10 મહિનાની બાળકીના પેટમાં ભ્રૂણ દેખાયું, આવું કેમ થયું હશે?

ઇમેજ સ્રોત, SHEIKH ZAYED MEDICAL COLLEGE
- લેેખક, ઝુબૈર આઝમ, આમીન ખ્વાજા
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
(ચેતવણી : કેટલાક વાચકોને અહેવાલની વિગતોના અમુક ભાગ વિચલિત કરી શકે છે)
ડૉ. મુશ્તાક અહમદ જ્યારે દસ માસની શાઝિયાના પેટનું ઑપરેશન કરીને ટ્યૂમર દૂર કરી રહ્યા એ સમયે કંઈક એવું બન્યું કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે બાળકીના ગર્ભમાં વિકૃત પગ દેખાયા. આવું દૃશ્ય તેમણે પહેલાં ક્યારેય નહોતું જોયું.
તેમણે કહ્યું, “આ બાળકી મહિનાઓથી પીડાના અનુભવને કારણે રડી રહી હતી, અમે તેના પેટમાં ટ્યૂમર શોધી રહ્યા હતા. જોકે તેના પેટમાં પગની આંગળીઓ અને કરોડરજ્જુનું હાડકું જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા.”
“એક મિનિટ સુધી તો શું થઈ ગયું એ અમને સમજાયું જ નહીં.”
તેમણે કહ્યું, “મેં બાળરોગ વિશેષજ્ઞ તરીકેની પોતાની 15 વર્ષની કારકિર્દીમાં આ પ્રકારનો મામલો ક્યારેય નથી જોયો.”
ડૉ. મુશ્તાકનું કહેવું છે કે શાઝિયાના ગર્ભમાં તેનું જ જોડિયું ભ્રૂણ હતું. કદાચ આઠ કે નવ અઠવાડિયાંમાં ભ્રૂણની વૃદ્ધિ અટકી ગઈ હશે.
મુશ્તાકે કહ્યું, “અમને પગ અને હાથ જેવી આકૃતિઓ દેખાઈ. આ ભ્રૂણની આંખોય અડધી બનેલી હતી.”
સર્જરી પાકિસ્તાનના પંજાબના રહીમ યારખાનમાં શેખ ઝાયદ ટીચિંગ હૉસ્પિટલમાં કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બાળકીના ગર્ભમાં ભ્રૂણ

ઇમેજ સ્રોત, AFP
આને ‘ભ્રૂણમાં ભ્રૂણ’ની સ્થિતિ કહેવાય છે. જેમાં બાળકના પેટમાં જોડિયા ભ્રૂણનું નિર્માણ યોગ્ય રીતે નથી થઈ શકતું. આને પરોપજીવી ભ્રૂણના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે એની પાછળનું કારણ સ્પષ્ટ નથી. પરંતુ આવું ભ્રૂણના વિકાસના પ્રારંભિક તબક્કામાં થાય છે. અહીં એક ભ્રૂણ બીજા ભ્રૂણથી ઢંકાયેલું હોય છે.
આવી સ્થિતિમાં અંદરનું ભ્રૂણ ઠીક રીતે વિકસિત નથી થઈ શકતું. એ એક ‘પરોપજીવી’ બની જાય છે. એનો અર્થ એ છે કે એ ભ્રૂણે જીવિત રહેવા માટે મુખ્ય ભ્રૂણ પર નિર્ભર રહેવું પડે છે. જોકે, આવાં જોડિયાં બાળકો સામાન્ય રીતે જન્મતાવેંત જ ગુજરી જાય છે.
2000માં અમેરિકન ઍકેડૅમી ઑફ પીડિયાટ્રિક્સના એક રિપોર્ટ આધારે ખબર પડી હતી કે દર પાંચ લાખ બાળકો પૈકી એકમાં આવો મામલો જોવા મળે છે.

