બહેનના મોતનો 20 વર્ષે બદલો લીધો, કૅનેડાથી આવીને કેવી રીતે હત્યા કરી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રભાકર થમિલારાસુ
- પદ, બીબીસી તમિળ
એક સહકારી સ્ટોરમાં કામ કરતા તામિલનાડુના તંજાવુર જિલ્લાના થમરાનકોટ્ટાઈના રહેવાસી વેલાયુતમ 2014માં એક દિવસે રાબેતા મુજબ ઘરેથી નોકરી પર જવા થઈ રહ્યા હતા. તેઓ ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે હેલમેટધારી એક માણસ કારમાં આવ્યો હતો અને તેમના પર દાતરડા વડે હુમલો કરીને નાસી છૂટ્યો હતો. ગંભીર ઈજાને કારણે વેલાયુતમ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
આ ઘટનાનાં સાક્ષી અને વેલાયુતમનાં પત્ની વૈરવ મીનાક્ષીએ જણાવ્યું હતું કે ઘટના બની ત્યારે હુમલાખોરે માસ્ક તથા હેલમેટ પહેર્યાં હોવાથી તેની ઓળખ થઈ શકી ન હતી, મીનાક્ષીને કેટલાક સ્થાનિક લોકો પર શંકા હતી. અલબત્ત, પોલીસને આ કેસમાં કોઈ કડી મળી ન હતી.
ટુ-વ્હીલર પર સવાર થઈને આવેલા હેલમેટધારી બે લોકોએ ગયા વર્ષે સમાન પરિસ્થિતિમાં મીનાક્ષીની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ એ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલાં મીનાક્ષી સદનસીબે બચી ગયાં હતાં.
માસ્ક અને હેલમેટ પહેરીને આવેલા બે પુરુષોએ ગયા વર્ષે ડિસેમ્બરમાં થમરાનકોટ્ટાઈના રહેવાસી કૃતિકાની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ કાર્તિકા ડોકમાં ઈજા સાથે બચી ગયાં હતાં.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ત્રણેય કિસ્સામાં સમાન વ્યક્તિ સંડોવાયેલી છે. છેલ્લાં 10 વર્ષથી નાસતા ફરતા એક પુરુષની પોલીસે ગયા સપ્તાહે ધરપકડ કરી હતી.
છેલ્લાં 10 વર્ષથી પોલીસની નજરમાંથી છટકતો રહેલો એ માણસ કોણ છે? તેણે વેલાયુતમની હત્યા શા માટે કરી હતી? તેણે મીનાક્ષી અને કાર્તિકા પર પણ હુમલો શા માટે કર્યો હતો?
ખરેખર શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
વેલાયુતમની હત્યાને 1994માં બનેલા આત્મહત્યાના એક બનાવ સાથે સંબંધ હોવાનું પોલીસે જણાવ્યું હતું, પરંતુ વેલાયુતમની હત્યાનાં 20 વર્ષ પહેલાં શું બન્યું હતું?
પોલીસના કહેવા મુજબ, વેલાયુતમના ભાઈ બાલાસુબ્રમણ્યમે 1994માં તેમના જ ગામની 25 વર્ષની કલાચેવી સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ પતિ-પત્ની વચ્ચે અણબનાવને કારણે કલાચેવી તેમનાં માતા-પિતાને ત્યાં પાછાં ચાલ્યાં ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પતિ-પત્ની વચ્ચે બે મહિનામાં મનમેળ થઈ ગયો હતો અને કલાચેવી તેમના પતિ સાથે રહેવા સાસરે પાછાં આવી ગયાં હતાં, પરંતુ એ પછીના થોડાક દિવસોમાં જ કલાચેવીએ આત્મહત્યા કરી હતી.
કલાચેવી મૃત્યુ પામ્યાં ત્યારે તેમનો 22 વર્ષની વયનો ભાઈ બાલચંદર સિંગાપુરમાં કામ કરતો હતો.
પોલીસે જણાવ્યું હતું કે બાદચંદરે વેલાયુતમની હત્યા કરી હતી એટલું જ નહીં, તેણે ખુદની પત્ની કૃતિકા અને વેલાયુતમનાં પત્ની મીનાક્ષીની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
આ કેસની તપાસ કરી રહેલી સીબીસીઆઈડી પોલીસના જણાવ્યા મુજબ, પોતાની બહેન કલાચેવીની આત્મહત્યાનું કારણ વેલાયુતમ છે એવું ધારીને બાલચંદરે તેમની હત્યાની યોજના વર્ષો પહેલાંથી બનાવી હતી.
તેણે 20 વર્ષ પછી હત્યા કેવી રીતે કરી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કેસ બાબતે બીબીસી સાથે વાત કરતાં સીબીસીઆઈડીના ઇન્સ્પેક્ટર રહમત નિશાએ કહ્યું હતું, “બાલચંદર વર્ષોથી એ વિસ્તારમાં રહેતો ન હતો. 2014માં હત્યા પહેલાં અને પછી તે ગામમાં પણ ન હતો. તેથી તેને મળવાનું કે પૂછપરછ કરવાનું શક્ય ન હતું.”
રહમત નિશાના જણાવ્યા મુજબ, કૅનેડામાં કામ કરતો બાલચંદર 2014માં શ્રીલંકન પાસપૉર્ટનો ઉપયોગ કરીને શ્રીલંકા આવ્યો હતો. ત્યાંથી તે સમુદ્રમાર્ગે ગેરકાયદે રીતે રામેશ્વરમ આવ્યો હતો. રામેશ્વરમથી કારમાં પટ્ટુકોટ્ટાઈ કારમાં આવ્યો હતો અને વેલાયુતમની હત્યા કરીને એ જ કારમાં રામેશ્વરમ તથા બાદમાં શ્રીલંકા પહોંચી ગયો હતો.
અંતિરમપટનમના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કલાચેવીની આત્મહત્યા માટે કોણ જવાબદાર છે એ અમે જાણતા ન હતા, પરંતુ બાલચંદર વેરની વસૂલાત માટે 20થી વધુ વર્ષથી યોજના બનાવતો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું હતું, “બહેન કલાચેવી મૃત્યુ પામી ત્યારે બાલચંદર સિંગાપુરમાં કામ કરતો હતો. 2004માં તે ગામમાં આવ્યો ત્યારે એ પરિણીત હોવાથી તેણે હત્યાની યોજનાનો અમલ કરવાનું ટાળ્યું હતું. એ પછી લાંબા સમય સુધી કાવતરું ઘડ્યા પછી એક દોસ્તની મદદથી, ઘટના પહેલાં અને પછી ગામમાં રહ્યા વિના વેલાયુતમની હત્યા કરી હતી.”
વેલાયુતમની પત્નીની હત્યા શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
વેલાપુરમ હત્યા કેસની તપાસ પહેલાં તાંજાવુર જિલ્લા આદિરામપટ્ટીનમ પોલીસ કરતી હતી, પરંતુ આ કેસમાં તપાસમાં કોઈ પ્રગતિ થઈ ન હતી અને કોઈની ધરપકડ ન કરવામાં આવી ન હતી.
મીનાક્ષીએ હત્યાના ગુનેગારોને શક્ય તેટલા વહેલા પકડી પાડવાની માગણી કરતી એક અરજી હાઈ કોર્ટમાં કરી હતી. તેના અનુસંધાને વેલાયુતમ હત્યા કેસની તપાસ 2016માં સીબીસીઆઈડી પોલીસને સોંપવામાં આવી હતી.
મીનાક્ષીના જણાવ્યા મુજબ, હત્યા કેસની તપાસ સીબીસીઆઈડીને સોંપવામાં આવી પછી તેમને હત્યાની ધમકી મળવા લાગી હતી.
મીનાક્ષીએ કહ્યું હતું, “મેં હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો ત્યારથી મને વિદેશી ફોનનંબર્સ પરથી કોલ્સ આવવા લાગ્યા હતા. જ્યારે કોલ આવતો ત્યારે હું ભયભીત થઈ જતી હતી. ફોન પર સામેના છેડે રહેલી વ્યક્તિ મને કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપતી હતી. આ સિલસિલો વર્ષો સુધી ચાલુ રહ્યો હતો.”
મીનાક્ષી 2022ની આઠમી ફેબ્રુઆરીએ નજીકની માર્કેટમાંથી સ્કૂટર પર બેસીને પોતાના ઘરે પાછા આવી રહ્યાં હતાં ત્યારે માસ્ક અને હેલમેટ પહેરીને બાઈક પર આવેલા બે પુરુષે તેમના પર દાતરડા વડે હુમલો કર્યો હતો. તેમાં મીનાક્ષીને ગરદન પર ઈજા થઈ હતી, પરંતુ તેઓ બચી ગયાં હતાં.
રહમત નિશાએ કહ્યું હતું, “મીનાક્ષી આ કેસ બાબતે ગંભીર હતાં. તેથી બાલચંદરે કેનેડામાં રહેતા તેના એક દોસ્તની મદદથી મીનાક્ષીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.”
મીનાક્ષીની હત્યા પ્રયાસના કેસની તપાસ આદિરામપટ્ટીનમ પોલીસ કરી રહી હતી.
બાલચંદર કેવી રીતે પકડાયો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આદિરામપટ્ટીનમ પોલીસે જણાવ્યું હતું કે વેલાયુતમની હત્યાનાં 10 વર્ષ સુધી બાલચંદર વિદેશમાં સંતાતો રહ્યો હતો. પત્ની કૃતિકા સાથે અણબનાવ હોવાથી તેણે તેની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, બાલચંદર તેની પત્ની કૃતિકાની હત્યા માટે કૅનેડિયન પાસપૉર્ટ પર 30 ડિસેમ્બરે ત્રિચિ આવ્યો હતો અને પછી પટ્ટુકોટ્ટાઈ આવ્યો હતો.
એક પોલીસ અધિકારીએ કહ્યું હતું, “હેલમેટ પહેરીના કાર અથવા સ્કૂટર પર આવતા લોકો દ્વારા હત્યાની બે ઘટના પછી આવા લોકો ફરી દેખાયા હોવાની અને પટ્ટુકોટ્ટાઈનગર વિસ્તારમાં આંટા મારતા હોવાની બાતમી અમને મળી હતી.”
“એ બાતમીના આધારે અમે તપાસ શરૂ કરી ત્યારે બાલચંદર અને તેનો એક દોસ્ત કૃતિકા પર હુમલો કરીને સ્કૂટર પર નાસી રહ્યા હતા. તેમને પીછો કરીને પકડવામાં આવ્યા અને પૂછપરછ કરી ખબર પડી હતી કે ખરો ગુનેગાર બાલચંદર છે.”
પોલીસે બાલચંદર પાસેથી સિંગાપુર, કૅનેડા અને શ્રીલંકાના બનાવટી પાસપૉર્ટ, જોખમી હથિયારો અને એક ટુ-વ્હીલર જપ્ત કર્યું હતું અને બાલચંદરને જેલમાં ધકેલી દીધો છે.














