You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આદિત્ય એલ-1 જે રહસ્યોનો તાગ મેળવવા લૉન્ચ કરાયું એ સૂર્ય શાનો બનેલો છે?
ભારતીય અવકાશ સંશોધન ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ શનિવારે સવારે 11.50 વાગ્યે સૂર્યને લગતા સંશોધનના હેતુસર ભારતનું પ્રથમ મિશન આદિત્ય એલ-1નું સફળ લૉન્ચિંગ કર્યું છે.
આ મિશનના લૉન્ચને સમગ્ર દેશમાં એક સિદ્ધિ તરીકે આવકારાયું હતું અને ઠેરઠેર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ નવી શરૂઆત સાથે જ ભારતે ચંદ્રયાન-3ની સફળતા બાદ અવકાશ સંશોધનક્ષેત્રે પોતાની શાખ વધુ મજબૂત કરવાની દિશામાં વધુ આગળ વધ્યું છે.
આ મિશનની શરૂઆતની સાથે જ સૂર્યને લગતી અન્ય હકીકતો, તેની રચના-સંરચના પાછળના વિજ્ઞાન અંગે વધુ રસ જાગૃત થવા લાગ્યો છે.
પરંતુ અત્યાર સુધી એવા કેટલાક પ્રાથમિક સવાલો છે, જેનાથી આપણે આપણા સૂર્ય અંગે જાણવા જેવું જરૂરી ઘણું બધું જાણી શકીએ.
સૂર્ય ખરેખર શાનો બનેલો છે? સૂર્યનું પૃથ્વીથી અંતર કેટલું છે? સૂર્યની ઊર્જાનો ખરો સ્રોત કયો છે વગેરે સવાલોના જવાબ મેળવવાની કોશિશ કરીશું.
સૂર્યની સંરચના
બ્રિટનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમની વેબસાઇટ પર અપાયેલ માહિતી અનુસાર- સૂર્ય એ સૌરમંડળનું કેન્દ્ર છે, જેની ફરતે તમામ ગ્રહો, ચંદ્ર, ધૂમકેતુ અને ઉલ્કા પરિભ્રમણ કરે છે. એ જીવન માટે જરૂરી ગરમી અને પ્રકાશનો કુદરતી સ્રોત છે.
આ સાથે જ એ આપણા સૌરમંડળનો સૌથી મોટો ઑબ્જેક્ટ પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના વિશાળપણાનો અંદાજ એ વાત પરથી આવે છે કે તેના કેન્દ્રથી સપાટી સુધીનું અંતર 6,95,508 કિલોમીટર છે.
સમગ્ર સૌરમંડળના દળમાંથી 99.86 ટકા દળ માત્ર સૂર્યનું જ છે. એ 13 લાખ પૃથ્વી સમાઈ જાય એટલો મોટો છે.
પરંતુ એ વાત સાંભળીને નવાઈ લાગે તો લાગે જ કે સૂર્ય એ એક સરેરાશ કદવાળો તારો જ છે. પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં તેનાથી પણ મોટા ઘણા તારા આવેલા છે.
હવે વાત કરીએ તેની સંરચનાની.
સૂર્ય એ ગૅસ અને પ્લાઝ્માનો ગોળો છે. જેમાં 91 ટકા હાઇડ્રોજન ગૅસ છે. અતિશય ગરમી અને ગુરુત્વાકર્ષણ બળને કારણે તેનું ન્યુક્લિયર ફ્યુઝન દરમિયાન હિલિયમમાં રૂપાંતર થાય છે.
જ્યારે પ્લાઝ્માને સૂર્ય પર છે એટલા તાપમાને ગરમ કરાય ત્યારે તે એટલું બધું શક્તિમાન બની જાય છે કે તેના ચાર્જ્ડ પાર્ટિકલ તારાના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રથી આગળ જઈને અવકાશમાં પહોંચી જાય છે. આને સોલર વિંડ કહે છે. જ્યારે સોલર વિંડ પૃથ્વીના વાતાવરણ સાથે અથડાય છે ત્યારે ઉત્તર ધ્રુવીય પ્રકાશોનું સર્જન કરે છે.
અહીં નોંધનીય છે કે હાઇડ્રોજન અને હિલિયમ સિવાય સૂર્યમાં 65 જેટલાં અન્ય તત્ત્વો હોવાનું વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે. આ તત્ત્વોમાં ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, સિલિકોન, મેગ્નેશિયમ, નીયોન અને સલ્ફર સામેલ છે.
સૂર્યનું તાપમાન એટલું વધારે છે કે ત્યાં કોઈ ઘન કે પ્રવાહી પદાર્થ નથી. સૂર્યના બંધારણમાં વાયુ પદાર્થ સામેલ છે.
પૃથ્વી પરથી દેખાતી સૂર્યની સપાટીને ફોટોસ્ફિયર કહેવાય છે.
અહીંથી જ સૂર્યનું મોટા ભાગનું રેડિયેશન પૃથ્વી સુધી પહોંચે છે.
સૂર્યનો જીવનક્રમ
સૂર્ય 4.6 બિલિયન વર્ષથી ચળકી રહ્યો છે. કેન્દ્રમાં અતિશય પ્રમાણમાં હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતરણ થયું છે.
હિલિયમ કેન્દ્રમાં જ રહીને જ્યાં એ હાઇડ્રોજનની સરખામણીએ વધુ રેડિયેશન શોષે છે, જેના કારણે કેન્દ્રના તાપમાન અને ચળકાટમાં વધારો થાય છે.
વૈજ્ઞાનિક ગણતરીઓ પ્રમાણે સમયાંતરે સૂર્યના ચળકાટમાં દસ ટકાનો વધારો થાય છે.
આમ, સૌરમંડળની શરૂઆતના દિવસોથી અત્યાર સુધી તેના ચળકાટમાં 40 ટકાનો વધારો થયો હોવો જોઈએ, એવું અનુમાન છે.
આ પ્રક્રિયા અને અનુમાન ખરું હોય તો પૃથ્વી પરના તાપમાનમાં ભારે વધારો નોંધાયો હોવો જોઈએ. પરંતુ જૈવિક અવશેષોના રેકૉર્ડ પરથી આ વાત યોગ્ય જણાતી નથી.
જીવનક્રમ પણ અન્ય તારાની માફક રહેવાની શક્યતા છે. કેન્દ્રમાંનું હાઇડ્રોજન ખતમ થતાં તેની આસપાસના આવરણમાં ન્યુક્લિયર દહનની શરૂઆત થઈ શકે.
આ પરિસ્થિતિમાં સૂર્ય વધુ ને વધુ પ્રકાશમાન બનતો જશે. પરંતુ આ સપાટી પર આ દહનપ્રક્રિયા પહોંચે ત્યારે એ લાલ દૈત્ય બનવાના તબક્કામાં પહોંચી જશે, જેનાથી મંગળ અને પૃથ્વીને સમાવી લે તેવું બાહ્ય આવરણ રચાઈ શકે છે.
પરંતુ સૂર્યને આ તબક્કામાં સુધી પહોંચવામાં અબજો વર્ષનો સમય લાગી શકે છે.
સૂર્ય કેટલો ગરમ છે?
સૂર્યનું કેન્દ્ર એ સૌથી વધુ ગરમ ભાગ છે. તેનું તાપમાન આશરે 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે હાઇડ્રોજનના કણો મળીને હિલિયમ બને છે, એ પ્રક્રિયા ગરમી અને પ્રકાશ સ્વરૂપે રિલીઝ થાય છે.
કેન્દ્રમાં સર્જાયેલી આ ઊર્જાને સૂર્યની બહારની સપાટ સુધી પહોંચવામાં હજારો વર્ષનો સમય લાગી જાય છે. પરંતુ એ સૂર્યની બહારની સપાટી સુધી પહોંચે ત્યાં સુધી તે પ્રમાણસર ઓછું ગરમ બની ગઈ હોય છે. તેમ છતાં આટલો તાપમાન હીરાને ઓગાળવા માટે પૂરતો (5,973 ડિગ્રી સેલ્સિયસ) હોય છે.
પરંતુ કોરોના તરીકે ઓળખાતા સૂર્યના વાતાવરણના તાપમાનમાં ભારે વધારો (બે મિલિયન ડિગ્રી સેલ્સિયસ) જોવા મળે છે.
જે સૂર્યને લઈને જોવા મળતાં સૌથી મોટાં રહસ્યો પૈકી એક છે, કારણ કે કેન્દ્રથી દૂર જતાં તાપમાનમાં ઘટાડો થવાનું સ્વાભાવિક મનાય છે. પરંતુ અહીં આવું થતું જોવા મળતું નથી.
શું સૂર્ય ધરીભ્રમણ કરે છે?
આ પ્રશ્નનો જવાબ છે હા.
સૂર્ય પૃથ્વીની જેમ ઘન ન હોવા છતાં તેમાં રહેલા પ્લાઝ્મા તેની સપાટી પર ભ્રમણ કરતા હોય છે.
સૂર્યને પોતાની ધરી પર એક ચક્કર પૂર્ણ કરતા પૃથ્વીના 27 દિવસ જેટલો સમય લાગે છે.
પરંતુ સૂર્યના વિવિધ ભાગો જુદી જુદી ત્વરાએ ભ્રમણ કરે છે.
સૂર્યકલંક એટલે શું?
સૂર્યકલંક એ સૂર્યની સપાટી પર દેખાતા ઠંડા ભાગ છે, જે ફોટોસ્ફિયરમાં હોય છે. આ ભાગ આપણને તેની આસપાસના પ્લાઝ્માની સરખામણીએ વધુ ગાઢ જોવા મળે છે.
આ ઠંડા સ્પોટ 50 હજાર કિલોમીટર જેટલા હોઈ શકે છે.
એવું મનાય છે કે મજબૂત મૅગ્નેટિક ફિલ્ડને કારણે તેનું નિર્માણ થાય છે.
જે કેન્દ્રમાંથી આવતા રેડિયેશનને ઘટાડીને સપાટીનું તાપમાન ઓછું કરે છે.
આ સિવાય અન્ય એક સવાલ એ છે કે, સૌરજ્વાળા એટલે શું?
સમગ્ર સૌરમંડલમાં થતી સૌથી મોટી વિસ્ફોટક પ્રક્રિયા એટલે સૌરજ્વાળા. સૂર્યકલંકમાં રહેલી મૅગ્નેટિક ફિલ્ડ ઊર્જાને ગરમીના સ્વરૂપમાં રૂપાંતરિત કરે ત્યારે આવું થાય છે. આનાથી સૌરકણો અવકાશમાં ફેંકાઈ જાય છે.