બાળકી સતત રડ્યા કરતી

ઇમેજ સ્રોત, SHEIKH ZAYED MEDICAL COLLEGE
શાઝિયાનું પેટ જન્મના પ્રથમ માસથી જ દુખાવા લાગ્યું હતું. તેનાં માતાપિતાએ કહ્યું કે એ અસહ્ય દુખાવાના કારણે કલાકો સુધી રડ્યા કરતી.
શાઝિયાના પિતા મોહમ્મદ આસિફે કહ્યું, “અમને ખરી સમસ્યાનો અંદાજ તો નહોતો થઈ શકતો, પરંતુ તેનું પેટ કડક લાગતું.”
તેના પિતા ખેતરોમાં પશુઓની દેખરેખ રાખનારા મજૂર તરીકે કામ કરે છે. પોતાની પત્ની અને બે અન્ય બાળકો સાથે શાઝિયાના પિતાએ તેને સાદિકાબાદની ઘણી હૉસ્પિટલોમાં લઈને ફર્યા. પરંતુ ત્યાં સ્વાસ્થ્ય સુવિધાઓની મર્યાદાઓને કારણે પેટમાં દુખાવાનું ખરું કારણ ન જાણી શકાયું.
25 ઑગસ્ટના રોજ શાઝિયાની તબિયત ખરાબ થતાં તેને યારખાનમાં 30 કિમી દૂર આવેલી શેખ ઝાયેદ હૉસ્પિટલ લઈ જવાઈ. જ્યાં અમુક કલાકો બાદ પરિવાર ડૉ. મુશ્તાકને મળ્યો.
તેમણે કહ્યું, “બાળકીના પ્રાથમિક નિરીક્ષણ બાદ લાગ્યું કે તેના પેટમાં ટ્યૂમર છે. અમે તાત્કાલિક અલ્ટ્રાસાઉન્ડ કર્યું. જેના પરથી ખબર પડી કે બાળકીના પેટમાં ગાંઠ જેવો આકાર દેખાયો.”

'પરંતુ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એ ભ્રૂણ હશે'

ઇમેજ સ્રોત, SHEIKH ZAYED MEDICAL COLLEGE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એમઆરઆઇ સ્કૅન કરાવી શકે એટલી પરિવારની શક્તિ નહોતી. આ પરીક્ષણ પરથી પેટમાં ખરેખર શું છે એ વાતની ખબર પડી શકે છે. પરીક્ષણ બાદ મુશ્તાકે બાળકીનાં માતાપિતાને કહ્યું કે તેઓ ગાંઠને સર્જરી મારફતે બહાર કાઢશે.
તેમણે ઉમેર્યું, “આટલું સાંભળતાં જ તેઓ થોડાં ગભરાઈ ગયાં. તેમને એ વાત ન સમજાઈ કે આખરે આટલી નાની બાળકીને સર્જરીની કેમ જરૂરિયાત હતી. તેઓ ભાવુક પણ થઈ ગયાં હતાં.”
આ વાત સાંભળ્યા બાદ શરૂઆતમાં તો શાઝિયાનાં માતાપિતા સર્જરી માટે તૈયાર નહોતાં થયાં અને તેને ઘરે લઈ ગયાં હતાં.
જોકે, થોડા દિવસમાં બાળકીની તબિયત વધુ ખરાબ થતાં તેઓ હૉસ્પિટલ પરત ફર્યાં.
ડૉ. મુશ્તાકે કહ્યું, “એ એક ખૂબ ગરીબ પરિવાર છે. તેઓ માંડમાંડ ગુજરાન ચલાવે છે. તેથી અમે સર્જરીમાં તેમની મદદ કરવાનું વિચાર્યું.”
પરંતુ 29 ઑગસ્ટના રોજ શાઝિયાના પેટમાં અવિકસિત ભ્રૂણ મળી આવતાં ડૉક્ટરોની ટીમને સમજાયું કે આને દૂર કરવા માટે એક જટિલ સર્જરીની જરૂર પડશે.
મુશ્તાકે કહ્યું, “આ કુપોષિત બાળકીના શરીરમાં અવિકસિત ભ્રૂણ મળી આવતાં અમે ખૂબ આશ્ચર્યમાં હતા.”
ભ્રૂણ પરોપજીવી તરીકે પેટમાંથી રક્ત અને પોષણ મેળવી રહ્યું હોઈ શાઝિયાને પૂરતું પોષણ નહોતું મળી શકતું.
ડૉ. મુશ્તાકે આપેલી માહિતી અનુસાર સર્જરી બાદ હવે શાઝિયાની સ્થિતિ સુધરી રહી છે.
તેમણે ઉમેર્યું કે, “હવે બાળકી ઓછું રડી રહી છે. ઑપરેશન બાદ તેના સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.”
ઑપરેશનના ચાર દિવસ બાદ એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ બાળકીને ઘરે મોકલી હતી. આ કેસની વિગતો સાયન્સ જર્નલમાં છપાઈ હતી.

