ભારત-પાકિસ્તાન વચ્ચેના સીઝફાયર અંગે આંતરરાષ્ટ્રીય મીડિયામાં કેવી ચર્ચા છે?

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલે ઉગ્રવાદી હુમલો થયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો હતો.
શનિવારે બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ માટે સહમતિ સધાઈ હતી, પરંતુ તેના ગણતરીના કલાકોમાં જ બંને દેશોએ એકબીજા પર સીઝફાયર ભંગ કરવાના આરોપ મૂક્યા હતા.
દક્ષિણ એશિયાના બે પરમાણુ હથિયાર સંપન્ન વચ્ચે સીઝફાયર તથા તેના ભંગ અંગે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ચર્ચા થઈ રહી છે.
વિશ્વભરનાં વિખ્યાત અખબારો અને ન્યૂઝ આઉટલેટ્સે ભારત-પાકિસ્તાન અંગે અહેવાલ છાપ્યા છે.
અમેરિકાના મીડિયામાં ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂ યૉર્ક ટાઇમ્સ લખે છે, "ચાર દિવસ સુધી ડ્રૉન અને મિસાઇલ હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામ માટે સહમત થઈ ગયા, પરંતુ એના અમુક કલાકોમાં જ ગોળીબાર થઈ રહ્યા હોવાના અહેવાલ આવ્યા હતા."
ન્યૂ યૉર્ક ટાઇમ્સ લખે છે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સંઘર્ષવિરામની જાહેરાત કરી અને કહ્યું કે અમેરિકાએ મધ્યસ્થતા કરી હતી. ભારત અને પાકિસ્તાનના અધિકારીઓએ સંઘર્ષવિરામની પુષ્ટિ કરી. જોકે, માત્ર પાકિસ્તાને જ અમેરિકાની ભૂમિકાનો સ્વીકાર કર્યો છે."
વૉશિંગ્ટન પોસ્ટ લખે છે, "સીઝફાયર એ બંને દેશો વચ્ચે થઈ રહેલી અથડામણને અટકાવવાનો પ્રયાસ છે. તેની શરૂઆત બુધવારે થઈ હતી. ત્યારે ભારતે પાકિસ્તાન તથા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હવાઈ હુમલા શરૂ કર્યા હતા."
"ભારતે તેને પહલગામમાં 22 એપ્રિલના થયેલા હુમલાની જવાબી કાર્યવાહી ગણાવ્યા હતા. આગામી ત્રણ દિવસ સુધી બંને દેશોએ એકબીજા પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટનનું મીડિયા શું કહે છે?
ફાઇનાન્સિયલ ટાઇમ્સ લખે છે, "ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2016 અને 2019માં જે અથડામણો થઈ તે કાશ્મીર સહિત સરહદી વિસ્તારો પૂરતી મર્યાદિત હતી."
"પરંતુ આ વખતે બંને દેશો વચ્ચે ખૂબ જ ઊંડો સંઘર્ષ જોવા મળ્યો હતો. બંને દેશોએ એકબીજાનાં હવાઈમથકો પર હુમલા કર્યા અને ડ્રૉનનો પણ ઉપયોગ થયો."
ટેલિગ્રાફ લખે છે, "ભારત અને પાકિસ્તાન યુદ્ધની આરે પહોંચી ગયા હતા. છેલ્લે વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે આ પ્રકારના હુમલા થયા હતા. એ યુદ્ધ સ્વતંત્ર બાંગ્લાદેશના ગઠનની સાથે સમાપ્ત થયું હતું."
ટેલિગ્રાફ ઉમેરે છે, "ભારતે ત્રણ હવાઈ ઠેકાણાં પર નિશાન સાધ્યું હતું. પાકિસ્તાની જેટ વિમાનોએ તરત ઉડાન ભરી અને સરહદ પર ભારતીય ઠેકાણા પર જવાબી હુમલા કર્યા."
"વર્ષ 1971ની અને હાલની સ્થિતિમાં મુખ્ય તફાવત છે. એ સમયે બંને પક્ષો પાસે પરમાણુ હથિયાર ન હતાં, પરંતુ આજે છે."
આરબ મીડિયામાં ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આરબ ન્યૂઝ ડૉટ કોમ લખે છે, "ભારત-પાકિસ્તાને એકબીજા પર સીઝફાયર ભંગના આરોપ મૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે સિઝફાયરની જાહેરાત કરી, તેની ગણતરીની કલાકોમાં બંને દેશોએ એકબીજા ઉપર આ આરોપ મૂક્યા હતા."
"બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી ડ્રૉન, મિસાઇલ અને ફાઇટર જેટથી હુમલા બાદ સિઝફાયર ઉપર સહમતિ સધાઈ હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 60 લોકો મૃત્યુ પામ્યા હતા અને સીમા પર રહેતા લોકોએ તેમનાં ઘર છોડવા પડ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરી હતી, એ ચોંકાવનારી બાબત હતી."
ખલીજ ટાઇમ્સે લખ્યું, "દુબઈમાં રહેતા ફાઇનાન્સ પ્રોફેશનલ સિદ્ધાર્થ ગુપ્તાનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ થવાથી તેમના હૃદય પરનો બોજ હળવો થઈ ગયો. સિદ્ધાર્થે આશા વ્યક્ત કરી હતી કે આગળ જતાં તણાવ વકરવાનો ભય પણ દૂર થઈ જશે."
"પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં રહેતા મંઝૂરખાનના કહેવા પ્રમાણે, તેમણે અને તેમના પરિવારે હવે ગોળીબારનો અવાજ નહીં સાંભળવો પડે."
સાઉદી ગૅઝેટ ડૉટ કૉમ લખે છે, "સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય ટકરાવને ઓછો કરવા માટે કૂટનીતિક પ્રયાસ વધાર્યા હતા."
"વિદેશમંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાને શનિવારે ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર તથા પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન તથા વિદેશમંત્રી ઇસાક ડાર સાથે અલગ-અલગ ફોન ઉપર વાત કરી હતી."
બાંગ્લાદેશ અને શ્રીલંકાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશનું અંગ્રેજી અખબાર 'ધ ડેઇલી સ્ટાર' લખે છે, "વિગત ત્રણ દાયકામાં બંને દક્ષિણ એશિયાઈ દેશો વચ્ચે આ સૌથી ભીષણ લડાઈ હતી. તેનાથી મોટા પાયે યુદ્ધ શરૂ થવાની આશંકા હતી."
"તેનાથી પરમાણુ યુદ્ધનું જોખમ ઊભું થઈ ગયું હતું, કારણ કે પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે તેની પરમાણુ હથિયાર સંબંધિત ટૉપ સમિતિની બેઠક મળશે."
ધ ડેઇલી સ્ટાર અન્ય એક અહેવાલમાં લખે છે, "મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનૂસે ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાનની સીઝફાયર માટે સહમત થવા બદલ પ્રશંસા કરી હતી."
"મોહમ્મદ યુનૂસે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ આભાર માન્યો હતો."
બીજી બાજુ નેપાળના અખબાર કાઠમંડુ પોસ્ટે લખ્યું, "સાઉથ એશિયા સેન્ટરની ઍટલાન્ટિક કાઉન્સિલના ફૅલો સુજા નવાઝ કહે છે કે આગામી દિવસોમાં મુખ્યત્વે સિંધુ સંધિ અંગે વાટાઘાટ થશે. જેથી બંને દેશની સરકારોને જે કંઈ હાંસલ થયું છે, તેનું શ્રેય લેવાની તક મળી રહેશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












