You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિમાલયમાં અમેરિકાનાં 600 વિમાનો કેવી રીતે તૂટી પડ્યાં?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના પૂર્વમાં આવેલા અરૂણાચલ પ્રદેશમાં એક નવું સંગ્રહાલય ખૂલ્યું છે. આ સંગ્રહાલયમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિમાલયમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલાં અમેરિકન વિમાનોના અવશેષો રાખવામાં આવ્યા છે.
બીબીસી સંવાદદાતા સૌતિક બિસ્વાસે એક મુશ્કેલ અને જોખમભર્યા હવાઈ ઑપરેશનની વિગતો એકત્રિત કરી છે, જે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ભારતીય અને અમેરિકન ટીમોએ 2009થી ભારતના ઉત્તર-પૂર્વના રાજ્ય અરૂણાચલ પ્રદેશના પહાડોમાં 80 વર્ષ પહેલાં દુર્ઘટનાગ્રસ્ત થયેલાં સેંકડો વિમાનોના લાપતા ચાલકદળના અવશેષો અને કાટમાળની તલાશ કરી હતી.
એક અનુમાન પ્રમાણે અંદાજે 600 અમેરિકન ટ્રાન્સપોર્ટ વિમાન દૂરસુદૂરના વિસ્તારોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયાં હતાં. તેમાં વાયુસેનાના લગભગ 1500 જવાનો અને યાત્રીઓનાં મૃત્યુ થયાં હતાં.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં આ અભિયાન લગભગ 42 મહિના સુધી ચાલ્યું હતું. આ દુર્ઘટનામાં અમેરિકન અને ચીની પાઇલટ, રેડિયો ઑપરેટર અને સૈનિકો સામેલ હતા.
આ ઑપરેશનમાં કુનમિંગ અને ચંકિંગમાં (અત્યારે ચોંગકિંગ) ચીની સેનાનું સમર્થન કરવા માટે ભારતીય રાજ્યો આસમ અને બંગાળથી એક મહત્ત્વપૂર્ણ હવાઈ પરિવહન માર્ગ ચાલુ રાખવામાં આવ્યો હતો.
દ્વિતીય વિશ્વ યુદ્ધ
જર્મની, ઇટાલી અને જાપાન વિરુદ્ધ મિત્ર દેશો ( ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, અમેરિકા, સોવિયેટ યુનિયન, ચીન) વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બ્રિટન શાસિત ભારતના ઉત્તર-પૂર્વ ભાગ સુધી પહોંચી ગયું હતું.
ભારતની સીમાઓ તરફ જાપાનીઓ આગળ વધ્યા ત્યારપછી આ હવાઈ માર્ગ જાણે કે જીવનરેખા બની ગયો હતો. તેમણે ઉત્તરી મ્યાનમારના રસ્તેથી ચીનના જમીની રસ્તાને બંધ કરી દીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એપ્રિલ, 1942માં શરૂ થયેલા અમેરિકન સૈન્યઅભિયાને આ રસ્તેથી 6 લાખ 50 હજાર ટન યુદ્ધ સામગ્રીને સફળતાપૂર્વક પહોંચાડી હતી. આ એક ઉપલબ્ધિ હતી જેના કારણે મિત્રદેશોની જીતની શક્યતા વધી ગઈ હતી.
પાઇલટોએ આ ખતરનાક વાયુ માર્ગને ‘ધ હંપ’ નામ આપ્યું હતું જે પૂર્વ હિમાલયની ખતરનાક ઊંચાઈ તરફ ઇશારો કરે છે. એ મુખ્યરૂપે આજનું અરૂણાચલ પ્રદેશ હતું.
છેલ્લાં 14 વર્ષોમાં પર્વતારોહકો, વિદ્યાર્થીઓ, ડૉક્ટરો, ફોરેન્સિક ઍક્સપર્ટ્સ, પુરાતત્ત્વવિદો અને બચાવ-વિશેષજ્ઞોની ભારત-અમેરિકાની ટીમોએ મ્યાનમાર અને ચીનની સીમા સાથે જોડાયેલા અરૂણાચલ પ્રદેશમાં ગાઢ જંગલો અને 15 હજાર ફીટની ઊંચાઇ સુધી યાત્રાઓ કરી હતી.
તેમાં યુએસ ડીફેન્સ પીઓડબલ્યૂ/એમઆઇએ અકાઉન્ટિંગ ઍજન્સીના (ડીપીએએ) સદસ્યો સામેલ હતા. આ એક અમેરિકી એજન્સી છે જે સૈન્ય કાર્યવાહીમાં લાપતા સૈનિકોના મામલાને જુએ છે.
સ્થાનિક આદિવાસીઓની મદદથી તેમનું મહિનાભરનું અભિયાન દુર્ઘટનાસ્થળે પહોંચ્યું. તેમાં લગભગ 20 વિમાનો અને અનેક લાપતા વાયુસેનાના જવાનોના અવશેષો મળ્યા.
આ એક પડકારભર્યું કામ હતું. બે દિવસની સડક યાત્રા પછી પહેલા છ દિવસની યાત્રા બાદ એક દુર્ઘટનાસ્થળની ભાળ મળી. ભયંકર બર્ફીલાં તોફાનોની ચપેટમાં આવી ગયા બાદ એક ટુકડી ત્રણ અઠવાડિયાં સુધી તો પહાડોમાં ફસાયેલી રહી હતી.
અભિયાનો પર મૌસમનો માર
ફૉરેન્સિક માનવશાસ્ત્રી વિલિયમ બેલ્ચર કે જેઓ આ અભિયાનોમાં સામેલ છે તેઓ કહે છે, "સપાટ કાંપવાળાં મેદાનોથી લઈને પર્વતો સુધી, આ એક પડકારજનક ભૂમિપ્રદેશ છે. હવામાન સૌથી મોટો મુદ્દો છે. અમારી પાસે કામ કરવા માટે સામાન્ય રીતે માત્ર શરદ ઋતુનો અંતિમ ભાગ અને શિયાળાના શરૂઆતી દિવસો જ હોય છે."
આ શોધઅભિયાનોમાં અમને ઓક્સિજન ટૅન્ક, મશીન ગન, વિમાનોના ટુકડા મળ્યાં છે. આ કાટમાળમાં ખોપડીઓ, હાડકાં, પગરખાં અને ઘડિયાળો પણ મળ્યાં છે. મૃતકોની ઓળખ માટે ડીએનએના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે.
એક લાપતા વાયુ સૈનિકનું બ્રેસલેટ અને અન્ય એક અવશેષ એક ગ્રામીણ પાસેથી મળ્યાં.
આ અવશેષ એ વ્યક્તિને કાટમાળમાંથી મળ્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા અકસ્માતની કેટલીક જગ્યાઓની સફાઈ કરવામાં આવી છે અને ઍલ્યુમિનિયમના અવશેષોને ભંગાર તરીકે વેચવામાં આવ્યા છે.
આ વિમાન અને અન્ય દુર્ઘટનાગ્રસ્ત વિમાનોના અવશેષો હિમાલયની તળેટીમાં આવેલા અરુણાચલ પ્રદેશના શહેર પાસીઘાટમાં નવા ખુલેલા 'ધ હમ્પ' મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે.
ભારતમાં યુએસ ઍમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ 29 નવેમ્બરે આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતાં તેમણે કહ્યું હતું કે, "આ માત્ર અરુણાચલ પ્રદેશ કે અસરગ્રસ્ત પરિવારોને ભેટ નથી, પરંતુ ભારત અને સમગ્ર દુનિયા માટે એક ભેટ છે."
મ્યુઝિયમના ડિરેક્ટર ઓકેન તાયંગે જણાવ્યું હતું કે, "આ અરુણાચલ પ્રદેશના તમામ સ્થાનિક લોકોને પણ સન્માન આપવા સમાન છે. તેઓ અન્ય લોકોની સ્મૃતિને માન આપવા માટે આ મિશનનો અભિન્ન ભાગ હતા અને આજે પણ છે."
ખતરનાક વાયુમાર્ગ
આ સંગ્રહાલય આ રસ્તે ઉડાણ ભરવાના ખતરાઓ પર પણ પ્રકાશ પાડે છે.
અમેરિકી વાયુસેનાના પાઇલટ મેજર જનરલ વિલિયમ ટર્નરને તેના સી-46 માલવાહક જહાજને ઊભા ચઢાણો, પહોળી ખીણો, સંકીર્ણ નદીઓ અને ઘટ્ટ ભૂરા રંગની નદીઓ પર સ્થિત ગામડાં પરથી ઉડાવવાનું યાદ છે.
આ ઊડાણો મોટા ભાગે યુવા પાઇલટો અને નવા પ્રશિક્ષિત પાઇલટો દ્વારા સંચાલિત થતી હતી.
ટર્નરના કહેવા પ્રમાણે ‘ધી હંપ’ રૂટ પર હવામાન દરેક મિનિટે અને દરેક કિલોમિટરે જાણે કે બદલાતું રહેતું હતું. આ રૂટનો એક છેડો ભારતનાં ભેજવાળાં જંગલોમાં હતો તો બીજો છેડો પશ્ચિમી ચીનના માઇલો ઊંચા પહાડોમાં હતો.
ખતરનાક ઝડપે વાતો પવન, બરફવર્ષા સાથે આવતા વસંતઋતુનાં તોફાનોએ શરૂઆતી નૅવિગેશન ઉપકરણો સાથે વિમાનોને નિયંત્રિત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
‘લાઇફ’ પત્રિકાના પત્રકાર થિઓડોર વ્હાઇટે એક સ્ટોરી માટે આ રસ્તે પાંચ વખત ઊડાણ ભરી હતી. તેમણે લખ્યું હતું કે પૅરાશૂટ વગરના ચીની સૈનિકોને લઇને જઈ રહેલા એક વિમાનના પાઇલટે વિમાન પર બરફ જામી જવાને કારણે ક્રેશ-લૅન્ડિંગ કરવાનો નિર્ણય લીધો.
કૉ-પાઇલટ અને રેડિયો ઑપરેટર બહાર નીકળવામાં સફળ થયા હતા. બંને એક વૃક્ષ પર પડ્યા હતા. સ્થાનિક લોકોએ તેમને શોધ્યા હતા.
આ પહેલાં તેઓ 15 દિવસ સુધી ભટકતા રહ્યા. દૂરસુદૂરનાં ગામોમાં સ્થાનિક લોકોએ દુર્ઘટનાઓમાં બચેલા ઘાયલોને બચાવ્યા અને તેની દેખભાળ કરીને તેમને સ્વસ્થ કર્યા. ત્યારબાદ ખબર પડી હતી કે વિમાન સુરક્ષિત ઊતરી ગયું હતું અને કોઇનો જીવ ગયો નહોતો.
ટર્નર યાદ કરતા કહે છે કે, એટલાં વિમાનો ઊડ્યાં હતાં કે તે પહાડો સાથે ટકરાઇને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયાં, પાયલટોને ખબર પણ પડી નહીં. એક જ તોફાનમાં નવ વિમાનો દુર્ધટનાગ્રસ્ત થઈ ગયાં હતાં. તેમાં ચાલકદળના 27 લોકો અને પૅસેન્જરો માર્યા ગયા હતા.