રામ કરવા લાગ્યા હતા. તેઓ ઇશરદાન ગઢવીને ખૂબ જ સાંભળતા હતા. આગળ જતા તેઓ વિદેશમાં પણ પ્રોગ્રામ કરવા લાગ્યા.

શું હતો સમગ્ર મામલો?

મયૂરસિંહ રાણાએ પોલીસ એફઆઈઆર માટે આપેલી માહિતી અનુસાર, 23 નવેમ્બર 2021ના રોજ રાત્રે તેઓ સંબંધીના ઘરે ગયા હતા. ત્યાંથી તેઓ પોતાના ઘરે જવા નીકળ્યા, ત્યારે દેવાયત ખવડ બીજાને ગાડી કાઢવામાં નડતરરૂપ થાય તે રીતે ગાડી પાર્ક કરીને ચાલ્યા ગયા હતા.

તેમનો દાવો છે કે, આ અંગે દેવાયત ખવડને ગાડી હઠાવવા જાણ કરી હતી. ત્યારે દેવાયત ખવડ ખૂબ જ નશામાં હતા અને તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. ખવડે તેમને ધમકી આપી હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરાયો છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર કથિત રીતે દેવાયત ખવડ પાસે રિવોલ્વર પણ હતી, તે બતાવીને ધમકી આપી હતી કે, “હું દેવાયત ખવડ છું, મને ભડાકા કરતા વાર નહીં લાગે.” અને એમ પણ કહ્યું હતું કે, “તારાથી થાય તે કરીલે ગાડી ત્યાંથી નહીં હટે. પોલીસ પણ મારી મુઠ્ઠીમાં છે, ગમે તે ગુનામાં ફિટ કરાવી દઈશ.”

તેમણે પોલીસને કહ્યું હતું કે, આ ઘટનાને એક વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં, જ્યારે પણ ખવડ સામે આવે ત્યારે કોઈ પણ બહાનું કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. કથિત રીતે રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલા સર્વેશ્વરચોક નજીક દેવાયત ખવડે મયૂરસિંહ રાણા પર હુમલો કર્યો હતો.