You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્ર જઈ રહ્યો છે પૃથ્વીથી દૂર, ભવિષ્યમાં શું થશે?
ચંદ્ર પ્રતિ વર્ષ 3.78 સેન્ટીમીટર દરે પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. આ હકીકતને તાજેતરમાં જ સમર્થન મળ્યું છે.
આમ થવાનું કારણ શું છે? ચંદ્ર પૃથ્વીથી દૂર જાય તે જોખમી બાબત છે? ચાલો, આ સવાલોના જવાબ મેળવીએ.
પૃથ્વી પરથી ઘણાં અવકાશયાન ચંદ્ર પર ઉતર્યાં છે. સોવિયેત સંઘે વર્ષો પહેલાં લુના અવકાશયાન લૉન્ચ કર્યું હતું અને અમેરિકાએ એપોલો સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર મોકલ્યું હતું.
અમેરિકન અવકાશયાત્રીઓએ ચંદ્ર પર પગ મૂક્યો પછી ત્યાં રેટ્રોરેફ્લેક્ટર નામની કાચની વસ્તુ સ્થાપિત કરવામાં આવી હતી. તેના વડે વિજ્ઞાનીઓએ ચંદ્ર તથા પૃથ્વી વચ્ચેનું અંતર માપ્યું હતું.
ચંદ્ર પર અરીસો મૂકીને પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર કેવી રીતે માપી શકાય?
1969માં એપોલો-11, 1970માં લુના-17, 1971માં એપોલો 14 તથા 15 અને 1973માં લુના-21 એમ પાંચ અવકાશયાન આ રીતે ચંદ્ર પર ગયાં હતાં અને તેમણે ચંદ્રની સપાટી પર અરીસા જેવું લેસર રિફ્લેક્ટર સ્થાપિત કર્યું હતું.
સવાલ એ છે કે તેમણે આ યંત્ર વડે ચંદ્ર તથા પૃથ્વી વચ્ચેનું ચોક્કસ અંતર કેવી રીતે માપ્યું હતું?
ચંદ્ર પર સ્થાપિત કરવામાં આવેલા લેસર રિફ્લેક્ટરમાંથી પલ્સ્ડ લેસર બીમ પૃથ્વી તરફ મોકલવામાં આવ્યા હતાં. લેસર બીમ ચંદ્ર પરના રિફ્લેક્ટરમાં પ્રતિબિંબિત થઈને પૃથ્વી પર પાછું ફરતું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લેસર બીમને પૃથ્વી પરથી ચંદ્ર પર જતાં અને ત્યાંથી પૃથ્વી પર પાછું આવવામાં જેટલો સમય લાગ્યો હોય તેની ગણતરી કરવામાં આવી હતી. પ્રેષકો ચંદ્ર પર મોકલવામાં આવેલા પ્રકાશની ગતિ જાણતા હતા. તેથી પ્રકાશની ગતિ અને ચંદ્ર તથા પૃથ્વી પર તેના આવવા-જવામાં લાગતા સમયના આધારે ચોક્કસ ગણતરી કરવામાં આવી હતી.
ચંદ્ર પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે તેની ખાતરી શું?
ચંદ્ર લંબગોળ માર્ગમાં પૃથ્વીની પરિક્રમા કરે છે. તેથી બન્ને વચ્ચેનું અંતર રોજ બદલાતું રહે છે.
તદ્દનુસાર, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું મહત્તમ અંતર 4,06,731 કિલોમીટર છે, જ્યારે ઓછામાં ઓછું અંતર 3,64,397 કિલોમીટર છે. બન્ને વચ્ચેનું સરેરાશ અંતર 3,84,748 કિલોમીટર છે.
ચંદ્ર પર રોજ લેસર બીમ મોકલવામાં આવે અને અંતરની ગણતરી કરવામાં આવે તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના અંતરનો દૈનિક ડેટા મળે.
આ રીતે ઘણા વર્ષોનો ડેટા એકત્ર કરી, તેની સરેરાશ કાઢીને એ જાણી શકાય કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. બન્ને વચ્ચેનું અંતર બદલાઈ રહ્યું હોવાની વાતને હવે સમર્થન આપવામાં આવ્યું છે.
પૃથ્વી પરનો દિવસ લાંબો થઈ રહ્યો છે?
ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી પરના સમુદ્રને પ્રભાવિત કરતું રહે છે. તેને લીધે દરિયાની સપાટીમાં વધારો-ઘટાડો થતો રહે છે.
પૃથ્વી પરિભ્રમણ કરે છે તેમ તેમ ચંદ્રના ખેંચાણને કારણે પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધીમી પડી જાય છે, પરંતુ પૃથ્વી માટે બ્રેક જેવું કામ કરતો ચંદ્ર દૂર ખસી રહ્યો હોવાથી પૃથ્વીને પરિભ્રમણમાં લાગતો સમય વધી રહ્યો છે.
તેનો અર્થ એ થાય કે પૃથ્વી પરનો દિવસ લાંબો થઈ રહ્યો છે. વિજ્ઞાનીઓએ કરેલી ગણતરી મુજબ, વર્ષ 1600થી અત્યાર સુધીમાં દિવસની સરેરાશ લંબાઈમાં 1.09 મિલીસેકન્ડનો વધારો થયો છે. એટલે કે પૃથ્વી હાલના સમય કરતાં વધારે ઝડપથી ફરતી હતી. તેથી અગાઉ 24 કલાકનો નહીં, પણ તેનાથી ઓછા સમયનો એક દિવસ હોવો જોઈએ.
પરવાળાના ખડકો સાથે ચંદ્રને શું સંબંધ છે?
દરિયાની સપાટીમાં વધઘટનો આધાર દિવસની લંબાઈ પર હોય છે. દરિયાની સપાટી દિવસમાં એકવાર વધે છે અને એકવાર ઘટે છે. અહીં મહત્ત્વની બાબત દરિયાની સપાટીમાં થતા વધારા અને ઘટાડા તથા તે પછીના વધારા વચ્ચેનો સમય છે.
તેનું કારણ એ છે કે સમયનો સ્કેલ, પૃથ્વી પોતાની આસપાસ પરિભ્રમણ માટે જે સમય લે છે તેને અનુરૂપ છે. પૃથ્વી પરની ઘણી પ્રજાતિઓની હિલચાલ પણ દરિયાની સપાટીમાં થતી વધઘટ પર આધારિત હોય છે.
વૃક્ષોની વાત કરીએ તો તેમનાં થડ પર દર વર્ષે નવી રિંગ સર્જાય છે, જે તેની વય દર્શાવે છે. એવી જ રીતે સમુદ્રનું સ્તર વધે અને મોજાં પરવાળાના ખડકો પર પટકાય ત્યારે અર્ધચંદ્રાકાર રેખા રચાય છે. પરવાળાના ખડકો પરની તે અર્ધચંદ્રાકાર રેખાના આધારે, પૃથ્વી પરિભ્રમણમાં કેટલો સમય લે છે તેની ગણતરી કરી શકાય છે.
પરવાળાના ખડકો પર દર 24 કલાકના દરે અર્ધચંદ્રાકાર રેખા રચાય છે, પરંતુ પરવાળાના ખડકો લાખો વર્ષ જૂના અવશેષો પર નજર કરો તો તે અલગ દેખાય છે.
આશરે 140 મિલિયન વર્ષો પહેલાં આ નિશાનોને જોઈને તેમણે શોધી કાઢ્યું હતું કે પૃથ્વી પોતાની આસપાસ 18 કલાકનું ચક્કર કાપે છે.
એવી જ રીતે પૃથ્વીના તમામ ખંડો 320 અબજ વર્ષ પહેલાં પેન્જિયા નામના એક મહાખંડમાં જોડાયેલા હતા. તે સમયે ચંદ્ર પૃથ્વીની બહુ નજીક હતો. માત્ર 2,70,000 કિલોમીટર દૂર હતો. તે સમયે પૃથ્વી અસાધારણ ઝડપે પરિભ્રમણ કરતી હતી અને પૃથ્વીનો એક દિવસ માત્ર 13 કલાકનો હતો.
પૃથ્વી માટે બ્રેકનું કામ કરતો ચંદ્ર દૂર ચાલ્યો જાય તો શું થાય?
આ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે 450 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વીના પરિભ્રમણની ગતિ માત્ર આઠ કલાકની હતી. એટલે કે એક દિવસ માત્ર આઠ કલાકનો હતો.
આશરે 450 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચનાના પ્રારંભે તે અગ્નિના મિશ્રણ જેવો દેખાતો હતો. એ વખતે મંગળના આકાર જેવો, મોટા ગ્રહ જેવો પદાર્થ પૃથ્વી પર તૂટી પડ્યો હતો.
હાલના ચંદ્ર અને પૃથ્વીની રચના તેને કારણે થઈ હતી. ચંદ્રની રચના પછી જ પૃથ્વીની ગતિ ધીમી પડવા લાગી હતી અને આજે આપણે જોઈએ છીએ તેમ 24 કલાકનો દિવસ તબક્કાવાર થયો હતો.
લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં પૃથ્વીને પોતાની આસપાસ પરિભ્રમણ કરવામાં આઠ કલાકનો સમય લાગતો હતો, પરંતુ ચંદ્રની રચના પછી તે સમય વિસ્તરતો રહ્યો છે.
ચંદ્રના ગુરુત્વાકર્ષણના ખેંચાણે પૃથ્વીની પરિભ્રમણની ગતિ પર બ્રેક લગાવી હતી. તેને લીધે પૃથ્વીની ગતિ ધીમે ધીમે ઘટતી રહી છે. આ રીતે લગભગ 85 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી એવી સ્થિતિમાં પહોંચી હતી, જ્યાં તે દર 21 કલાકે પોતાની આસપાસ પરિભ્રમણ કરતી થઈ હતી. આ વાતના પુરાતત્વીય પુરાવા પણ છે.
એ જ રીતે 40 મિલિયન વર્ષ પહેલાના પુરાતત્ત્વીય પુરાવા અનુસાર, પૃથ્વી દર 22 કલાકે પોતાની આસપાસ પરિભ્રમણ કરતી હતી.
પૃથ્વીના પરિભ્રમણના સમયમાં આ રીતે વધારો થતો રહે તો શું થાય?
આશરે 5,000 મિલિયન વર્ષ પછી પૃથ્વીના પરિભ્રમણનો સમય 50 દિવસનો થઈ જશે તો વર્તમાન સમય મુજબ, પૃથ્વીનો એક દિવસ અને રાત 25-25 દિવસના થઈ જશે.
તમે વિચારતા હશો કે આવી સ્થિતિ ક્યારેય સર્જાશે ખરી? વિજ્ઞાનીઓ પણ આવું જ વિચારી રહ્યા છે, કારણ કે સૂર્ય રેડ રેડસન નામની સ્થિતિમાં પહોંચશે. એટલે કે સૂર્ય એટલો વિશાળ બની જશે કે બુધ અને શુક્ર જેવા ગ્રહને નિશ્ચિતપણે ગળી જશે.
એ પછી પૃથ્વીને પણ ગળી જશે કે કેમ તે હજુ સુધી નિશ્ચિત રીતે જાણી શકાયું નથી. પૃથ્વી અને ચંદ્ર આવા ભાવિની રાહની પ્રતિક્ષામાં છે.