You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જગદીપ ધનખડે કઈ પરિસ્થિતિમાં રાજીનામું આપ્યું અને હવે કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ?
સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈના રોજથી શરૂ થયું. એ દિવસે રાજ્યસભાના સભાપતિ તરીકે દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજ્યસભાની કાર્યવાહીનું સંચાલન કર્યું.
પરંતુ 21 જુલાઈની રાત્રે ભારતના ઉપરાષ્ટ્રપતિના આધિકારિક ઍક્સ એકાઉન્ટ પર તેમનું રાજીનામું આવી ગયું.
રાષ્ટ્રપતિને લખેલા આ રાજીનામામાં જગદીપ ધનખડે પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપ્યો હતો. પરંતુ વિપક્ષ અને ઘણા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે તેમના રાજીનામાનું કારણ માત્ર તેમનું સ્વાસ્થ્ય હોવાનું નથી લાગતું.
બીબીસીના સાપ્તાહિક કાર્યક્રમ, 'ધ લેન્સ'માં કલેક્ટિવ ન્યૂઝરૂમના ડાયરેક્ટર ઑફ જર્નાલિઝ્મ મુકેશ શર્માએ જગદીપ ધનખડના રાજીનામા, તેની પાછળનાં સંભવિત કારણોથી માંડીની વિપક્ષની પ્રતિક્રિયા અને આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હોઈ શકે, એ વાત અંગે ચર્ચા કરી.
આ ચર્ચામાં મુકેશ શર્મા સાથે બીબીસી હિંદીના પૂર્વ સંપાદક સંજય શ્રીવાસ્તવ, વરિષ્ઠ પત્રકાર સબા નકવી અને ધ હિંદુનાં વરિષ્ઠ પત્રકાર શ્રીપર્ણા ચક્રવર્તી સામેલ થયાં.
જગદીપ ધનખડે રાજીનામું કેમ આપ્યું?
ધનખડના રાજીનામા અંગે એટલે પણ જાતભાતની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે આ મહિનાની શરૂઆતમાં જ તેમણે એક કાર્યક્રમમાં કહેલું કે તેઓ ઑગસ્ટ 2027માં નિવૃત્ત થશે.
ઉપરાષ્ટ્રપતિના સચિવાલયે અમુક સમય પહેલાં જ આગામી દિવસોમાં તેમના જયપુરના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આટલું જ નહીં, પોતાના રાજીનામાના દિવસે જ ધનખડ ત્રણ બેઠકોમાં અધ્યક્ષસ્થાને પણ રહ્યા હતા.
એ બેઠકોમાં સામેલ થયેલા કેટલાક સાંસદોએ બાદમાં કહ્યું કે બેઠકોની ચર્ચામાં ક્યાંય એવું ન લાગ્યું કે તેઓ રાજીનામું આપી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિપક્ષની સાથોસાથ ઘણા રાજકીય વિશ્લેષક પણ માત્ર સ્વાસ્થ્યને ધનખડના રાજીનામાનું કારણ નથી માનતા.
બીબીસીના પૂર્વ સંપાદક સંજય શ્રીવાસ્તવ કહે છે કે સ્વાસ્થ્યનું કારણ અંતિમ કારણો પૈકી એક હશે, પરંતુ મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે એ દિવસે ધનખડ બધાં કામ યોગ્ય રીતે કરી રહ્યા હતા, બાદમાં એવું શું થયું?
સંજય શ્રીવાસ્તવ કહે છે કે, "જે કાંઈ પણ થયું છે એ લગભગ સાંજના ચારથી આઠ વાગ્યાના એ ચાર કલાકમાં થયું. ચાર વાગ્યે તેમણે બિઝનેસ ઍડ્વાઇઝરી કમિટીની પોતાની બીજી મિટિંગ રાખી હતી, જેમાં ભાજપના નેતા ન આવ્યા. જેપી નડ્ડા, કિરેન રિજિજૂ, અર્જુનરામ મેગવાલ અને એ બાદ એકદમ પરિસ્થતિ બદલાતાં સાંજે રાજીનામામાં પરિણમી."
