નવસારી હાઇવે પર બસ સાથે એસયુવી અથડાતાં 9નાં મોત, 28 ઘાયલ

નવસારી જિલ્લામાં શુક્રવારે રાત્રે બસ અને એસયુવી કાર વચ્ચેના ભયાનક અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને 28 લોકો ઘાયલ થયા હતા.

નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી સુરતની બસ સાથે ટોયોટા ફોર્ચ્યુનર કાર અથડાઈ હતી.

નવસારી ખાતેના બીબીસીના સહયોગી પત્રકાર જાવેદ ખાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, "બસ અમદાવાદથી મુંબઈ તરફના હાઇવે પર બીજી લેનમાં ચાલી રહી હતી. ત્યારે મુંબઈ તરફથી પૂરઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર ડિવાઈડર કૂદાવીને બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ફોર્ચ્યુનરમાં બેસેલા આઠ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે બસના એક પેસેન્જરનું મૃત્યુ થયું છે."

બસમાં સવાર 28 લોકો ઘાયલ થયા હતા.

લકઝરી બસ સુરતથી વલસાડ જઈ રહી હતી.

જાવેદ ખાને વધુમાં કહ્યું કે, "ડ્રાઇવરને હાર્ટ ઍટેક આવવાના સમાચાર ખોટા છે. ડ્રાઇવર હાલ પોલીસ ફરિયાદ આપી રહ્યા છે. મૃતકોને નવસારી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોને નવસારીની સિવિલ હૉસ્પિટલ ઉપરાંત, એક ખાનગી હૉસ્પિટલ અને વલસાડની કસ્તૂરબા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે."

અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક ખોરવાયો હતો, ત્યારબાદ પોલીસે ક્રેનની મદદથી બસને રોડ પરથી હટાવી હતી અને ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થયો હતો.

ફોર્ચ્યુનર કાર વલસાડથી ભરૂચ જઈ રહી હતી. એકાએક કાર ડિવાઇર કુદાવીને રૉંગ સાઇડ જતી રહી હતી અને બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

કારમાં સવાર તમામના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે. મૃતકો ભરૂચની ફાર્મા કંપનીમાં કામ કરતા હતા. જ્યારે બસમાં સવાર મોટાભાગના મુસાફરો વલસાડની નજીકના કોલક ગામના હતા.

ગંભીર ઈજાગ્રસ્તને સુરત ખસેડાયા

નવસારીના ડૅપ્યુટી એસપી વી.એન. પટેલને ટાંકીને એએનઆઈ લખે છે કે “અમદાવાદ-મુંબઈ હાઈવે પર બસ અને કાર વચ્ચેના અકસ્માતમાં 9 લોકોનાં મૃત્યું થયાં છે. એક ગંભીરરૂપે ઘાયલને સુરત ખસેડવામાં આવ્યા છે.”

અમિત શાહે સંવેદના વ્યક્ત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરતા લખ્યું છે, “ગુજરાતના નવસારીમાં થયેલી સડક દુર્ઘટના હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને દુખ સહન કરવાની શક્તિ આપ. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તાત્કાલિક સારવાર આપી રહ્યું છે, તેઓની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.”

મૃતકની યાદી

અંકલેશ્વરમાં નોકરી કરતા અને ગંભીર ઘાયલ થયેલા અજય વઘાસિયાને સુરત ખસેડાયા છે. જ્યારે 9 મૃતકમાં નીચેનાનો સમાવેશ થાય છે:

1) જયદીપ કાળુભાઈ ગોધાણી, 24 વર્ષ, રહેવાસી: વિસાવદરનું નાની ખીડાભાઈ ગામ

2) ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, 24 વર્ષ, રહેવાસી: રાજકોટનું ગુંડાળા ગામ

3) જગદીશકુમાર રસીકભાઈ દુધાત, 25 વર્ષ, રહેવાસી: અંકલેશ્વર

4) મયુર ધીરૂભાઈ વાવૈયા, 23 વર્ષ, રહેવાસી: ઝાંઝેસર, જુનાગઢ

5) નવનીત મોહનભાઈ ભડિઆદરા, 39 વર્ષ, રહેવાસી: નાના વરાછા, સુરત

6) પ્રજ્ઞેશ રણછોડભાઈ વેકરિયા, 23 વર્ષ, રહેવાસી: રબારીકા, રાજકોટ

7) ગણેશ મોરારભાઈ ટંડેલ, રહેવાસી: પારડીનું કોલક ગામ

8) જયદીપ કાંતિભાઈ પેથાણી, 25 વર્ષ, રહેવાસી: ધોરાજીનું ભાદાજાળિયા ગામ

9) ડૉ. નિતીન ઘનશ્યામ પાટીલ, 30 વર્ષ, રહેવાસી: ઓએનજીસી, ભરૂચ