મમતા બેનરજીએ કહ્યું 'હું રાજીનામું આપવા માટે તૈયાર છું' - ન્યૂઝ અપડેટ

મમતા બેનરજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલકતા રેપ અને હત્યા કેસ બાદ આંદોલન કરી રહેલા જુનિયર ડૉક્ટર્સ સાથે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ બેઠક કરી હતી (ફાઇલ ફોટો)

કોલકતાથી બીબીસી હિંદીના સહયોગી પત્રકાર પ્રભાકરમણિ તિવારીએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ગુરુવારે કહ્યું હતું કે 'તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે તૈયાર છે. કેટલાક લોકોને ન્યાય નહીં પરંતુ સત્તાની ખુરશી જોઈએ છે.' તેઓ સચિવાલયમાં જુનિયર ડૉક્ટર્સના પ્રતિનિધિમંડળ સાથે બેઠક માટે બે કલાકની પ્રતીક્ષા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતાં.

આર.જી કર મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં એક ટ્રેની ડૉક્ટર સાથે રેપ અને હત્યાના વિરોધમાં ગત 32 દિવસથી આંદોલન કરી રહેલા જુનિયર ડૉક્ટર્સનું 32 સભ્યોવાળું પ્રતિનિધિમંડળ સરકારના નિમંત્રણ પર સચિવાલય પહોંચ્યું હતું. પરંતુ આ લોકો બેઠકના લાઇવ પ્રસારણની જિદ્દ કરી રહ્યા હતા. રાજ્ય સરકાર તરફથી મુખ્ય સચિવ મનોજ પંત અને પોલીસ મહાનિદેશક રાજીવ કુમાર સહિત કેટલાક અધિકારીઓએ તેમને જિદ્દ છોડીને બેઠકમાં સામેલ થવાની વિનંતી કરી હતી. આ દરમિયાન, સરકારે પણ સ્પષ્ટ કરી દીધું કે બેઠકનું વીડિયો રેકૉર્ડિંગ તો થઈ શકે છે. પરંતુ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હોવાને કારણે આનું લાઇવ પ્રસારણ ન થઈ શકે.

ત્યાર બાદ મમતા બેનરજીએ પત્રકારો સાથે વાત કરી હતી. તેમનું કહેવું હતું કે 'ત્રણ દિવસોના પ્રયાસ છતાં આ સમસ્યાના સમાધાનમાં નિષ્ફળ રહેવાને કારણે તેઓ સામાન્ય જનતા સામે માફી માંગે છે.' તેમણે સચિવાલય આવ્યા છતાં બેઠકમાં સામેલ ન થનારાઓને પણ માફ કર્યા છે.

મમતા બેનરજીએ કહ્યું કે, "મારું અને મારી સરકારનું બહુ અપમાન કરવામાં આવ્યું છે. આ વિશે દુષ્પ્રચાર કરવામાં આવ્યો. સામાન્ય લોકો આ રંગ ન જોઈ શક્યા. હું રાજીનામું આપવા માટે તૈયાર છું. તેમને ન્યાય નહીં ખુરશી જોઈએ છે. આશા છે કે લોકો આ વાતને સમજી શકશે."

મુખ્ય મંત્રીએ દાવો કર્યો કે "પ્રતિનિધિમંડળમાં સામેલ મોટા ભાગના લોકો બેઠકમાં સામેલ થવા માગતા હતા. પરંતુ તેમને બહારથી સમજૂતી ન કરવાનો નિર્દેશ મળ્યો હતો. બે ત્રણ લોકો બેઠક માટે તૈયાર ન થયા. હું ડૉક્ટરોને કામ પર પરત ફરવાનો અનુરોધ કરું છું."

તેમણે કહ્યું કે "સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરેલી સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારની કોઈ કાર્યવાહીમાં બાધા નહીં ઊભી કરે. જુનિયર ડૉક્ટરના આંદોલનના કારણે અત્યાર સુધી 27 લોકોનાં મોત થયાં છે અને સાત લાખ લોકો સારવારથી વંચિત છે. આનાથી શર્મજનક બીજું કઈ ન હોઈ શકે."

મમતા બેનરજીની પ્રેસ કૉન્ફરન્સ પછી જુનિયર ડૉક્ટરોએ પ્રેસ કૉન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, "મુખ્ય મંત્રીએ અમને ખોટી રીતે સમજ્યા. અમે અહીંયા ખુરશી માટે નહીં પણ ન્યાયની માગ માટે આવ્યા છીએ. અમે વાતચીત કરવા માટે આવ્યા છીએ. પરંતુ મુખ્ય મંત્રીની ટિપ્પણીથી અમે હતાશ છીએ. તો પણ અમે આશા નથી છોડી અને વાતચીત માટે તૈયાર છીએ."

ભારતે એશિયન ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં દક્ષિણ કોરિયાને 3-1થી હરાવ્યું, સેમિફાઇનલમાં પહોંચ્યું

ભારતીય હૉકી ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે ચીનમાં રમાઈ રહેલી હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં દક્ષિણ કોરિયાને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી આ મૅચમાં ભારત તરફથી અરિજીત સિંહે પ્રથમ ગોલ કર્યો ત્યાર બાદ હરમનપ્રીત સિંહે પેનલ્ટી કૉર્નરમાં એક વધુ ગોલ કર્યો હતો.

હરમનપ્રીત સિંહે 43મી મિનિટે ભારત માટે ત્રીજો ગોલ કર્યો હતો.

ભારત હવે સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમશે.

આની પહેલાં ભારતીય ટીમ એશિયન ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ચીનને 3-0 , જાપાનને 5-0 અને મલેશિયાને 8-1થી હરાવી ચૂકી છે.

રશિયાને ઈરાનની મિસાઇલ મળવાના રિપોર્ટથી યુદ્ધ વકરવાની આશંકા

રશિયા યુક્રેન યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રશિયાને ઈરાનની મિસાઇલો મળી હોવાના અહેવાલ સામે આવતાં યુક્રેનને લાંબા અંતરની મિસાઇલો આપવી કે કેમ તે અંગેની ચર્ચામાં નવો વળાંક આવ્યો છે.

યુક્રેનની મુલાકાતે આવેલા બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમીએ બીબીસીને જણાવ્યું, 'રશિયામાં દૂર સુધી પ્રહાર કરી શકે તેવી લાંબા અંતરની મિસાઇલો આપવા અંગેની ચર્ચા હવે બદલાઈ ગઈ છે.'

બ્રિટનમાં વાતચીત કર્યા બાદ લેમી અને અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ ઍન્ટની બ્લિંકન યુક્રેનની રાજધાની કીએવ પહોંચ્યા હતા. કીએવમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથેની મુલાકાત દરમિયાન લેમીએ યુક્રેનને 600 મિલિયન પાઉન્ડની સહાયની જાહેરાત કરી હતી.

ઝેલેન્સ્કી સતત માગ કરી રહ્યા છે કે તેમના દેશને લાંબા અંતરની મિસાઇલોની સપ્લાય અને ઉપયોગને મંજૂરી આપવા આવે.

અમેરિકા અને બ્રિટને હજુ સુધી લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની પરવાનગી આપી નથી. તેમને ડર છે જો રશિયાની અંદર ઊંડે સુધી પ્રહાર કરવામાં સક્ષમ આ મિસાઇલો આપવામાં આવશે તો યુદ્ધ વધુ વકરી શકે છે.

બુધવારે ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયા સામેના યુદ્ધમાં કીએવની જીત "મોટા ભાગે અમેરિકાના સમર્થન પર નિર્ભર કરે છે."

યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહાએ કહ્યું કે લાંબા અંતરની મિસાઇલો પરનો પ્રતિબંધ હટાવવો એ સમયની માગ છે, કારણ કે સતત આવતા અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાન રશિયાને મિસાઇલો સપ્લાય કરી રહ્યું છે.

લેમીએ બીબીસીને જણાવ્યું કે ઈરાન રશિયાને બૅલેસ્ટિક મિસાઇલો આપી રહ્યું છે અને હવે તેની સેના યુક્રેનની અંદર સુધી હુમલો કરી શકે છે.

તેમણે કહ્યું, “આ બહુ ખતરનાક છે. રશિયા તેના સાથીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. તેથી અમારે યુક્રેનને વધુ મદદ કરવી પડશે."

કર્ણાટકમાં ગણેશવિસર્જન દરમિયાન પથ્થરમારા બાદ તણાવ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

કર્ણાટકના મંડ્યા જિલ્લાના નાગામંગલાનગરમાં બુધવારે મોડી સાંજે ગણેશવિસર્જન દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બળ ગોઠવી દેવામાં આવ્યાં છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ગુણેશવિસર્જન દરમિયાન કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે બાદ સ્થિતિ વણસી હતી. જોતજોતાંમાં બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા.

ઉશ્કેરાયલા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને વાહનો સળગાવી દીધાં હતાં. મામલાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

હાલ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.

પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સ્કૂટરની સર્વિસ સારી ન થતાં શોરૂમને આગ ચાંપી

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ઇલેક્ટ્રિક સ્કૂટરની સર્વિસ યોગ્ય રીતે ન કરવાના કારણે ગુસ્સે ભરાયેલી વ્યક્તિએ કર્ણાટકના કાલાબુર્ગીસ્થિત ઓલા ઇલેક્ટ્રિકના શોરૂમનો આગ ચાંપી દીધી હતી.

રૉયટર્સના અહેવાલ અનુસાર કાલાબુર્ગીમાં રહેતા 26 વર્ષીય મહમદ નદીમે ઑગસ્ટમાં ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી કરી હતી. સ્કૂટર ખરીદ્યાના થોડા દિવસ બાદ તેમાં સમસ્યા આવવા લાગતા કંપનીના સર્વિસ સેન્ટરમાં ગયા હતા.

ઘણી વખત સ્કૂટર સર્વિસ સેન્ટરમાં આપવા છતાં સમસ્યાનો અંત આવ્યો નહોતો. આથી નારાજ નદીમે બુધવારે ઓલા ઇલેક્ટ્રિકના શોરૂમમાં રાખવામાં આવેલાં પાંચ સ્કૂટરોમાં આગ ચાંપી દીધી હતી.

અહેવાલ અનુસાર આગના કારણે શોરૂમને સાડા આઠ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

પોલીસે નદીમની ધરપકડ કરીને આગળની તપાસ કરી રહી છે. ઓલા ઇલેક્ટ્રિકે આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.