શ્રીપર્ણા ચક્રવર્તી પણ કહે છે કે એ ચાર કલાકમાં કંઈક તો થયું, પરંતુ હવે આ બધી વાતો સૂત્રોના હવાલાથી જ છે, કારણ કે સ્પષ્ટ છે કે સરકાર અને ઉપરાષ્ટ્રપતિ વચ્ચે કંઈક અસંમતિ હતી.
સંજીવ શ્રીવાસ્તવ જણાવે છે કે તેમની આ વિશે ધનખડ સાથે વાત નથી થઈ, પરંતુ જે જાણકારી મળી રહી છે, એ પ્રમાણે કેટલાક લોકો કહી રહ્યા છે કે ધનખડને હઠાવવાની વાત થઈ રહી હતી.
જોકે, સંજીવ શ્રીવાસ્તવ એવું પણ કહે છે કે, "કોઈ પણ સરકાર પોતાના જ ઉપરાષ્ટ્રપતિને કેમ હઠાવશે? પરંતુ કદાચ ધનખડ સુધી આ વાત પહોંચી કે આ પણ એક સંભાવના છે, જે અંગે વાત ચાલી રહી છે અને એ પ્લાન્ટ થયેલા સમાચાર સાચ હતા કે ખોટા, એની ખબર નથી."
સંજીવ શ્રીવાસ્તવ ધનખડને આવેલા એક 'ફોન'નો ઉલ્લેખ કરે છે.
તેઓ કહે છે કે, "ધનખડ પાસે એક ખૂબ જ સિનિયર... એક રીતે તો વડા પ્રધાનના પ્રતિનિધિનો ફોન આવ્યો કે સરકાર તમારાથી ખૂબ નારાજ છે. આના જવાબમાં ધનખડે કહ્યું કે નારાજ છે તો હું રાજીનામું આપી દઉં છું અને એના જવાબમાં બીજી તરફથી મનાવવાના કોઈ પ્રયાસ ન થયા."
સબા નકવી જણાવે છે કે, "ધનખડને પશ્ચિમ બંગાળના ગવર્નર બનાવાયા, એ રાજ્યના ગવર્નર, જેના પર ભાજપની નજર છે. તેમણે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને ઘણાં પરેશાન કર્યાં. આના ઇનામ સ્વરૂપે તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવી દેવાયા. જ્યાં સુધી ધનખડ ભાજપનું કામ કરી રહ્યા હતા, પાર્ટી માટે કોઈ પડકાર નહોતા, ત્યાં સુધી કોઈ સમસ્યા નહોતી."
બીજી તરફ શ્રીવાસ્તવ સવાલ ઉઠાવે છે કે, "જ્યારે ધનખડને જગ્યા મળી, તો પાછલા છ-આઠ મહિનામાં એવું શું થયું કે તેમણે પોતાના હાથમાંથી આ પદને છૂટી જવા દીધું, કારણ કે મારી જાણકારી પ્રમાણે તેમણે રાજીનામું ક્યારેય ન આપ્યું હોત, પરંતુ તેમને સમજાઈ ગયું હશે કે આનો કોઈ વિકલ્પ નથી."
ઘણા મહિનાથી કઈ બાબતો ઠીક નહોતી ચાલી રહી?
સંજીવ શ્રીવાસ્તવ અને શ્રીપર્ણા ચક્રવર્તી બંનેનું માનવું છે કે સરકાર અને ધનખડ વચ્ચેની નારાજગી ઘણા મહિનાથી ચાલી રહી હતી.
