સુશાંતસિંહ રાજપૂત મામલામાં સીબીઆઈના ક્લોઝર રિપોર્ટમાં શું છે, રિયા ચક્રવર્તીના વકીલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Rhea, Sushant/Facebook
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં સીબીઆઈએ બે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા છે. આ રિપોર્ટોમાં અભિનેતાના મોત મામલે કોઈ પણ પ્રકારનું કાવતરું હોવાની વાતનો ઇનકાર કર્યો છે.
નોંધનીય છે કે 14 જૂન, 2020ના રોજ સુશાંતસિંહ રાજપૂત મુંબઈના બાન્દ્રાસ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા, જે બાદ તેમનાં મિત્ર રિયા ચક્રવર્તી વિરુદ્ધ સોશિયલ મીડિયાના એક જૂથે નફરતભરી નિવેદનબાજી કરી હતી.
રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ ક્લોઝર રિપોર્ટની પ્રશંસા કરી છે અને સીબીઆઈનો 'તમામ ઍંગલોથી મામલાની ગહન તપાસ કરવા' બદલ આભાર માન્યો હતો.
પ્રથમ ક્લોઝર રિપોર્ટ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરાઈ હોવા સંબંધના તેમના પિતાની ફરિયાદના આધારે, જ્યારે બીજો રિપોર્ટ અભિનેત્રી રિયા ચક્રવર્તીની સુશાંતનાં બહેન વિરુદ્ધ દાખલ કરાયેલ ફરિયાના આધારે રજૂ કરાયો છે.

સમાચાર એજન્સી પ્રમાણે સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈએ સુશાંતના પિતાની ફરિયાદવાળા મામલામાં પટણાની ખાસ અદાલત સામે આ ક્લોઝર રિપોર્ટ રજૂ કરાયો છે, જ્યારે બીજા મામલામાં મુંબઈની વિશેષ અદાલતમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરાયો છે.
પીટીઆઈ પ્રમાણે, અદાલત હવે નક્કી કરશે કે રિપોર્ટને સ્વીકારાય કે એજન્સીને આગળની તપાસ કરવાના આદેશ અપાય.
બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ ભવિષ્યની સંભાવનાઓ અંગે કહ્યું, "જો પીડિત પરિવાર ક્લોઝર રિપોર્ટને ન સ્વીકારે, તો તેઓ આની વિરુદ્ધમાં કોર્ટમાં અરજી કરી શકે છે."
તેમણે કહ્યું, "અદાલત સુનાવણી અને ક્લોઝર રિપોર્ટ પર વિચાર્યા બાદ કાં તો તેને સ્વીકારશે અથવા તેનો અસ્વીકાર કરી શકે અને વધુ તપાસના આદેશ આપી શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સુશાંતસિંહ રાજપૂતનું પોસ્ટમૉર્ટમ કૂપર હૉસ્પિટલમાં કરાયું હતું. પોસ્ટમૉર્ટમમાં ખબર પડી હતી કે તેમનું મૃત્યુ 'દમ ઘૂંટાવા'ને કારણે થયું હતું.
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુનું કારણ જાણવા માટે એઇમ્સના ફૉરેન્સિક વિભાગના પ્રમુખ ડૉ. સુધીર ગુપ્તાની અધ્યક્ષતામાં એક મેડિકલ બોર્ડનું ગઠન કરાયું હતું. એઇમ્સના ડૉક્ટરોએ સપ્ટેમ્બરમાં પોતાનો રિપોર્ટ સીબીઆઈને સોંપ્યો હતો.
ડૉ. સુધીર ગુપ્તાએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું, "સુશાંતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યાનો મામલો છે. સુશાંતના શરીરે ઈજાનાં કોઈ નિશાન નહોતાં."
બે અલગ મામલાની તપાસ

ઇમેજ સ્રોત, RHEA CHAKRABORTY/INSTAGRAM
સીબીઆઈએ બે અલગ અલગ મામલાની તપાસ કરી હતી. પહેલો મામલો સુશાંતના પિતા કેકે સિંહની પટણા પોલીસને કરાયેલી ફરિયાદ પર આધારિત હતો. આ મામલામાં કેકે સિંહે રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યાનો અને તેમનાં ખાતાંમાંથી 15 કરોડ રૂપિયા કાઢી લેવાનો આરોપ લગાવ્યો હતો.
સીબીઆઈ પહેલાં બિહાર પોલીસે આ મામલાની તપાસ કરી હતી. કેકે સિંહની ફરિયાદના આધારે બિહાર પોલીસે તપાસ શરૂ કરી હતી, બાદમાં તપાસની જવાબદારી સીબીઆઈને સોંપાઈ હતી.
જ્યારે બીજો મામલો રિયા ચક્રવર્તીએ સુશાંતનાં બહેનો વિરુદ્ધ બાન્દ્રામાં દાખલ કરાયેલી ફરિયાદ પર આધારિત હતો. આ મામલામાં સુશાંતનાં બહેનો પર આરોપ કરાયો હતો કે તેમણે દિલ્હીના એક ડૉક્ટરના નકલી પ્રિસ્ક્રિપ્શન આધારે સુશાંતસિંહને દવા આપી હતી.
આ મામલામાં રિયા ચક્રવર્તીએ આરોપ કર્યો હતો કે આ દવાઓની ખોટી ભલામણના પાંચ દિવસ બાદ સુશાંતસિંહ રાજપૂતનું મૃત્યુ થઈ ગયું હતું.
આ મામલો બાન્દ્રા પોલીસે નોંધ્યો હતો, પરંતુ બાદમાં સીબીઆઈએ આ મામલો પોતાના હાથમાં લીધો અને તપાસ કરી.
સીબીઆઈને તપાસમાં શું-શું મળી આવ્યું?
પીટીઆઈ પ્રમાણે, અધિકારીઓએ જણાવ્યું કે નિષ્ણાતોના મત, ઘટનાસ્થળનું વિશ્લેષણ, સાક્ષીઓનાં નિવેદન અને ફોરેન્સિંક રિપોર્ટને આધારે સીબીઆઈ એવા નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે એવા આરોપોના સમર્થન માટે કોઈ પુરાવા નથી કે કોઈએ સુશાંતસિંહને આત્મહત્યા માટે મજબૂર કર્યા હોય.
તેમણે જણાવ્યું કે એજન્સીએ અંતે પોતાનો અંતિમ રિપોર્ટ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે, જનાથી સુશાંતસિંહના મૃત્યુની આસપાસ પાંચ વર્ષોથી ચાલી રહેલા કાવતરાની અટકળો પર વિરામચિહ્ન મુકાઈ જશે.
સીબીઆઈને આપેલા પોતાના કથિત મેડિકલ-લીગલ ઓપિનિયનમાં એઇમ્સના ફોરેન્સિક નિષ્ણાતોએ સુશાંતસિંહના મૃત્યુ મામલામાં કરાયેલા 'ઝેર અપાયાના અને ગળું દબાવાયા'ના દાવાને ખારિજ કરી દીધા હતા.
સીબીઆઈએ રિયા ચક્રવર્તી અને તેમના નિકટના અન્ય લોકોનાં નિવેદન નોંધ્યાં હતાં અને સુશાંતસિંહના મેડિકલ રિપોર્ટ ભેગા કર્યા હતા.
રિયા ચક્રવર્તીના વકીલ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Pratham Gokhale/Hindustan Times via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ એક નિવેદન જાહેર કરીને સીબીઆઈના ક્લોઝર રિપોર્ટની પ્રશંસા કરી છે.
તેમણે કહ્યું, "સીબીઆઈએ લગભગ સાડા ચાર વર્ષ બાદ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ મામલે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. અમે સીબીઆઈના આભારી છીએ કે તેમણે મામલાના તમામ પાસાંની દરેક ઍંગલથી ઉંડાણપૂર્વક તપાસ કરી અને કેસને બંધ કરી દીધો."
"સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રૉનિક મીડિયામાં ખોટા સમાચાર ફેલાવાયા. નિર્દોષ લોકોને મીડિયા અને તપાસ અધિકારીઓ સામે પરેશાન કરાવાયા."
માનશિંદેએ કહ્યું, "મને આશા છે કે હવે ફરીથી આવું કોઈ મામલામાં નહીં બને. રિયાએ અગણિત દુ:ખો વેઠવાં પડ્યાં અને કોઈ પણ વાંક વિના તેમણે 27 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું. તેઓ ત્યાં સુધી જેલમાં રહ્યાં જ્યાં સુધી તેમને મુંબઈ હાઇકોર્ટના જજ સારંગ કોતવાલે જામીન પર ન છોડ્યાં."
સતીશ માનશિંદેએ પોતાના નિવેદનમાં તેમને અને તેમની ટીમને મળનારી ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો.
માનશિંદેએ કહ્યું, "હું રિયા અને તેમના પરિવારને સલામ કરું છું કે તેમણે મૌન રહીને પોતાની સાથે થયેલા અમાનવીય વ્યવહારનો સામનો કર્યો. રિયાના પરિવાર અને મારી તેમજ મને પરેશાન કરાયા અને અમારા જીવનને ખતરો હોવાનું પણ કહેવાયું."
રિયા ચક્રવર્તીએ વકીલને કહ્યું કે તેમણે એક સૈનિક પરિવારનો કેસ મફતમાં લડ્યાનો ગર્વ છે.
તેમણે ન્યાયતંત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું, "આ દેશ હજુ પણ ખૂબ સુરક્ષિત છે અને ન્યાય માટે માગ કરી રહેલા દરેક નાગરિકને આપણી જીવંત ન્યાયપાલિકા પાસેથી આશા છે."
પાંચ એજન્સીઓની તપાસ

ઇમેજ સ્રોત, TWITTER/SUSHANTSINGHRAJPOOT
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુનું રહસ્ય ઉકેલવા માટે અત્યાર સુધી પાંચ તપાસ એજન્સીઓ તપાસ કરી ચૂકી છે.
શરૂઆતમાં એવું કહેવાયું હતું કે સુશાંતે આત્મહત્યા કરી. પરંતુ એ બાદ દરેક પસાર થતા દિવસ સાથે મામલો વધુ જટિલ બનતો ગયો.
જેમાં મુંબઈ પોલીસ, બિહાર પોલીસ, કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (સીબીઆઈ), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) અને પ્રવર્તન નિદેશાલય (ઈડી) સામેલ છે.પરંતુ હજુ સુધી એ વાતની ખબર નથી પડી શકી કે આ આત્મહત્યાનો મામલો હતો કે નહીં.
મુંબઈ પોલીસની પ્રાથમિક તપાસમાં ખબર પડી હતી કે સુશાંતે આત્મહત્યા કરી. જોકે, સુશાંતના પરિવારે મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે બિહાર પોલીસ સમક્ષ સુશાંતના મૃત્યુના મામલામાં વધુ એક ફરિયાદ દાખલ કરી હતી.
બંને મામલાની તપાસ બાદમાં સીબીઆઈએ કરી અને હવે તપાસરિપોર્ટ કોર્ટ સામે રજૂ કરાયા છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ મામલામાં બોલીવૂડમાં સક્રિય ડ્રગ સિંડિકેટના પાસાની તપાસ કરી. તેમજ પ્રવર્તન નિદેશાલયે પણ નાણાંની હેરાફેરીની તપાસ કરી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