બાળકી બની ગર્ભવતી?

ઇમેજ સ્રોત, MUSHTAQ AHMED
શાઝિયાનો કેસ ખૂબ દુર્લભ હોવાના કારણે તેમાં મીડિયાનો સારો એવો રસ દેખાઈ રહ્યો હતો. પરંતુ શાઝિયાના પિતાએ કેટલાક વાંધાજનક પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળવા પોતાનો ફોનેય સ્વીચ ઑફ કરી દીધો છે.
બાળકીના પિતા કહે છે કે, “ન્યૂઝપેપર અને ટીવી ચેનલોના લોકો પૂછી રહ્યા હતા કે બાળકી ગર્ભવતી તો નથી ને? હું આવા પ્રશ્નોનો જવાબ આપવા અસમર્થ હતો.”
હૉસ્પિટલની ટીમે કહ્યું હતું કે આ મામલમાં સ્થાનિક પત્રકારોને સ્પષ્ટ સૂચના અપાઈ હતી તેમજ માતાપિતાનુંય કાઉન્સેલિંગ કરાયું હતું.
ઇસ્લામાબાદસ્થિત પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ડિપાર્ટમૅન્ટ ઑફ પીડિયાટ્રિક સર્જરીના વડા ડૉ. નદીમ અખતરે કહ્યું કે ન્યૂઝમાં ‘ગર્ભમાં ગર્ભ’ની સ્થિતિએ ગર્ભાધાનની સ્થિતિ નથી.
તેમણે કહ્યું, “ઘણા પત્રકારો આ વાતને નથી સમજતા, આના કારણે બાળકીનાં માતાપિતાએ સહન કરવું પડે છે.”
“આવા કિસ્સાં પેટમાં રહેલું ભ્રૂણ હંમેશાં ગર્ભ કે ગાંઠની જેમ વધતું નથી. એ પેટના નીચલા ભાગમાં જ રહી જાય છે, જ્યાં તેનું નિર્માણ થયું હોય છે.”

ભારતમાં પણ સામે આવી ચૂક્યો છે આવો કિસ્સો

ઇમેજ સ્રોત, PA
આવો જ એક કિસ્સો ભારતમાં પણ વાઇરલ થયો હતો. આ કિસ્સામાં 36 વર્ષના એક પુરુષનું પેટ એટલું મોટું થઈ ગયું હતું કે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. ડૉક્ટરોને આ અવસ્થાનું કારણ પેટમાંની ગાંઠ લાગ્યું. પરંતુ પરીક્ષણ બાદ ખબર પડી કે આ વ્યક્તિના પેટમાં જોડિયું ભ્રૂણ હતું.
આ ભ્રૂણ તેમના પેટમાં પરોપજીવી તરીકે ઘણાં વર્ષો સુધી રહ્યું. એ વ્યક્તિતના શરીરમાંથી નાળ જેવી નળીની મદદથી રક્ત મેળવે છે.
ડૉક્ટરોના મતે નાનાં શહેરો અને ગામડાંમાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવની સ્થિતિને કારણે એવું બની શકે કે અમુક લોકોના શરીરમાં અવિકસિત ભ્રૂણ હોય.