શ્રીપર્ણા કહે છે કે, "મેં સાંભળ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ હોવાને કારણે ધનખડ કેટલીક વિદેશી હસ્તીઓને મળવા માગતા હતા, જે તમે પણ જાણો છો કે ન થઈ શક્યું. સરકારે આવું ન થવા દીધું અને તેઓ આ વાતથી ખૂબ નારાજ હતા. ખેડૂતોના મુદ્દે પણ તેમના મજબૂત વિચાર હતા અને આપણે સૌએ એ એક ક્લિપ જોઈ છે, જ્યારે તેઓ શિવરાજસિંહ ચૌહાણની હાજરીમાં ખેડૂતો અંગે સરકારના સંકલ્પોની વાત કરી રહ્યા હતા."
આ સિવાય ન્યાયતંત્ર વિરુદ્ધ ધનખડની નિવેદનબાજી પણ મોદી સરકાર સાથે સંબંધો બગડ્યાનું એક કારણ મનાય છે.
ધનખડ ન્યાયતંત્ર વિરુદ્ધ ખૂલીને બોલી રહ્યા હતા. સંજીવ શ્રીવાસ્તવનું માનવું છે કે આ ધનખડની સૌથી મોટી ભૂલ રહી.
સંજીવ શ્રીવાસ્તવ કહે છે કે, "ધનખડ ન્યાયતંત્ર અંગે વારંવાર જે રીતે જાહેરમાં નિવેદનો આપી રહ્યા હતા, એ સમજી શકાય છે. કારણ કે એ વાત તેમના જનીનમાં છે. તેમણે પોતાનું જીવન કોર્ટ્સમાં પસાર કર્યું છે, તેઓ એક વકીલ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમનું આવા મત રજૂ કરવું એ સ્વાભાવિક હતું."
"સરકારને લાગતું હતું કે ધનખડના ન્યાયતંત્ર વિરુદ્ધ બોલવાની વાતને એવું ન સમજી લેવાય કે તેઓ સરકારના આગ્રહથી ન્યાયતંત્ર વિરુદ્ધ બોલી રહ્યા છે."
જસ્ટિસ વર્મા અંગે વિપક્ષના પ્રસ્તાવને મંજૂરી આપવાનું પગલું ભારે પડ્યું?
ધનખડના રાજીનામા પાછળ એક કારણ રાજ્યસત્રામાં તેમના દ્વારા જસ્ટિસ યશવંત વર્મા મામલામાં વિપક્ષના પ્રસ્તાવને મંજૂરી આપવાની વાત પણ મનાઈ રહી છે.
આવું એટલા માટે કારણ કે મોદી સરકાર જસ્ટિસ યશવંત વર્માવાળા વિષયને પોતાની રીતે હૅન્ડલ કરવા માગતી હતી.
શ્રીપર્ણા ચક્રવર્તી કહે છે કે, "જસ્ટિસ વર્મા મામલે સરકાર એવું બતાવવા માગતી હતી કે એ વિપક્ષ સાથે મળીને સંયુક્ત પ્રસ્તાવ લાવી રહી છે. લોકસભામાં આ પ્રસ્તાવ પર એનડીએ અને વિપક્ષ બંનેની સહીઓ હતી. જ્યારે રાજ્યસભામાં જસ્ટિસ વર્મા પર લવાયેલા પ્રસ્તાવમાં માત્ર વિપક્ષની જ સહીઓ હતી ધનખડે રાજ્યસભામાં જાહેરાત કરી કે 50 સહીઓની જરૂર હોય છે અને તેમની પાસે વિપક્ષનો પ્રસ્તાવ આવી ચૂક્યો છે."
શ્રીપર્ણા ચક્રવર્તીનું પણ કહેવું છે કે એનડીએને જણાવાયું ય નહીં કે આ પ્રસ્તાવ આવી રહ્યો છે.
સંજીવ શ્રીવાસ્તવ પણ કહે છે કે, "એ દિવસે તો હદ થઈ ગઈ. મને નથી લાગતું કે એ દિવસે બપોર પહેલાં કોઈએ વિચાર્યું હશે કે ધનખડને હઠાવી શકાય છે. ખુદ ધનખડે પણ નહીં વિચાર્યું હોય કે તેઓ રાજીનામું આપશે. બસ, ઘણી બધી બાબતો ભેગી થઈને એ દિવસે પાણી ડેન્જર લેવલને પાર કરી ગયું."
