ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 કર્મચારીઓને બચાવવા ડ્રિલિંગ કેવી રીતે કરાઈ રહી છે? આગામી કલાકો મહત્ત્વપૂર્ણ

ઉત્તરકાશીમાં સુરંગમાં ભૂસ્ખલન દુર્ઘટના

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, ટનલમાં ફસાયેલા મજૂરો
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા કર્મચારીઓને બચાવવાના અભિયાનમાં ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું છે.

ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલું રાહત અને બચાવ કાર્ય પોતાના અંતિમ તબક્કામાં છે.

આ લખાય છે ત્યાં સુધી ચિન્યાસૌરમાં એક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મજૂરો માટે અસ્થાયી હૉસ્પિટલ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે.

ટનલમાં એનડીઆરએફની ટીમ ઑક્સિજન સિલિન્ડરની સાથે હાજર છે અને બહાર કેટલીક ઍમ્બ્યુલન્સ તૈયાર છે.

ટનલમાં 12 મીટરનું ડ્રિલિંગ હજુ બાકી છે અને અધિકારીઓનું કહેવું છે કે જલદી જ સારા સમાચાર આવી શકે છે. કુલ ડ્રિલિંગ આશરે 60 મીટર છે.

આ દરમિયાન ટનલની પાસે કેટલીક ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે એટલે બચાવવામાં આવેલા મજૂરોને આરોગ્યકેન્દ્રમાં લઈ જઈ શકાય.

બુધવારની સાંજે એજન્સીઓએ એક વીડિયો આપ્યો હતો જેમાં જોઈ શકાય છે કે આપદાપ્રબંધનના બચાવકર્મીઓ પોતાનાં ઉપકરણો સહિત ટનલની અંદર પ્રવેશ કરી રહ્યા છે.

41 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલા રેસ્ક્યૂ ઑપરેશનમાં બુધવારનો (22 નવેમ્બર)નો દિવસ મહત્ત્વનો રહ્યો.

આ માટે ઉત્તરકાશી ટનલમાં બચાવકાર્ય 22 નવેમ્બર કે 23 નવેમ્બર સુધી પૂરું કરાઈ શકે છે. આ વાત રસ્તા અને પરિવહનવિભાગમાં અતિરિક્ત તકનિકી સચિવ મહમૂદ અહમદ અને ઉત્તરાખંડ રાજ્ય સચિવ નીરજ ખૈરવાલે એક પત્રકાર પરિષદમાં કહી હતી. આનાથી મજૂરોને જલદી જ બચાવી લેવાય તેવી આશા છે.

મહમૂદ અહેમદે કહ્યું, "જો કોઈ તકલીફ ના નડી તો મોડી રાત કે ગુરૂવારે સવાર સુધીમાં એક મોટા સમાચાર આવી શકે છે. આ આનંદની વાત છે. કાટમાળના ઢગલા સાથે એક લોખંડનો સળીયો પણ આવ્યો છે. સદ્ભાગ્યે આ લોખંડનો સળીયો મશીન ડ્રિલિંગમાં કોઈ અડચણ ઊભી નહોતી કરી. પાઇપલાઇન બિછાવતી વખતે અમારા માટે કોઈ સમસ્યા ઊભી નથી થઈ."

ઉત્તરકાશીમાં સુરંગમાં ભૂસ્ખલન દુર્ઘટના

ઇમેજ સ્રોત, ASIF ALI

ઇમેજ કૅપ્શન, ટનલ પાસે ચાલી રહેલ રાહત અને બચાવકાર્ય

મહમૂદ અહમદ જણાવે છે, "એક વાર ડ્રિલિંગ થઈ ગયા પછી અમે 6 ફૂટના પાઇપને અંદર જવા દઈએ છીએ. એમાં વધારે સમય નથી લાગતો. પણ પહેલા પાઈપને ડ્રિલ કર્યા પછી અમારે તેને વેલ્ડિંગ કરીને તેની સાથે બીજા પાઈપને જોડવાનો હોય છે."

"આ વેલ્ડિંગ ખૂબ જ મજબૂત હોવું જોઈએ. બંને પાઈપને જોડવા માટે કરાતા વેલ્ડિંગમાં ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. અમે આ સમયને ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ અમે આ સમયને ઘટાડીને સાડાત્રણ કલાકનો કરી દીધો છે."

ઉત્તરાખંડના સચિવ નીરજ ખૈરવાલ જે બચાવ અભિયાનના નોડલ અધિકારી છે તેમણે કહ્યું, "ટનલમાં કાટમાળમાં ફસાયેલા મજૂરો સુધી અમે એક માઇક્રોફોન અને સ્પીકર પહોંચાડી દીધા છે."

"તેના માધ્યમથી ડૉક્ટરો મજૂરો સાથે સંવાદ કરી રહ્યા છે. માનસિક સ્વાસ્થ્ય મહત્ત્વપૂર્ણ છે. એટલે મનોચિકિત્સક સંવાદ કરી રહ્યા છે."

"અમે તેમના સુધી ભોજન પહોંચાડ્યું છે. અમે તાજું ભોજન તેમને મળે તેવી વ્યવસ્થા કરી છે. અમે તેમને ટુવાલ, આંતરવસ્ત્રો, ટૂથ બ્રશ જેવી જરૂરી વસ્તુઓ પહોંચાડી છે."

તેઓ બહાર આવે તો ખુશીનું ઠેકાણું નહીં રહે

ટનલ દુર્ઘટનાના પીડિતોમાંથી એકના સંબંધી ઇન્દ્રજીત કુમારે સમાચાર સંસ્થા એએનઆઈનું કહ્યું કે જો ફસાયેલા મજૂરો બહાર આવશે તો તેમને ખૂબ ખુશી થશે.

તેમણે કહ્યું કે, "મારો ભાઈ અને મારા પરિચિત કાટમાળમાં ફસાયેલા છે. અધિકારી જે કંઈ પણ કહે છે તે સાચું છે. હું સવારે છ વાગ્યે પોતાના ભાઈ સાથે વાત કરવા માટે ટનલમાં ગયો હતો. તેઓ બહાર આવશે તો અમારી ખુશીનું ઠેકાણું નહીં રહે."

ઉત્તરકાશી સુરંગનો પહેલો વીડિયો

ઉત્તરકાશીમાં સુરંગમાં ભૂસ્ખલન દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટનલ બહાર રાહત અને બચાવકાર્ય

સમાચાર એજન્સી પીટીઆઈએ ટનલની અંદરનો એક વીડિયો જારી કર્યો છે. આ વીડિયોમાં મજૂરો ટનલની અંદર ઊભા રહીને વાત કરતા નજરે પડે છે.

એનાથી આશા જાગી છે કે અંદર ફસાયેલા લોકોની સ્થિતિ હાલ સારી છે.

એ દૃશ્યો ઍન્ડોસ્કોપિક કૅમેરાથી લેવાયેલા છે. કૅમેરાને ત્યાં સુધી છ ઇંચની ખોરાક પહોંચાડવા માટેની પાઇપલાઇનના માધ્યમથી અંદર મોકલવામાં આવ્યો હતો.

વીડિયોમાં મજૂરો પીળા અને સફેદ રંગના હેલમેટ પહેરેલા નજરે પડે છે. એ પણ જોવા મળે છે કે તેઓ પાઇપલાઇનમાંથી આવતા ભોજનને લેતી વખતે એકબીજા સાથે વાતચીત પણ કરી રહ્યા છે.

આ વીડિયો ફસાયેલા મજૂરોના પરિવારોને રાહત પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.