ભારત બાંગ્લાદેશ ટેસ્ટ: બીજી મૅચમાં વિજય મેળવી ભારતે 2-0થી સિરીઝ કબજે કરી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મૅચ જીતી લીધી છે. કાનપુર ખાતે યોજાયેલી મૅચમાં યજમાન દેશે સાત વિકેટે વિજય નોંધાવ્યો હતો.
બાંગ્લાદેશની બીજી ઇનિંગ 146 રનમાં સમેટાઈ ગઈ હતી, જેથી ભારતે વિજય મેળવવા માટે માત્ર 95 રન મેળવવાની જરૂર હતી. ભારત તરફથી યશસ્વી અગ્રવાલે 51 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશે તેની પહેલી ઇનિંગમાં 233 રન બનાવ્યા હતા. જવાબમાં દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમે નવ વિકેટે 285 રન ફટકારીને દાવ ડિક્લૅર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે બે દિવસની મૅચ રમી નહોતી શકાઈ અને છેલ્લે દિવસે મૅચનો નિર્ણય થયો હતો. બે ટેસ્ટ મૅચની શ્રેણીમાં ભારતે 2-0થી સિરીઝ કબજે કરી છે.
બાંગ્લાદેશની ઇનિંગ

ઇમેજ સ્રોત, Getty Images
બીજી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું તથા એક પછી એક તેની વિકેટો પડતી રહી હતી.
ઑપનર સદનામ અસલમે 50 રનની પ્રભાવક ઇનિંગ કરી હતી. આ સિવાય છેલ્લે-છેલ્લે આવેલા મુશફિકુર રહીમે 37 રન નોંધાવ્યા હતા.
ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન તથા રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટો ખેરવી હતી, જ્યારે આકાશદીપે એક વિકેટ મેળવી હતી.
બાંગ્લાદેશ તરફથી મહેંદી હસન મિરાઝે બે તથા તૈજુલ ઇસ્લામે એક વિકેટ ખેરવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅચ પછી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના કૅપ્ટન નિઝામુલ સાંતોએ કહ્યું, 'બંને મૅચમાં અમારી બૅટિંગ ખરાબ રહી હતી. અમે માત્ર 30-40 બૉલ જ રમી શક્યા હતા, જ્યારે અશ્વિન અને જડ્ડુએ (જાડેજા) સારી બૅટિંગ કરી, જે અમને ભારે પડી. અમારા તરફથી મોમિનુલ તથા મિરાઝની બૉલિંગ પ્રભાવક રહી હતી.'
સિરીઝ દરમિયાન 114 રન ફટકારનારા તથા 11 વિકેટ લેનારા આર. અશ્વિનને ઑલ-રાઉન્ડ પર્ફૉર્મન્સ બદલ પ્લૅયર-ઑફ-ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા.
યશસ્વી જયસ્વાલ મૅન ઑફ ધ મૅચ જાહેર થયા હતા. આ વિજય બાદ ભારતનું વર્લ્ડ ટેસ્ટ રૅન્કિંગ સુધરશે.
મૅચ પછી જસપ્રિત બુમરાહના કહેવા પ્રમાણે, બે દિવસ વેડફાઈ ગયા બાદ આ વિજય સારો લાગી રહ્યો છે. આજનો વિષય વિશેષ છે. આવા સમયે જ અનુભવ બહાર આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