વિપક્ષને પણ અંદાજો નહોતો?
ધનખડના રાજીનામા બાદ વિપક્ષમાંથી જે નિવેદનો આવ્યાં, તેનાથી લાગે છે કે વિપક્ષનેય આ વાતનો અંદાજો નહોતો.
ડિસેમ્બર 2024માં વિપક્ષ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈ આવ્યો હતો. જ્યારે હવે ધનખડના અચાનક પડેલા રાજીનામા અંગે વિપક્ષના ઘણા નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે.
સબા નકવી કહે છે કે ધનખડે રાજ્યસભામાં ઘણી વખત વિપક્ષને બોલવા ન દીધો અને હવે વિપક્ષ ધનખડ માટે અવાજ ઉઠાવી રહ્યો છે.
જોકે, તેઓ વિપક્ષના આ વલણને યોગ્ય ઠેરવતાં કહે છે કે, "વિપક્ષે ઉઠાવેલા સવાલ વાજબી છે, કારણ કે પહેલાં તમે જ એક વ્યક્તિને ચૂંટી લાવ્યા અને બાદમાં તમે એમને કાઢી મૂકો, એ રીત પણ ખોટી છે. ધનખડ ભાજપનું કામ કરી રહ્યા હતા, પરંતુ વચ્ચે તેમણે વિપક્ષ સાથેનો મેળાપ વિધારી દીધો, આ વાત ભાજપ સહન ન કરી શક્યો."
આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે?
સંજીવ શ્રીવાસ્તવ પ્રમાણે આગામી રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે.
તેઓ કહે છે કે, "વિશ્લેષણના આધારે હું એ વાત કહી શકું કે જે પ્રખારણે અત્યાર સુધી આ સરકારમાં રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે કે જે રીતે મંત્રીપદ અપાય છે, જો કોઈ વ્યક્તિનું નામ વધુ ચર્ચાવા લાગ્યું તો એ તો નિશ્ચિતપણે આ નહીં બને."
"આ સરકાર હંમેશાં સરપ્રાઇઝ આપવા માગે છે, અને એ તેની કમજોરી હોવાનું મને દેખાય છે. જો તેમના નિર્ણયમાંથી સરપ્રાઇઝ ફૅક્ટર જ ગાયબ થઈ ગયું તો તેમનું મન એમ જ ખાટું થઈ જશે અને તેઓ કંઈક અલગ જ નિર્ણય લઈ લેશે. આવી સ્થિતિમાં જેમનાં નામ ચાલી રહ્યાં છે, તેમના રાષ્ટ્રપતિ બનવાની સંભાવના મને નથી લાગી રહી, કારણ કે તેમનાં નામ ચર્ચામાં આવી ચૂક્યાં છે."
સંજીવ શ્રીવાસ્તવ નીતીશકુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવાશે એવી શક્યતાને નકારે છે.
તેઓ કહે છે કે, "નીતીશને બિહાર ચૂંટણી પહેલાં હઠાવવા એ ભાજપ અને નીતીશકુમાર બંને માટે નુકસાનનો સોદો સાબિત થશે."
બીજી તરફ શ્રીપર્ણા કહે છે કે આ અંગે વિપક્ષ પણ પોતાની વ્યૂહરચના ઘડી રહ્યો છે. તેમને લાગે છે કે કૉંગ્રેસમાંથી જે વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવાશે, તેમને આખા ઇન્ડિયા બ્લૉકનું સમર્થન મળશે.
સબા નકવ કહે છે કે ભાજપના મોવડી મંડળના એક-બે લોકો છે, જેઓ આ નિર્ણય લેશે. પરંતુ તેમના પ્રમાણે ભાજપ આના માટે આરએસએસનો પણ મત લેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન